બુરાઈ ઝપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન,
ભલાઈને, ભલી ભાખોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર

મુક્તકો – રઈશ મનીઆર

થોડું ઝળહળ બની આવશે;
શેષ કાજળ બની આવશે.
તું ખીલે જો પ્રથમ ફૂલવત્
શબ્દ ઝાકળ બની આવશે.

*

આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે ?
ને પછી તું સમસમીને ક્યાં જશે ?
એક ખૂણો હાંફવાનો રાખજે…
આમ બધ્ધે આથડીને ક્યાં જશે ?

*

અચાનક લગાતાર … બસ ઓગળે છે.
સઘન રાતનું આ તમસ ઓગળે છે.
કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.

– રઈશ મનીઆર

8 Comments »

  1. ઊર્મિ said,

    April 13, 2010 @ 9:29 PM

    શબ્દનાં ઝાકળ માટે સૌપ્રથમ તો ફૂલવત ખિલવાનું…………
    વળી સમયરૂપી યુદ્ધનાં મેદાનમાં એક ખૂણો હાંફવાનો પણ રાખવાનો………
    અને સ્મરણોનાં બરફ પર ટકોરા મારી મારીને વચગાળાનાં વરસોને ઓગાળવા……………
    આહાહાહા……

    રઈશભાઈને વિવેકની એક ગઝલનાં શે’રનો ડાયલોગ મારવાનું મન થઈ ગ્યું, કે–
    જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
    તું એ જ રીતથી મારા વિચારને અડકે…..

    કયા મુક્તકને બેસ્ટ ગણવું, એવો અઘરો સવાલ નથી પૂછ્યો એ સારું છે…! 🙂

  2. અભિષેક said,

    April 14, 2010 @ 12:54 AM

    મુક્તક એટલે સાહિત્યના મોતી. આજે સરસ વીણૅલા મોતી માણવા મળ્યાં.

  3. વિવેક said,

    April 14, 2010 @ 1:24 AM

    કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
    ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.

    – વાહ !

  4. અનામી said,

    April 14, 2010 @ 3:04 AM

    વાહ ,વાહ, વાહ…..

  5. pragnaju said,

    April 14, 2010 @ 7:23 AM

    ત્રણેય સુંદર મુક્તક
    અચાનક લગાતાર … બસ ઓગળે છે.
    સઘન રાતનું આ તમસ ઓગળે છે.
    કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
    ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.
    વાહ્

    જ્યાં તમસ ઘેરી વળે ત્યાં વીજ થઈ કે આગિયા રૂપ,
    સ્હેજ અજવાળું ધરે છે, એ જ તો એની ખૂબી છે !

  6. ડૉ.મહેશ રાવલ said,

    April 14, 2010 @ 1:16 PM

    રઈશભાઈ જેવી ‘હસ્તી’નો શબ્દવૈભવ આજની તારીખમાં અગ્રક્રમ શુંકામ ધરાવે છે એ સમજવા અને સ્વીકારવા એમનો માત્ર એક શેર કાફી હોય છે જ્યારે અહીં તો ચાર-ચાર પંક્તિના મુકતકોએ એમનો વૈભાવ પ્રસાર્યો છે…..(.રઈશભાઈ ભલે કહેઃ- શબ્દ મારા સ્વભાવમાં નથી……!!!)
    ઊર્મિની વાત પણ સાચી જ છે, કારણકે અહીં પ્રસ્તુતમાંથી કોઇ એક મુક્તકને અલગ તારવવાનું કઠીન છે…..
    -ખૂબ ગમ્યાં ત્રણેય મુકતકો……..

  7. પંચમ શુક્લ said,

    April 15, 2010 @ 8:29 AM

    ગમી જાય એવાં મુક્તકો.

  8. mihir varsani said,

    October 28, 2010 @ 8:39 AM

    બીજું તો શુ કહેવુ??
    કાઇ કહેવા માટે જે “લાયકાત” જોઇએ, એ જ ક્યા છે??

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment