એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

શેખાદમ આબુવાલા

(એને ક્યમ ઢંઢોળું) – હરીશ મીનાશ્રુ

સીસ નવાવૈ સંત કો, સીસ બખાનૌ સોય|
પલટૂ જો સિર ના નવૈ, બિહતર કદ્દૂ હોય॥
(પુણ્યસ્મરણ: પલટૂદાસ)

નમે સંતને શિર, નમે તે શિર નહિતર કોળું
ઊંઘણશી જે છતે જાગ્રતિ, એને ક્યમ ઢંઢોળું

મરુથળ શું મન, મૃગજળનો
તેં ખંતે કીધો ખડકલો
સરવર સમજી રાચે
એ તો પરપોટાનો ઢગલો

ભરતી ઓટે ઉછાંછળું તે નીર લવણથી ડહોળું
ઝીલવાં બારે મેઘ ને તારું છાછર સાવ કચોળું

ઘટમાં ઘર ઘેઘૂર ને ભીતર
જે વસનાર ગૃહસ્થી
ખપે ન એને મહેલ મિનારા
ગેહ કે ગુહા અમસ્થી

વણ નક્શાનું ઘર એ ઝીણું, નથી સાંકડું પહોળું
દશે દિશાનાં અંબર : લલદે શીદ જાચે ઘરચોળું

– હરીશ મીનાશ્રુ

ઓગણીસમી સદીના પ્રારંભ-મધ્યકાળમાં થઈ ગયેલા સંત પલટૂદાસ કે પલટૂસાહિબ બીજા કબીરના નામે પણ ઓળખાય છે. એમનો પ્રસિદ્ધ દોહો હાથમાં ઝાલાને કવિ સ-રસ રીતે વિચાર વિસ્તાર કરે છે. જે માથું સંતના ચરણોમાં નમે છે, એ જ સાચું માથું છે; જે નથી નમતું એ મસ્તક નથી, કોળું છે. આ વાત કવિ ગીતસ્વરૂપે વધુ વિગતે કરે છે.

જે જાગવા છતાં જાગી નથી શકતાં એને કઈ રીતે ઢંઢોળી શકાય? રણ જેવા મનમાં મૃગજળ જેવી તૃષ્નાઓનો ખડકલો કરીને આપણે જીવીએ છીએ. જેને સરોવર ગણીએ છીએ એ જીવન તો પળમાં ફૂટી જાય એવા પરપોટાઓના ઢગલાથી વિશેષ કંઈ નથી. સ્થિર હોય એ નીર જ સાફ રહી શકે. દરિયાનું પાણી ભરતી-ઓટના ઉછાળા મારે છે, ઉછાંછળું છે એટલે એ મીઠાંના ભારથી કાયમ ડહોળું રહે છે. આપણી ભીતર જે આત્મા છે, ઈશ્વર છે એને કશાનો ખપ નથી. આ ઘરનો કોઈ નકશો નથી. એના કોઈ આયામ પણ નથી. એ દિશાઓ ધારણ કરે છે ને આપણે એને ઘરચોળું પહેરાવવા મથીએ છીએ, કહીને આપણા સૂતેલા માહ્યલાને જગાડવાની ફેર કોશિશ કરે છે.

(છાછર-તાસક, રકાબી; કચોળું-છલોછલ)

1 Comment »

  1. pragnajuvyas said,

    January 23, 2020 @ 11:17 AM

    એને કેમ ઢ્ંઢોળુ હરીશ મીનાશ્ર નુ સ રસ ગીત
    સીસ નવાવૈ સંત કો, સીસ બખાનૌ સોય|
    પલટૂ જો સિર ના નવૈ, બિહતર કદ્દૂ હોય॥
    પુણ્યસ્મરણ: પલટૂદાસના વિચાર વિસ્તારના ગીતને ડૉ વિવેકજીએ સુંદર રીતે આસ્વાદ કરાવવા બદલ ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment