અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
‘આસીમ’ રાંદેરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જગદીપ સ્માર્ત

જગદીપ સ્માર્ત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ચાલ – જગદીપ સ્માર્ત

અનંત અક્ષાંશથી શૂન્ય રેખાંશ તરફ
ગતિ કરતા સૂર્યને ડૂબી જવા દે…….
પછી ફાનસના અજવાળામાં
કૃષ્ણપક્ષી અંધારી રાતે,
અગાશીમાં
આપણે કઠેરો બનીને ઊભા રહીશું.
તે જ વખતે મકાની ભીંતમાંથી,
એક પીપળાનું પાન
ચોક્કસ બહાર આવશે જ.
જેને વાંચીશું આપણે બન્ને મળીને એક જ આંખે.
ક્યાંક તારી કે મારી
સંવેદનાઓથી વંચિત
એ પીળું પડીને બાવળ બની જાય,
તે પહેલાં-
ચાલ,
એને કર્ણિકાર બનાવી કાનમાં પહેરી લઈએ.

– જગદીપ સ્માર્ત

પીંછીથી કવિતા લખતા આ વિરાટ વ્યક્તિત્વએ કદીમદી પેન પણ ચલાવી છે. સુરતના સપૂત એવા આ ચિત્રકારે અકાળે ચિરવિદાય લીધી તે પહેલા મારા સદભાગ્યે મને તેમની સાથે બે વખત થોડો સમય સાથે ગાળવાનો લ્હાવો મળ્યો હતો. નખશિખ સરળતાની મૂર્તિ એવા જગદીપભાઈના વ્યક્તિત્વમાંથી છલકાતી કરુણા એટલી ટૂંકી મુલાકાતોમાં પણ અનુભવી શકાઈ હતી. એક મિત્રએ અનાયાસે જ આ કવિતા મોકલી અને આ કવિતામાં છલકાતું તેમનું વ્યક્તિત્વ તેઓની સર્વતોમુખી ઊંડી કલાસૂઝનો આછેરો ખ્યાલ આપે છે.

Comments (8)