કોઈ જળને તરસતી માછલીને જળ મળે એમ જ,
મને જોતાં જ તું વળગી પડે મારા ગળે, એમ જ!
સંદીપ પૂજારા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દીના શાહ

દીના શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – દીના શાહ

ફૂલ  કેવાં  પરગજુ  થઈ જાય  છે,
મ્હેંકની  સાથે  રજૂ  થઈ જાય  છે.

તું  જ  મારી  બંદગી,  ને તું ખુદા,
જોઉં  છું જ્યારે વજૂ થઈ જાય છે.

ભીંત પર પડછાયો લાગે છે સરસ,
માનવીનું  એ ગજું થઈ જાય છે ?

જિંદગી  તેં  કેટલા  જખ્મો દીધા !
લાગણી તો પણ હજુ થઈ જાય છે.

એક  નક્શો  પ્રેમનો  છે  દોસ્તો !
યાદ  કોર્યું  કાળજું  થઈ  જાય છે.

પ્હાડ પર પાણીને જોઈ  થાય છે,
પથ્થરો કેવા ઋજુ થઈ  જાય છે !

-દીના શાહ

વ્યવસાયે સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ દીના શાહ જે કાબેલિયતથી ઈશ્વરની હયાતિના હસ્તાક્ષરને પૃથ્વી પર અવતારવાનું નિમિત્ત બને છે એ જ કુશળતાથી શબ્દોની પ્રસુતિ કરાવી કવિતા પણ અવતારી શકે છે. આ ગઝલના એક-એક શેર એનું પ્રમાણ બને છે. પ્રેમની ઉત્કટતા શું હોય છે એ જાણવા માટે બીજા શેર પર નજર કરો. પ્રિય પાત્રને ખુદા અને બંદગી કહેનારા શેર તો ઘણા આવી ગયા પણ અહીં જે અભિવ્યક્તિનું નાવીન્ય અને મૌલિક્તા છે એ અભૂતપૂર્વ છે. આપણા જીવનમાં શેનું મૂલ્ય વધુ ગણી શકાય? મંઝિલનું કે રસ્તાનું? મને લાગે છે જે મજા સફરમાં છે એ એના અંતમાં તો નથી જ. ઈશ્વરપ્રાપ્તિ એ મંઝિલ ખરી પણ પૂજા અને તપશ્ચર્યા વધુ સરાહનીય નથી? સાક્ષાત્ ઈશ્વર મળે એનાથી ય મોટી વાત છે આપણી જાતને આપણે ઈશ્વરપ્રાપ્તિ માટે તૈયાર કરીએ. માંહ્યલાને ધોઈને સાફ કરવો એ કદાચ વધુ અગત્યનું છે… અહીં પ્રિયપાત્રને આગળ ધરીને કવયિત્રી કેવી મોટી વાત કહી દે છે ! તું ઈશ્વર પણ ખરો અને તું મારી પૂજા પણ ખરો… પણ તું ખરેખર તો એનાથીય વિશેષ છે. તું નજરે ચડે એટલામાત્રથી જ વજૂ થઈ જાય છે… હું અંદર-બહારથી સાફ થઈ જાઉં છું !

(વજૂ=નમાજ પઢતા પહેલાં હાથ-પગ-મોં ધોઈ જાતને સાફ કરવાની ક્રિયા)

Comments (29)