આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ

ઝૂમાં – નિરંજન ભગત

(સિંહને જોઈને)

એ છલંગ,
એ જ ન્હોર
નેત્રમાંય એ જ તેજ, એ જ તોર
એ ઝનૂન
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમ રોમ,
રે, પરંતુ ચોગમે નથી વિશાળ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.

– નિરંજન ભગત

એક નાની અમથી ઘટના. ઝૂમાં પાંજરે પૂરાયેલો સિંહ. આ ઘટનામાંથી આપણામાંથી કોણ પસાર નહીં થયું હોય? પણ કવિ એ જે સામાન્યને અસામાન્ય કરી દે. કવિતા એ જે જીવનમાંથી જન્મે પણ જીવનને જીવવા જેવું બનાવે. માણસ સિંહને પાંજરે પૂરી સભ્યતા ભણાવે છે કે પછી પાંજરે પૂરેલા સિંહને જોઈ જોઈને ખુદ જનાવર થતો જાય છે? કવિતામાં કવિએ ગુલબંકી છંદનો એટલો બખૂબી પ્રયોગ કર્યો છે કે સિંહની ગતિ, એનું જોમ અને એનો જોરાવર જુસ્સો મોટેથી કાવ્યપઠન કરતાં હોઈએ તો સહજ અનુભવાય. ગાલગાલગાલગાલની ચાલમાં ચાલતો આ છંદ કવિતાને કેવો ઉપકૃત નીવડ્યો છે !

8 Comments »

  1. pragnaju said,

    October 22, 2009 @ 2:01 AM

    ઘણા વખત બાદ આવ્યો= ગુલબંકી :!
    ” માતૃભાષી
    વીશ્વ મધ્ય ક્યાંય જો કળાય,
    એનું માનપાન ના ઘવાય,
    એનું સ્થાન ક્યાંય ના લુંટાય–
    ને
    ફરી વળે બધે જ સ્નેહરાશી !”
    સરસ કાવ્યનુ સ રસ રસદર્શન
    પણ હવે તો પાંજરાના બળ્યા વનમા ગયા તો વનમા-
    ગીરપંથકના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડયા હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટા શહેરો સહિત બહારના રાજયોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાત માટે આવતા -ગીર જંગલના હાર્દસમા સાસણ ખાતે પહોંચી ગીર અભ્યારણ્યની મુલાકાત કરી, સિંહ સહિતના વન્યપ્રાણીઓને જોવાનો લહાવો લેવા ઊમટી પડેલાં પ્રવાસીઓના ભારે ઘસારાથી વનવિભાગ પણ ઘાંઘુ બની ગયું હતું. ગીર જંગલની મુલાકાતે આવેલા પ્રવાસીઓમાંથી મોટાભાગના લોકોને સિંહદર્શન કરવાની ઈરછા પૂરી થતી નહોતી.કેમ કે, જંગલમાં લોકોના ભારે ઘસારાથી સિંહો ખલેલ ન પડે તેવા ગીચ વિસ્તારમાં જંગલભાગમાં નીકળી ગયા હતા

  2. preetam lakhlani said,

    October 22, 2009 @ 8:32 AM

    પ્રિય વિવેક ભાઈ,
    આ કવિતા વાચીએ ત્યારે આપણને ભગત સાહેબની કલમની શકતિનો ખ્યાલ આવી જાય કે નિરજન ભાઈ એ આજ થી પાંચ દાયકા પહેલા કેવા અદભુત કાવ્ય આપ્યા છે, ત્યાર બાદ કવિ પાસેથી લગભગ બે દાય બાદ ફકત સમ ખાવા પુરતી બે ત્રણ કવિતા મળેલ છે, કવિ એ કસુ લખ્યુ નથી એમ કહી તો ચાલે અને ત્યાર બાદ ભગત સાહેબ છેલ્લા બે પાંચ વરસથી લખવા માંડયા છે અને મોટે ભાગે તેમની હમણા લખાયેલી કવિતાઓ પરબ અને બીજા બે ચાર સામાયિકમા પ્રગટ્ થાય છે ત્યારે ખરેખર દુઃખ થાય કે આ એજ ભગત સાહેબ છે જેણે એક વાર છ્દોલય અને પવાલ દીપ જેવા અમર કાવ્ય સગ્રહો આપી ગુજરાતી ભાષાને આસમાન સુધી અમર કરી દીધી છે.શુ ગુજરાતી સાહિત્યમા કવિતા કરતા વ્યકિતનુ મહત્વ વધારે છે ?.જો આવી જ કવિ તા કોઈ યુવાન નવ સિખાવે લખી હોત તો કચરામા ફેકી દેવામા આવે! પણ કોઈ નામી કવિ કચરા જેવી કવિ તા લખે તો સપાદત મિત્ર પ્રેમથી પ્રગટ કરે!…..કોઈ મિત્રો ખોટુ ન સમજે એટલે ચોખવટ કરી લઉ છુ કે ઉપરની કવિતા ભગત સાહેબની Great Excellent poem છે, મુબઈ નગ રી પર ભગત સાહેબે લખેલા ૩૩ કાવ્યમાનુ એક The Great કાવ્ય છે!

  3. Kirtikant Purohit said,

    October 22, 2009 @ 11:21 AM

    કવિતા અને તેમાઁનુઁ આઁતરદર્શન ખરેખર ઘણુઁ જ સુઁદર છે.

  4. ધવલ said,

    October 22, 2009 @ 11:42 AM

    ઉત્તમ કાવ્ય !

  5. Lata Hirani said,

    October 22, 2009 @ 2:42 PM

    સરસ કાવ્ય

  6. himanshu patel said,

    October 22, 2009 @ 9:25 PM

    ઉમાશ્ંકર્-સુંદરમ પછી નિરંજન્-રાજેન્દ્ર એમ કહેવાતું-પણ અહિં નિરંજન ભગત સૂંદરમથી આગાળ
    જઈ શક્યા નથી કાવ્યબાનીમાં.

  7. Pancham Shukla said,

    October 23, 2009 @ 11:20 AM

    સુંદર કવિતા. ગુલબંકી ખીલી ઊઠે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીએ પણ આ જ તીવ્રતાથી ગુલબંકી પ્રયોજ્યો છે- સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભે.

  8. RAKSHIT DAVE said,

    June 14, 2010 @ 8:08 AM

    EK 55 VARSH PEHLA BHANELU MUKTAK YAAD AAVI GAYU.

    ” AAVE NA VANRAJ YAAD TUZNE A MUKTA JANGI VANO
    TARI VAGAT HAAK JYAN GAJABNI DIKKHAND DOLAVTI,
    SUNI J MUDMUST HASTIVARNI SENA Y BHAGI JATI,
    TE AA PINGER MA SHUN DIN VADENE JIVI RAHYO NAMNU.”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment