રહેવા દીધું ક્યાં અણદીઠું કંઈ ગૂગલે?
ઘટમાં તો બાકી લાખ ઘોડા થનગને.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રિલ્કે

રિલ્કે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




What will you do, God, when I die? – Rainer Maria Rilke

What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.

Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.

Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once —
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.

What will you do, God? I am afraid.

— Rainer Maria Rilke

શું કરશે તું, પ્રભુ ! મારા મૃત્યુ બાદ ?
તારી સુરાહી સમાન હું જ્યારે ભાંગીને વેરાયેલો હોઈશ ?
મારારૂપી તારી મદિરા જ્યારે વાસી-બેસ્વાદ થઈ જશે ?
હું તારું રોજીંદુ પહેરણ છું,
મને ગુમાવતાં તું તારો અર્થ ગુમાવી બેસે છે.

મારા વગરનો બેઘર તું ગુમાવી બેસશે
મધુરું ઉમળકાભેર સ્વાગત
પગરખાં છું હું તારા, મારા વિના
કલાન્ત નગ્ન ચરણો તારા ભટકતા રહેશે.

ભવ્ય ડગલો ઉતરી જશે તારો,
કરુણાસભર દ્રષ્ટિપાત તારો કે જે મારા ગાલ પર
રમતો રહેતો, તે શોધતો ફરશે એ ઉષ્મા
જે તેને નિત્ય હું ધરતો-
તે દ્રષ્ટિપાત, સૂર્યાસ્તની અદભૂત રંગસભા બરખાસ્ત થતાં,
અફળાતો રહેશે કાળમીંઢ ખડકોના ઉષ્માહીન ખોળામાં.

શું કરીશ તું, પ્રભુ ? ચિંતિત છું હું…..

આ વાત મને બહુ જ ગમી. અત્યંત હિંમતપૂર્વક કવિએ ઈશ્વરના અસ્તિત્વ અંગે મૂળભૂત પ્રશ્ન ઊભો કર્યો છે. શું ઈશ્વર માનવમનના એક ભ્રામક સર્જનથી વિશેષ કંઈ જ નથી ? ઉત્તર દરેકનો પોતીકો હોઈ શકે. અંગત રીતે હું તો દ્રઢપણે માનું છું કે માનવ ઈશ્વરનું સંતાન નથી, ઈશ્વર માનવનું સંતાન છે.I think, therefore I am. – Rene Descartes

Comments (4)

મમ નિર્વાણ પછી – રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે

મમ નિર્વાણ પછી, કરુણામય ! ક્યાં ઠરશો ?
આ પત્ર થશે ખંડિત, કે જળ શોષાઈ જશે
તો શું કરશો ?

હું તવ જરકસી જામો,હું તવ વાહન,
મારી હસ્તી અશેષ તમારો અર્થ કશો !

મુજ વિણ બેઘર ક્યાંય પરોણાગત નહીં પામો !
હું ચરણોની મખમલ ચાખડી, નહિ હોઉં તો
શ્રમિત પાય લઈ અડવાણા ક્યાં અથડાશો ?

એક સમે મમ ગાલ પરે ઠરતી દ્રષ્ટિ
જે સાંત્વન મેળવતી,
એ હિમખડકોમાં વિલય પામતા
સાંધ્યરંગ શી મૂરઝાશે……
હું કંપી રહું ભયથી, કરુણામય, શું થાશે ?

– રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે

જો કવિનું નામ ન લખ્યું હોય તો નખશિખ ભારતીય વિચારધારાનું જ કાવ્ય લાગે …..મહાકવિ ઈકબાલે પણ ખોંખારો ખાઈને અલ્લાહને કીધું હતું – જો હું નથી, તો તું ક્યાં થી ???

Comments (5)

શું કરશો હરિ ? – રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે

બોલોને, શું કરશો હરિ
મારા વિના એકલા, જયારે જઈશ હું મરી ?
હું તમારો ઘટ બનું જો ચૂરેચૂરા,

હું તમારા પ્રાણની ઊડી જાઉં જો સુરા,
હું તમારે કસબી હાથ વણાતો જામો
જાઉં સરી તો હાથ તમારો થાય નકામો,
મારા વિના હાય, થશો ઘરબાર વિહોણા,
નેહથી તમને નોતરી કરશે કોણ પરોણા ?

હું તમારી ચાખડી, મારા વિણ ઉઘાડાં
થાક્યાંપાક્યાં ચરણ ઘૂમશે ટેકરા-ખાડા,
સરી પડશે અંગથી તમ વિરાટનો વાઘો
આપણો સંગ જ્યાં ઓગળી જશે આઘો આઘો,
મારા ગાલ પે હેતભરી જ્યાં નજરું ઠરી,
તમને પાછી મળશે ક્યાં એ હૂંફ ઓ હરિ ?

નજરું નમશે ક્યાય તમારી આ વસમી પળે
હિમશિલાની ગોદમાં જેવી સંધ્યા ઢળે,
જીવ આ મારો કાંઈ મૂંઝાતો ફરી ફરી,
શું કરશો હરિ ?

– રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે

What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.

Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.

Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once –
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.

What will you do, God? I am afraid.

– Rainer Maria Rilke

મૂળ કાવ્યનો છંદમાં કાવ્યાત્મક અનુવાદ કરવા માટે કવિશ્રીએ ઘણી છૂટ લીધી છે ……મૂળ કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ વધુ સ્પષ્ટતાથી સમજાય છે … Bertrand Russel નું ઘણું જાણીતું વિધાન યાદ આવી જાય છે – ‘ God is a sweet,self-deceptive and romantic imagination of mankind. ‘

Comments (6)

કવિ – રિલ્કે ( અનુવાદ – ચંદ્રકાંત દેસાઈ)

હે પ્રહર !
તું મારાથી દૂર ઊડી રહ્યો છે;
તારી પાંખોની થપાટથી તું મને ઘાયલ કરે છે.
હું સાવ એકાકી;
શું કહેવું મારે મારા મુખ થકી,
મારી રાત્રિઓ અને દિવસોનું મારે શું કરવું ?

મારી કોઈ પ્રિયતમા નથી,
નથી કોઈ ઘર.
હું જે કોઈ ચીજના સંપર્કમાં આવું છું
તેને સમૃદ્ધ કરું છું,
અને તે મને અકિંચન બનાવે છે.

– રિલ્કે
(અનુ. ચંદ્રકાંત દેસાઈ)

રિલ્કેની કવિતા અભાવ અને એકલતાની કવિતા છે. કવિના નામે એ પોતાની જ વાત કરે છે.

Comments (8)

વેલેન્ટાઈન-વિશેષ :૨: તું – રેઇનર મારિયા રિલ્કે (અનુ. મહેશ દવે)

મારી આંખો ફોડી નાંખો : છતાંય હું જોઈ શકીશ;
મારા કાનને ભોગળ વાસી દો : છતાંય હું સાંભળી શકીશ,
તું હોય ત્યાં પગ વગર પણ હું ચાલી આવીશ
અને જીભ વગર પણ તારા અસ્તિત્વને સાદ દઈશ.
મારા હાથ કાપી નાખો :
મારા હૃદયની ઝંખનામાં
મુઠ્ઠીની જેમ તને જકડી રાખીશ,
હૃદયને બંધ કરી દો ને મારું ચિત્ત તારા ધબકાર કરશે,
અને મારા ચિત્તને બાળી મૂકશો
તો મારા લોહીમાં તું વહેતી રહેશે.

– રેઇનર મારિયા રિલ્કે
(અનુ. મહેશ દવે)

જર્મનીના મશહુર કવિ રિલ્કેની નાની છતાં બળુકી રચના. પ્રેમના ઉત્કટ ભાવને તીવ્રતાથી રજૂ કરતી આ કૃતિ ‘મારા’થી શરૂ થઈ ‘તું’ પર સમાપ્ત થાય છે. સફળ પ્રેમની લાં…બીલચ્ચ યાત્રા પણ હકીકતમાં તો ‘હું’થી ‘તું’ સુધીની જ છે ને ! આંખ-કાન-જીભ-હાથપગના રૂપમાં કવિ દૃષ્ટિ-શ્રુતિ-વાચા-સ્પર્શ એમ એક પછી એક ઈન્દ્રિયને ન્યોછાવર કરવાનું આહ્વાન આપે છે. ઈંદ્રિયાતીત થયા પછી હૃદય અને આખરે જો ચિત્તનો પણ નાશ કરવામાં આવે તોય કવિ મુસ્તાક છે પોતાના પ્રેમ પર કે મારા લોહીમાં તો તું વહેતી જ રહેશે… આ જ તો પ્રેમ છે!

Comments (5)