હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
ભરત વિંઝુડા

ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો – રમેશ જાની

મારે ઘણીયે વાત કરવી’તી તમારી સાથ
પણ કૈં યે કહેવાઈ નહીં;
એકલો જ્યારે પડ્યો, તો જાત સ્હેવાઈ નહીં.
કેટલાયે રાહગીરોને મળી ભેટ્યો ભરીને બાથ
ને એમની સંગાથ હું ચાલ્યા કર્યો, બોલ્યા કર્યો…
પણ કથા કૈ કૈ કરી, ક્યારે કરી –
ખુદને જ સમજાઈ નહીં.
આંખનીયે કેવી આ લીલા કહો,
ચન્દ્ર, સૂરજ, તારકો જોયા કર્યા,
વૃક્ષ, વેલી, ફૂલડાં જોયા કર્યાં,
પણ મનભરી જોવું હતું જે, તે જ જોવાયું નહીં.
હૈયા તણી યે કેવી આ લીલા કહો,
કે મનભરી રોવું હતું જેની કને
રે ત્યાં જ રોવાયું નહીં,
જેહને કહેવું હતું તેને જ કહેવાયું નહીં,
જેની સદાયે પાસ રહેવું’તું – રહેવાયું નહીં.
ને બધાની સાથ હું ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો….
બોલ્યા કર્યો, બોલ્યા કર્યો…

– રમેશ જાની

જીવનમાં ઘણીવાર પ્રિયજન સાથેની મુલાકાતમાં આપણે એવો સંક્ષોભ અનુભવીએ છીએ કે જે કહેવાની લાખ ઇચ્છા હોય એ જ કહી ના શકીએ. મરીઝ જેવા એને ‘એ સહુથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હોય ને કંઈ યાદ ના આવે‘ કહીને પણ બહેલાવે. પણ જે વાત સમયસર કહેવાની ચૂકી જવાય એ જ પછી દિલને ડંખતી રહે છે. આવું થાય ત્યારે એકલતા અને એકાંત બને સહેવાતા નથી. જાત સાથે વાત કરવાની હિંમત થતી નથી. રસ્તામાં ઢગલાબંધ લોકો મળતા રહે છે, કોઈને આલિંગન તો કોઈ સાથે હસ્તધૂનન તો કોઈ સાથે ગામભરના ગપાટા મારીને આપણે કમળપત્ર પરના જળબિંદુની જેમ છૂટા પડીએ ત્યારે શું શું કથા કરી એ પણ યાદ રહેતું નથી. ચંદ્ર, સૂરજ, તારા, વૃક્ષ, વેલી, ફૂલ- બધું નજરે તો ચડતું રહે છે પણ જેના હોવાપણાંથી જ આ બધાની સભરતા હતી એના અભાવમાં આ બધું જ સૌંદર્ય એનો ખરો સંદર્ભ ગુમાવી બેઠું હોવાની પ્રતીતિ થાય છે.  જિંદગીની ખરી વિડંબણા જ આ છે કે જેની પાસે મનભરીને રોવું હોય, રહેવું હોય અને જેને બધું કહેવું હોય, એ થઈ શકતું નથી અને એ છતાંય જિંદગી છે…. જીવવું પડે છે !

પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતે સાત માત્રા (ગાલગાગા અને ગાગાલગા)ના નિયમિત આવર્તન ધરાવતી છાંદસ કૃતિ છે, એને ઢાળબદ્ધરીતે ગાઈ પણ શકાશે. ઉર્દૂ-હિન્દીમાં આ પ્રકારના કાવ્યને આઝાદ નઝમ કહે છે. આપણે ‘મુક્ત પદ્ય’ કહીશું ?

9 Comments »

  1. Jayshree said,

    August 23, 2009 @ 1:34 AM

    વાહ…. મજાની કવિતા..!

  2. sapana said,

    August 23, 2009 @ 4:58 AM

    જીવવુ પડે એ વાત સાવ સાચી અને ચાલ્યા કરવુ પડૅ એ વાત પણ સાવ સાચી અને જિંદગીભર કઈક ખૂંચ્યા કરે એ વાત પણ સાચી.વિવેકભાઈ મને તો તમારી પંકતિ ખૂબ ગમી.ઈચ્છા જો પૂરી થઈ જાય તો પછી શું રોવાનું..?
    સપના

  3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    August 23, 2009 @ 6:05 AM

    રમેશ જાની.
    અમારા M.A.ના ગુજરાતીના પ્રોફેસર.
    બોલવા ઊભા થાય એટલે જાણે કે નખશીખ
    કવિતા સ્વયમ ઝૂલતી હોય એવું લાગે.
    આ ‘મુક્ત પદ્ય’ કેટલું જીવંત છે?
    કો’ અનુભવીને પૂછી જોજો!
    આંખ ભીની થઈ ગઈ છે એમની યાદમાં.

  4. harkant said,

    August 23, 2009 @ 6:25 AM

    (ગાલગાગા અને ગાગાલગા)ના નિયમિત આવર્તન ધરાવતી છાંદસ કૃતિ – પરંપરિત. ગાંધીયુગના કવિઓ (ઉમાશંકર, શ્રીધરાણી)ને આ પ્રકાર બહુ પસંદ હતો. એ પછી નિરંજન ભગત અને લાભશંકર ઠાકરે એને અસરકરક રીતે વાપર્યો છે.

    પરંપરિતને મળતો (આવર્તનો વગરનૉ) વધુ મુકત પ્રકાર એ ન્હાનાલાલની ડોલન શૈલી (આજના અછાંદસથી વધુ શિસ્તબદ્ધ).

    અંગ્રેજીમાં આને મળતો પ્રકાર બ્લેંક વર્સ કહેવાય છે. ચોસર અને શેક્સપિયરે બ્લેન્ક વર્સનો છૂટથી ઉપયોગ કર્યો છે.

  5. mrunalini said,

    August 23, 2009 @ 6:36 AM

    કે મનભરી રોવું હતું જેની કને
    રે ત્યાં જ રોવાયું નહીં,
    જેહને કહેવું હતું તેને જ કહેવાયું નહીં,
    જેની સદાયે પાસ રહેવું’તું – રહેવાયું નહીં.
    ને બધાની સાથ હું ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો….
    મારા મનની વાત–
    ત્યારે ઘનશ્યામભાઈ કહે છે-
    મારી તરફ
    રસાયણશાસ્ત્રીઓના,
    આંકડાશાસ્ત્રીઓના,
    માનસશાસ્ત્રીઓના,
    અશાસ્ત્રીઓના,
    કુશાસ્ત્રીઓના
    સતત પેંતરા
    ત્યારે
    હે મિત્ર!
    જલેબીની ભૂલ્-ભૂલામણી વચ્ચે ભૂલા પડેલ ‘હું’-ને
    લાક્ષ્યાગૃહનો ભેદી દરવાજો ખોલી
    થોરિયાના ખેતરમાં છીંડું પાડી
    અંધારના કાળા મખમલમાં લપેટી
    ખડિયાની હોડકીમાં બેસાડી
    ભૂરી શાહીની નદીમાં ફરી પાછો તરતો મૂકી
    શબ્દની…સુરની અગોચર ભૂમિ તરફ
    મારો છુટકારો કરી
    ઍમેઝોન પ્રદેશના નાગ સાથે ફરી એક વાર રમવાની મને તક આપ——————-
    ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો….
    રેગિસ્તાનના રાહગીરો એટલું જ કહે છે,.
    ”અલ્લાહની કૃપાને કારણે ઊંટનો આ કાફલો આડા માર્ગે ચડી ગયો નથી”

  6. pragnaju said,

    August 23, 2009 @ 7:26 AM

    વૃક્ષ, વેલી, ફૂલડાં જોયા કર્યાં,
    પણ મનભરી જોવું હતું જે, તે જ જોવાયું નહીં.
    આવું ઘણા કવિઓનો અનુભવ છે
    ડૂબતા આ સૂર્યને રોકો જરી,
    સાંજને વાતો હજી કરવી હતી.

    આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
    જંગલની કુંજકુંજ જોવી ફરી;
    ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
    અંતરની આંખડી લ્હોવી જરી.

    સંસાર મ્હાલ્યો સંગ,
    અલકાથી હું દૂર, તે સાલ્યો,
    મને, ન લાગ્યો રંગ;
    એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !
    આપણે રે પ્રિય, સામસામે તીર,
    ક્યારેય નહીં મિલાપ;
    ગાશે જીવનજમુનાનાં નીર
    વિરહનો જ વિલાપ !?
    અને
    સમાધાન કરવું પડે…
    અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે? છતાં ખુશ છું,
    અહીં પણ વ્યથા તો બહુ… બધી સહેવી જરૂરી છે ?

  7. priyjan said,

    August 24, 2009 @ 6:15 PM

    ખરેખર પીડા નીતરી રહી છે આ કવિતા માંથી……

    વિવેક તમે બહુ સાચું જ લખ્યુ છેઃ

    “જિંદગીની ખરી વિડંબણા જ આ છે કે જેની પાસે મનભરીને રોવું હોય, રહેવું હોય અને જેને બધું કહેવું હોય, એ થઈ શકતું નથી અને એ છતાંય જિંદગી છે…. જીવવું પડે છે !”

  8. Rajesh said,

    August 31, 2009 @ 12:47 AM

    Rameshbhai. tamari kavita vanchi ne pa6i mari ankho bhini thai gai. pa6a yado ni harmala o sharu thai gai. Rameshbhai mare je kahevu 6 te badhu hu tene ekla ma hava jode vato kari ne kahi dau 6u. vichari ne ke kadach a hawa(AIR) laherati laherati tene malshe to mara sabdo tena kan upar pohanchadse. Rameshbhai mein ek Muktak lakhi yu hatu
    1) “Betho 6u nadi na kinare tari yad ma.
    Avshe ek divas vahi gayelu vahen teni rah ma.”

    2) Koi jai ne kaho amari ankho ne ke have radva nu bandh kare.
    te avshe ek divas tene joi ne radva ankho ma thoda ANSHOO to baki vadhe

    Rameshbhai Sapna e je coment lakhi 6 te pan khubaj saras 6.

    Rameshbhai jeni jode vat kariya vagar no ek pan divas jato nohato aaje teni jode vat kariya ne mahina o viti gaya, keva badha sanjogo ubha thai gaya.

    Rameshbhai i am thank you very much tamari kavita vanchi mara dil na darvaja o khuli gaya i am sorry.

  9. kantibhai kallaiwalla said,

    September 6, 2009 @ 12:44 PM

    Facts and truth are broght in well dressed clothes(words) to readers. Poem and poet both deserve my salute

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment