ખેડૂત સ્ત્રીનું ગીત – અરવિંદ ભટ્ટ
ભાણે બેસો તો થોડું ભાવશે
મનમોજી! તમે ભાણે બેસો તો થોડું ભાવશે
ખેતરમાં જેમ તમે હળને હાંક્યું છે આજ
એમ આ વલોણું ફર્યું છાસમાં
ગાડાનાં પૈ જેવા રોટલામાં ભાત્ય જેમ
ક્યારીઓ કરી છે તમે ચાસમાં
ભોમાં ભાર્યું તે બારું આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે
વીંઝણામાં ઝાડવાના છાંયડા ગૂંથીને
હુંય ઢાળીને બેઠી છું પાટલો
નેજવું કરીને વાટ જુઓ વરસાદની
એમ હુંય જોતી’તી વાટ હો
ખાધું-પીધું તે ખભ્ભે આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે.
– અરવિંદ ભટ્ટ
જે રીતે ખેડૂત આંખનું નેજવું કરીને વરસાદની વાટ જોતો હોય એ જ રીતે ખેડૂતની પત્ની પોતે પતિ બપોરે કામ પતાવીને ભોજનભેગો થવા આવે એની વાટ જોતી હોવાનો હલકારો દઈને અંતરની વાત સ-રસ રીતે રજૂ કરે છે. ગીતનો ઉપાડ ‘ભાણે બેસો તો થોડું ભાવશે’ના ‘તો’કારથી થયો છે, એ પરથી એમ સમજાય છે કે ખેડૂતને ખાવાની વરણાગી હોવી જોઈએ. બીજી જ પંક્તિમાં પતિને ‘મનમોજી’ સંબોધન અને ‘તો’કારવાળા ધ્રુવપદની પુનરુક્તિ કરીને ખેડૂતની સ્ત્રી આપણને આ વાતની ખાતરી કરાવે છે. ખ્યાલ પણ ન આવે એવું ચીવટભર્યું કવિકર્મ તે આનું નામ… ‘તો’માંથી જન્મતી સ્વભાવની પ્રતીતિ, વિશેષણ વડે એની પુષ્ટિ અને પુનરુક્તિ વડે અધોરેખાંકન – આ છે સારા કવિની નિશાની. પ્રયત્ન કરવાથી સારું ગીત લખાતું નથી. પથ્થર ફોડીને ઝરણું ફૂટે એમ સારું ગીત તો ભીતરથી આપોઆપ નીકળે. ગીત લખાઈ ગયા પછી આપણે વિશ્લેષણ કરીએ કે આવી-આવી તરકીબો કવિએ ગીતમાં પ્રયોજી છે, પણ હકીકત એ હોય છે, કે ગીતરચનાને સારી કવિતાની કક્ષાએ લઈ જતી આવી પ્રયુક્તિઓ સમર્થ કવિની રચનામાં અનાયાસે જ સંમિલિત થઈ જતી હોય છે…
ખેડૂતે ખેતરમાં જે રીતે હળ હાંક્યું છે, એ જે ખંત અને ચીવટથી સ્ત્રીએ વલોણું ફેરવીને છાશ બનાવી છે. ગાડાના પૈડા જેવા મસમોટા રોટલામાં ખેડૂત જે રીતે ચાસમાં ક્યારીઓ કરે એમ પત્નીએ ભાત કરી છે. વાવશો એ જ લણશોની ઉક્તિને નાયિકા ભોજન સાથે બખૂબી સાંકળી લે છે – મનમાં સારો ભાવ હશે તો ભોજન જેવું હશે, એવું ભાવશે. પત્નીએ ઢાળેલા પાટલે પતિ જમવા બેસે ત્યારે પત્ની એને જે વીંઝણાથી પવન નાંખે એમાં ઝાડવાના છાંયડા એણે ગૂંથી લીધા છે. કેવું ઉત્તમ કલ્પન! ખાઈ લે, વહાલા… કારણ, આખરે તો જે ખાધું-પીધું હશે એ જ ગુણ કરશે. તાકાત એમાંથી જ મળશે. ખભા એનાથી જ મજબૂત થશે…
સરવાળે મારે તો તમને એટલું જ કહેવાનું કે, હે મનમોજી! વાંચવા બેસશો તો આ ગીત ભાવશે…