ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
કૃષ્ણ દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નીલેશ રાણા

નીલેશ રાણા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગીત – નીલેશ રાણા

આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
.                 તોય મને દેખાતું બધું આરપાર.

સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
.                 ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
.                 વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
.                 આપું નિરાકારને હુંયે આકાર.

વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
.                 ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
.                 ત્યાં યમુનાનાં વ્હેણ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
.                 હવે જોઈએ નહીં કોઈનો આધાર.

– નીલેશ રાણા

પ્રતીક્ષાની ઘડીઓમાં આંખ ભલે ઝળઝળિયાંના ધુમ્મસથી ઘેરાઈ કેમ ન ગઈ હોય, જળ-સ્થળ એકાકાર થઈ ઓગળી કેમ ન જાય, પ્રિયતમ, પ્રણય અને જીવનની પળપળના તળિયાં સાફ સાફ નજરે ચડતાં હોય છે… કલ્પનાનો આકાર પ્રતીક્ષાની ઘડીઓમાં એવો સાચુકલો લાગે છે કે એની બાંહોમાં ગોપી પોતાને ભીંસાતી ને ભૂંસાતી અનુભવે છે…

 

Comments (1)