વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
ઉમાશંકર જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નલિન રાવળ

નલિન રાવળ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એક વૃદ્ધાની સાંજ – નલિન રાવળ

જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.
ચ્હેરા ઉપર કરચલિયોની ભુલભુલવણી મહીં
આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.
ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ
હવામાં સ્થિર થૈ ના થૈ તહીં…

ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી
પૂછે :
‘એ કોણ છે ?
ને હોઠ પર અંગાર આ કોણે મૂક્યો ?
ને લોહી આ કોનું હસે છે ?’
જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લાગી ગયાં.

– નલિન રાવળ

પહેલી નજરે અછાંદસ જણાતું આ કાવ્ય ‘ગાગાલગા’ના આવર્તનોને કારણે અનિયમિત લય જન્માવે છે જે એકાકી વૃદ્ધાના જીવનની સ્થિતિને બખૂબી ઉપસાવે છે. સાંજ આમેય વિષાદનું પ્રતીક છે. બારીની જાળીમાં ગૂંચવાઈ ગયેલો સાંજનો તડકો જીવનની સાંજે પહોંચી ચૂકેલી વૃદ્ધાના ચહેરા ઉપરની કરચલીઓ સાથે તાલ મેળવે છે. જીવનમાં હવે સમય અને સ્મૃતિ સિવાય કશું જ નથી. સમય પસાર કરવા ઊન ગૂંથતાં આંગળાં પણ ગતિ અને સ્થિતિની વચ્ચે આવ-જા કરે છે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ; જિંદગી યૂં તમામ હોતી હૈ…

Comments (3)

કૂંજ પંખી – નલિન રાવળ

આકાશમાં ઊડી રહી છે
કૂંજ પંખીની હાર……

અધવચ પ્રવાસમાં સ્હેલવા
ઊતરે છે સરવરની પાળ,
સંધ્યાના આછા ઉજાસમાં
વૃક્ષોની ટોચ પર
વિરમી લગીર
ફરી
ઊડે છે ચાંદનીથી ઝૂમતા આકાશમાં .
હુંય મારા અંતરના આભમાં
નીરખું છું :
કિલકારે ઊડતી એ જાય…..
કૂંજ પંખીની હાર.

– નલિન રાવળ

જે. કૃષ્ણમૂર્તિ કહેતા – a bird never travels on exactly same path twice.

Comments (1)

મારા હાથ – ઓક્તોવિયો પાઝ અનુ.- નલિન રાવળ

મારા હાથ
નિરાવરણ કરે છે તારા દેહ ને
આચ્છાદે છે તને અધિક નગ્નતામાં
તારા દેહમાંના દેહોને ખોલે છે
મારા હાથ
શોધે છે તારા દેહ અર્થે અન્ય દેહ

– ઓક્તોવિયો પાઝ અનુ.- નલિન રાવળ

My hands
open the curtains of your being
clothe you in a further nudity
uncover the bodies of your body
My hands
Invent another body for your body

આ પ્રકારના ઘણા કાવ્યો પાઝે રચ્યા છે તેમાંનું આ સૌથી વિખ્યાત છે. પ્રેમીનો જાદુઈ સ્પર્શ પ્રિયતમાએ અદ્યપિ કદી ન અનુભવેલા પોતાની કાયાના જ અનભિજ્ઞ સ્પંદનો ઝંકૃત કરવા સમર્થ છે. શારીરિક સંપર્કની તદ્દન અલગ જ કક્ષાએ કવિ લઇ જાય છે…….

Comments (9)

~ – ક્વાસિમોદો (અનુ. નલિન રાવળ)

…હું તને જાણું છું, તારામાં ખોવાઈ ગયો છું,
તારાં સ્તનોના ઉભારમાં નિખરી રહેલું સૌંદર્ય
તારા નિતંબોમાં ફેલાયેલું સૌંદર્ય,
તારા માદક દેહમાં લચી પડેલું સૌંદર્ય
તારા સુકુમાર ચરણોની દસ અંગુલીઓ
અને તારા દેહની રેખાએ રેખામાં ઝંકૃત થઈ
વહી રહેલું સૌંદર્ય.
પણ રહે, તને હું સ્વીકારીશ તો
તું પણ શબ્દ બની જઈશ – વ્યથા બની જઈશ.

– ક્વાસિમોદો (ઈટાલી)
(અનુ. નલિન રાવળ)

માણવા અને પામવા વચ્ચેનો ફરક સમજી લેવાય તો જિંદગીની અડધોઅડધ તકલીફ ઓછી ન થઈ જાય ? ગુણવંત શાહ યાદ આવે છે: “એક માણસ બે ભૂરી ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો”

Comments (5)

(સાંજતડકો) – નલિન રાવળ

પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો’ પંખી-શો
આ સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી, અટકતી, ડોલતી આકાશમાં ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સહેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી,
તારકો જેવાં ચળકતાં ડગ ભરી ગોરાં,
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં ?
ભીની પાંપણોની પાર
રમતો સ્નેહ પોચો, ગાઢમીઠો, રવભર્યો અંધાર
કે આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.

-નલિન રાવળ

સાંજના સમયે શાંત નદીના કિનારે ઢોળાવ પર વૃક્ષ પાસે ફૂલોની પથારીમાં સૂતેલી એક ઝૂંપડી અને એની ટોચેથી નીકતા ધુમાડાનું સુંદર મજાનું ચિત્ર કવિએ કલમના લસરકે ઉપસાવી આપ્યું છે. વૃક્ષની ઠેઠ ઉપરની નાજુક ડાળી પંખીનું વજન ઝીલી ન શક્તાં જે રીતે ઝૂલે એ રીતે સાંજનો તડકો વૃક્ષના છાંયાથી ભૂખરી દેખાતી ટેકરી પર જાણે ઝૂલી રહ્યો છે ! એક નાની કુમળી વયની નદી પર ધીમે ધીમે લહેરાતા પવન અને આછા પવનના કારણે ઝૂંપડીમાંથી નીકળતા લગભગ અગતિશીલ ધુમાડાની જેમ બાળા હળવી ગતિએ ઢોળાવ ઉતરતી નજરે ચડે છે. એનાં પગલાં કવિની સાંજના આકાશમાં ડોકિયું કરવાનું શરૂ કરતા તારા જેવા ચળકતાં દેખાય છે. એક તરફ ઢળતો સૂરજ છે તો બીજી તરફ જાણે આ ઊગતો સૂરજ છે. બંને સૂરજને એકમેકની સન્મુખ સ્થાપીને કાવ્યનાયકની આંખ જરા ભીની થઈ જાય છે… કુદરતની કરામતને નિહાળવી કે કુદરતના સર્જનને નિહાળવું એ પ્રશ્નના દ્વિભેટે આવીને કાવ્ય પૂરું થાય છે અને એક શાંત નીરવ છંદ ભાવકના મનોમસ્તિષ્કમાં રણઝણી ઊઠે છે…

પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય નખશિખ શુદ્ધ ‘ગાલગાગા’ના આવર્તનો લઈ ગતિ કરે છે…

Comments (6)

પ્રેમની પાર- ઓક્તોવિયો પાઝ – અનુ.- નલિન રાવળ

આપણે માટે પ્રત્યેક પદાર્થ ભયપ્રદ છે.
છેદે છે સમય મારા વિગત અને અનાગતને
કરી મૂકે છે મને છિન્નભિન્ન
જેમ
સર્પને ખંજર કટકે કટકે છેદી નાખે,
અને તમે –
જેને તૂરીનો કોઈ ઘોષ તોડી ન શકે એવી
પોકળ દીવાલો
અસંખ્ય ખંડિત ચિત્રોવાળું સ્વપ્ન
કે પયગંબરી વાણીના છાકવાળી લવરી
કે નહોર-દાંત વાળો પ્રેમ
કશું જ આપણે માટે પૂરતું નથી
આપણીયે પાર
પ્રાણ અને મહાપ્રાણની સરહદ રેખા ઉપર
અતીવ ચૈતન્યમય એવું જીવન
આપણને આવકારી રહ્યું છે
બહાર રાત્રિ પાસે છે – લંબાવે છે,
ઉષ્માભર્યા પર્ણો,પ્રતિસ્પર્ધી દર્પણો,
એની પારદર્શક ત્વચા છેદાઈ જાય
જે અંધ છે
તે જુએ છે
શબ્દો : ચૈતન્યની વિસ્તીર્ણ માયાજાળ –
હું
ફળો,નહોરો,નેત્રો
પસાર થવા મથતાં શરીરો
આ બધાંથી ભરી રાત્રિ બહાર ભાસે છે – લંબાવે છે

ફીણભર્યા કાંઠાની બહાર તમારો પગ ઉઠાવો,
આ જીવન કે જે જીવન શું તે જાણતું નથી
અને
જે તમને પ્રેરે છે રાત્રિને સમર્પિત થવા,
હાંફતી-ધબકતી ધવલતા, ઓહ વિભક્ત તારક,
સવાર તરફ પલ્લું નમાવતો રોટલાનો ટુકડો,
આ સમય અને અનંત સમય વચ્ચેનો
મૂર્ત વિરામ.

– ઓક્તોવિયો પાઝ

અભિવ્યક્તિ જરા અટપટી છે…. મૂળ વાત છે શબ્દોની નિરર્થકતાની અને મિથ્યા પ્રેમની મોહજાળ ની… fear -ભય -એ આપણાં જીવનને સતત ગ્રસે છે. નહોર અને દાંત વાળો પ્રેમ પ્રેમીજનને જ ખાઈ જાય છે. અહી મિથ્યા પ્રતિબિંબોને પ્રસરાવતા પ્રતિસ્પર્ધી દર્પણો છે. સર્વત્ર મોહ રાત્રિ પથરાઈ છે. ‘જે અંધ છે તે જુએ છે’- આ વાચાળ વિરોધાભાસ ઉપનિષદવાક્ય યાદ કરાવી દે છે-બોલનાર જાણતો નથી અને જાણનાર બોલતો નથી…. મૂર્ત સમય દર ક્ષણે આપણને છેદે છે,છળે છે.

આ સઘળું અતિક્રમીને આપણે પ્રાણ અને મહાપ્રાણ ની સરહદ રેખા ઉપર જે અતીવ ચૈતન્યમય જીવન છે ત્યાં પહોંચવાની યાત્રા પ્રારંભવાની છે…..

આ તો થઈ theory – ઘણીવાર વિચાર આવે કે બધા જ વિચારકો આ જ વાત કરે છે. આ વાતની practical applicability કેટલી ? શું આ વાત કોઈ નક્કર હકીકત છે કે ઠાલાં પોથીમાંનાં રીંગણાં ? – આ વાતનો જવાબ મને કંઈક આવો અનુભવાય છે- દરેક વ્યક્તિની અંગત યાત્રા તેની ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ ઉપર અવલંબે છે. જેને પ્રશ્નો થશે તે જવાબ શોધશે….

Comments (1)

કવિનો હાથ – નલિન રાવળ

કવિનો હાથ
મારા હાથમાં
છલકંત જાણે સૂર્યના સ્મિતથી સભર આકાશ
મારા હાથમાં
પત્ર રે
કવિનો હાથ
મોહક પૃથ્વીનો જાણે વસંતલ અબ્ધિનો ઉછળંત લય

લય અહીં ગુંજે
ગ્રહો તારા નિહારિકા સતત ગુંજે
કવિનો હાથ
મારા હાથમાં
રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.

-નલિન રાવળ

કવિનો, સર્જકનો હાથ જ્યારે હાથમાં આવે છે ત્યારે આકાશમાં સૂર્ય તાપ વરસાવતો નહીં, સ્મિત કરતો લાગે છે.  વસંતરાજના મહાસાગરનો મોહલ લય જે કદાચિત્ બ્રહ્મ અને બ્રહ્માંડના લય સાથે પણ તાલમેળ ધરાવે છે એની અનુભૂતિ કવિનો હાથ હાથમાં આવે ત્યારે થાય છે. પણ આ હાથ શું કોઈ સ્થૂળ હાથ છે? હરીન્દ્ર દવે આ કવિતા સમજાવતી વખતે ખૂબ સૂક્ષ્મ વાત કરે છે-

તમે ક્યારેય કવિના હાથ સાથે હાથ મેળવ્યો છે ?
હા ?
તો તમને આ બધી જ વાત ઉપલક લાગશે.
ના ?
તો તમને આ સમજાશે નહીં.

– હવે કવિના આ ‘હાથ’ વિશે ફરી વિચારીએ…

Comments (8)

મન ઉમંગ આજ ન માયો – નલિન રાવળ

મન ઉમંગ આજ ન માયો
કે
ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
નીલ નભે જઈ ઈન્દ્રધનુ બની છાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
ફળફૂલના સાગર પર શો વસંત થઈ લહેરાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
પંખીગણના કલરવ મહીં ગવાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
અપરિમેય લાવણ્યમયીના હિય મહીં
                             મધુર રાગ થઈ વાયો

– નલિન રાવળ

દુ:ખનું ગીત લખવા કરતાં આનંદનું ગીત લખવું અઘરું છે. આ ગીતના કલ્પનો બધા જાણીતા છે છતાંયે એના ઉપાડમાં જ એવું કશુંક છે કે તરત આકર્ષે છે. આનંદ જ્યારે ઊભરાય ત્યારે આખા વિશ્વને ગાતો કરી જાય છે એ ઘટનાનું મધુરું ચિત્ર કવિ દોરી આપે છે. ‘હિય’ શબ્દ ક્યાંય મળતો નથી, એ હૈયા કે હ્રદયનો અપભ્રંશ હોય એવું અનુમાન કરું છું.  

(અપરિમેય=જેનું માપ ન થઈ શકે એવું, હિય=?હ્રદય)

Comments (4)