જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2025

(કોઈ બપોરે) – મનોજ ખંડેરિયા

કોઈ બપોરે ભરવા બેઠી
રેશમ-દોરે ભરવા બેઠી
મોર લીલો રે ભરવા બેઠી
.                     ઘરથી નવરી થઈ

પીછું ભરતાં પાંખ થરકતી
કંઠ ભર્યો ત્યાં ગ્હેક છટકતી
જોતી રહી ને આંખ ફરકતી
.                     ઊંડી ઊતરી ગઈ

ઊંડા કંઈ ઘારણમાં ઊંડે
વીતી નમણી ક્ષણમાં ઊંડે
જીવતરના દર્પણમાં ઊંડે
.                     નિજને નીરખી રહી

– મનોજ ખંડેરિયા

અંજનીગીત એટલે અપ્રતિમ નજાકતનું ગરવું લાવણ્ય! અંજનીનું પોત એટલું ઝીણું છે કે કવિતા કઈ ક્ષણે સર્જાય છે એ સમજાય એ પહેલાં તો ગીત પૂરું થઈ જાય… પ્રસ્તુત રચના એનું સબળ ઉદાહરણ છે. કાવ્યનાયિકા કોઈ એક બપોરે નિરાંતના સમયમાં ઘરકામથી નવરી થઈ રેશમદોરે લીલો મોર ભરવા બેઠી છે. સ્ત્રીને નવરાશના સમયે ભરતકામ કરતી નિહાળવી એ એક લહાવો છે. મનગમતી પ્રવૃત્તિ કરતી વખતે સ્ત્રી સમાધિ ન લાગી ગઈ હોય એટલી એમાં ઓતપ્રોત થઈ જતી હોય છે. અહીં પણ એમ જ બન્યું છે. કપડામાં મોરનું પીછું ભરી રહેલ નાયિકાને મોરની પાંખ થરકતી હોવાનું પ્રતીત થાય છે. ગળાનો આકાર ઘડાયો એવામાં ટહુકો છટકી જતો સંભળાયો. ભરવાનું કામ અટકી ગયું અને નાયિકા પોતાના ભરેલા મોરને સજીવ થયેલો જોઈને સમાધિ અવસ્થામાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ. નાયિકા સંત નથી એટલે પોતાની આ ઝેન કે સમાધિની સ્થિતિને ઊંડી ઊંઘમાં પોતે ઊતરી ગઈ હોવાનું કહીને વર્ણવે છે. જીવતરના દર્પણમાં ઊંડે ઊંડે એ સ્વને નીરખે છે. સજીવન થયેલ અનુભવાતું પંખી નાયિકાના ખુદને માટે સંજીવની બની રહે એ કેવી મોટી વાત!

અંજનીગીત કાવ્યપ્રકાર વિશે વધુ જાણવા માંગતા મિત્રો અહીં ક્લિક કરે.

Comments (9)

હરણી હાલી – પ્રિયકાન્ત મણિયાર

.                                  હું તો મટુકી લઈને ચાલી,
સવાર પડે ને સપનાનાં મુજ ભર્યાં સરોવર ખાલી!

સરાણ ચડયા પાનાને હો પાણીની જે પ્યાસ,
અંતરમધ્યે ઊપની એવી આગ બનીને આશ,
.                    કોઈ મુજને પાઓ છલછલ પ્યાલી.

બપોર બળતી રોમે રોમે હવા વીંઝણો ઢોળે,
લથડ્યા ચરણો કેમ પ્હોંચવું મૃગજલની એ પાળે!
વનને મૂકી ત્હોય વેગળા, વેગ ભરીને હરણી હાલી!

– પ્રિયકાન્ત મણિયાર

વાત તો તરસની છે, પણ કઈ તરસ? રાત આખી તો ઊંઘમાં સપનાંના સરોવરો ભર્યાભાદર્યાં અનુભવાય છે, પણ આંખ ખૂલતાવેંત વિયોગની વાસ્તવિક્તા ઘેરી વળે છે. આ તરસને સરાણે ચડેલ પાનાંની પ્યાસ સાથે સરખાવીને કવિએ વાતને કેવો વળ ચડાવ્યો છે! પાનું સરાણ પર ઘસાવા ચડ્યું હોય એ સમયે પાણી ઉમેરતા જવામાં ન આવે તો પાનું ઘસાઈને તીણું થવાના બદલે ખરાબ થઈ જાય. પાનું ઘસાય ત્યારે જે ગરમી ઉત્પન્ન થાય એવી જ પિયુમિલનની આશાની આગ નાયિકાના અંતરમધ્યે જન્મે છે. તરસના માર્યા ચરણો કહ્યામાં નથી, અને આવા લથડાતા પગે વાસ્તવિક્તા તો ઠીક, આભાસ સુધી પહોંચવાનું કામ પણ કેવું દુષ્કર! પણ તોય વિરહિણી હરણી જીવનજળની તલાશમાં વેગ ભરીને દોડતા રહેવાનું ત્યજતી નથી…

(ઊપનવું= ઊપજવું)

Comments (7)

સામે કાંઠે- – ચંદ્રકાન્ત શાહ

આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?
આ જો, આ કાંઠેથી પેન ધરેલો હાથ કરું છું, દેખાય છે કે? હું જ છું ને?

આ કાગળને બે કાંઠે જે
અધીરાઈનો ઝીણો—ધીમો તલપાપડ વરસાદ પડે છે
એનાથી તું પલળે છે ત્યાં જેવું
હું પણ એવું પલળું છું અહીં!

શબ્દોનું આ પૂર ઊતરે કાગળ પરથી,
અરે પછી તો તું પણ થોડી હિંમત રાખી
આવ ઊતર કાગળમાં-
હું પણ મારું ધુબકો
ભીંજાવાના ભાવથી ભીનાં, મળવાની પણ મજા આવશે નહિ?

કાં પછી આ કાગળિયાનાં મૂળ સુધી ચાલીને જઈએ ઊંડે ઘૂને, જવું જ છે ને?

કાગળની ચોફેર અવાજો સૂનકારના
ધોધમાર ને લથબથ લથબથ
ઉછાળા મારે છે મારા શ્વાસ, ગમે છે સાંભળવાનું?

સીનસીનેરી ઝાંખીપાંખી
લીલોતરી નીતરતી તારી આંખ
વૃક્ષોની, ટીપાંઓની આ સુગંધ વચ્ચે, આમ અચાનક ફાવે છે મળવાનું?

મારામાંથી નીકળી, ઘોડાપૂર ઊછળતો, ધસમસ કરતો કાગળ
તારામાં ભળવા આવે છે, આવે જ છે ને?

આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?

– ચંદ્રકાન્ત શાહ

કેટલાક માણસ જનમથી જ બહારવટિયા હોય છે. સમાજની પ્રસ્થાપિત ગલીઓમાં એ શ્વાસ જ લઈ ન શકે. ઘરેડમાં ચાલતી વસ્તુઓને તહસનહસ કરી પોતાની રીતે કંઈક નવું ન નીપજાવે ત્યાં સુધી એમને ધરવ જ ન થાય. ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ આવા જ એક સર્જક હતા. એમની આ રચનાને જરા ધીરજપૂર્વક ચકાસીએ તો કવિએ ગીત જેવું કંઈક લખ્યું હોય એમ પ્રતીત થાય. બે પંક્તિનું મુખડું, બે બંધ અને મુખડા સાથે પ્રાસ મેળવવાની મથામણ કરતી બે પૂરકપંક્તિઓ; લય પણ ગીતનો-પણ શું આને આપણે ગીત કે અનુઆધુનિક ગીત કહી શકીએ ખરા? ગીતના બંધની બે કડી વચ્ચે પ્રાસ મેળવવામાં આવે એ જ રીતે કવિએ ‘અહીં’-‘નહિ’ તથા ‘સાંભળવાનું’-‘મળવાનું’ વચ્ચે પ્રાસના અંકોડા તો મેળવ્યા છે,પણ આવર્તનોની સંખ્યા વચ્ચે તાલમેળ જાળવ્યો નથી. એ સિવાય લયમાં પણ ક્યાંક ક્યાંક ખાંચા રહી ગયા છે. આને ગીત કહીએ કે ગીતેવ- એ નક્કી કરવાનું કામ વિવેચકો પર છોડી દઈ આપણે કવિતા ઉપર ધ્યાન આપીએ… એકવાર-બેવાર-ત્રણવાર – જેમ જેમ આ કવિતા મમળાવતા જઈશું તેમ તેમ એ વધુને વધુ ગમતી જશે એની ગેરંટી…

Comments (4)

આબરૂ જળવાઈ ગઈ – દિલહર સંઘવી

સૂર્યથી અંજાઈ દૃષ્ટિ ભોંય પર પથરાઈ ગઈ,
કયાં નજર ફેંકી હતી ને ક્યાં નજર ફેંકાઈ ગઈ!

દિલની છાની વાત દિલમાં રાખતાં ના આવડી,
આપણી પ્રીતિ જગતમાં એટલે પંકાઈ ગઈ.

કોઈને ચૂંટવા ન દીધી માળીની રખવાળીએ,
તે છતાંયે સાંજ રે ફૂલની કળી કરમાઈ ગઈ.

દિલની કૂંણી ઊર્મિઓને પીસવાનું બંધ કર,
રંગ આવી ગ્યો હવે – મેંદી હવે ઘૂંટાઈ ગઈ.

દુશ્મની કરતાં ડરે છે એટલે કરતો નથી,
દોસ્ત તારી, દોસ્તદારી પણ મને સમજાઈ ગઈ.

કેમ ના લાગે જગત આખું પછી દોજખ સમું?
માનવીના દિલ મહીંથી પ્રીત ગઈ, સચ્ચાઈ ગઈ.

કાયમી વસવાટ માની આપણે લડતા રહ્યાં,
છે જવાનું આંહીથી એ વાત પણ વિસરાઈ ગઈ.

આપની રહેમત ખુદા, જ્યાં ઊતરી મારા ઉપર,
સાવ મુફલિસી મહીં પણ આબરૂ જળવાઈ ગઈ.

મેં સગા હાથે જ લૂંટાવી હતી ‘દિલહર’ પછી,
શું કરું ફરિયાદ કે દિલની મતા લૂંટાઈ ગઈ!

– ‘દિલહર’ સંઘવી

લયસ્તરો પર સ્વાગત-સપ્તાહના અંતે આજે સાતમા પુસ્તકને મીઠો આવકારો દઈએ…. કવિશ્રી ‘દિલહર’ સંઘવીની ચૂંટેલી ગઝલોના સંપાદન ‘ધન્ય છે તમને’માંથી એક સ-રસ મજાની ગઝલ મમળાવીએ… (સંપાદક: ભરત વિંઝુડા)

Comments (1)

સ્વાગત-સપ્તાહ :૦૭: છેલ્લો મુકામ – હરિહર શુક્લ

અંતરાયો દૂર કરવાના તમામ,
પહાડની ટોચે જઈ લેવો વિરામ.

કોઈનું લેણું, ન દેણું કોઈનું,
કોઈ શાહુકાર, ના કોઈ ગુલામ.

એટલે કાબૂ મહીં આવ્યો નહીં,
એષણાના અશ્વને ક્યાં છે લગામ?

હુંય રગદોળાઈ સોનું થઈ ગયો,
વિસનગરની ધૂળને સો સો સલામ.

મહેલ હો તો હું કરી દઉં, પણ ‘હરિ’-
ઝૂંપડીને કેમ કરવાની લિલામ?

એક-બે ડગલાં ભરી આગળ, “હરિ’;
જોઉં પાછળ, છોડ્યો મેં છેલ્લો મુકામ?

– હરિહર શુક્લ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘મૌન પણ સંભળાય છે’નું સપ્રેમ સ્વાગત…

સરળ ભાષામાં સુંદર મજાની ગઝલ. આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ મહાભારતની ઉપકથાનો સંદર્ભ આગળ વધારતો શેર મને સવિશેષ સ્પર્શી ગયો. ગરીબ બ્રાહ્મણને ત્યાં એંઠી પતરાળીમાં આળોટતાં નોળિયાનું અડધું અંગ સોનાનું થઈ ગયું હતું. બાકીનું અડધું અંગ પણ સોનાનું થઈ જાય એ આશાએ નોળિયો યુધિષ્ઠિરને ત્યાં યજ્ઞમાં આળોટવા આવે છે પણ સફલા થતો નથી. ત્યાગનો મહિમા સમજાવતી આ મહાકથાને કવિ એક કદમ આગળ વધારે છે એમાં વાતને સાર્થક્ય સાંપડે છે. નોળિયાનું તો અડધું જ શરીર સોનાનું થયું હતું, પણ વતનની ધૂળમાં આળોટવાથી કવિની આખી કાયા કંચનની બની ગઈ છે… વતનનો મહિમા કેવી અદભુત રીતે અને કેવી સહજતાથી કવિએ કર્યોપ છે!

Comments (11)

સ્વાગત-સપ્તાહ :૦૬: (કોણ આપી જાય છે?) – વિનોદ રાવલ

સ્વપ્ન જેવો ફૂલગજરો કોણ આપી જાય છે?
પૂછ મા તું પ્રશ્ન અઘરો, કોણ આપી જાય છે?

જાત જેવો બંધ કમરો કોણ આપી જાય છે?
જીવ એમાં એક અથરો કોણ આપી જાય છે?

કેસૂડાનાં ફૂલ, ટહુકા, એમાં તારું આવવું,
એકધારી મીઠી અસરો કોણ આપી જાય છે?

પ્રિય તારું નામ લખતાં પેન હાંફી જાય જ્યાં,
એ ક્ષણે તૈયાર ફકરો કોણ આપી જાય છે?

કોઈની સુંદર સ્મૃતિ ભુંસાઈ જાવાની ક્ષણે,
મસ્ત ફોટો સાફસૂથરો કોણ આપી જાય છે?

– વિનોદ રાવલ

લયસ્તરો પર આજે અમરેલીના તબીબ-કવિના પ્રથમ સંગ્રહ ‘હરિ આવ્યા તળેટીમાં’ને મીઠો આવકાર આપીએ…

‘કોણ આપી જાય છે’ જેવી પ્રશ્નવાચક રદીફ કવિએ બખૂબી નિભાવી તો છે જ, મત્લામાં ‘પૂછ મા તું પ્રશ્ન અઘરો’ કહીને જવાબ પણ આપી દીધો છે. છેલ્લો શેર સહેજ સામાન્ય થયો છે, પણ એ સિવાયના ચારેય શેર કેવા બળકટ થયા છે! મત્લામાં કેવળ ફૂલગજરાની જ વાત કરી હોત તો શેર કદાચ સાધારણ બનીને રહી ગયો હોત, પણ આ ફૂલગજરો સ્વપ્નનો છે એમ કહી જ્યારે કોણ આપી જાય છેનો સવાલ કવિ ઊઠાવે છે ત્યારે લાંબો સમય મનોમસ્તિષ્કના ગુંબજમાં પડઘાયે રાખે એવો સ-રસ શેર જન્મેછે!

Comments (10)

સ્વાગત-સપ્તાહ :૦૫: આંગણ આપો – નીતિન પારેખ

આખેઆખું આભ નહીં તો આંગણ આપો,
મેળો ના આપો તો મનગમતું જણ આપો.

પ્રેમ નામનો રસ્તો શાને અંત વિનાનો,
સમજ નથી કંઈ પડતી, થોડી સમજણ આપો.

કાન દઈને સાંભળીએ બસ વાત તમારી?
અમને પણ કંઈ કહેવા જેવી તો ક્ષણ આપો!

ધીરે ધીરે આંસુ સાથે સરકી જઈશું,
નેહ નહીં તો નયનોનું આ આંજણ આપો.

વિરહ નામના વિષના ઘૂંટડા ક્યાં લગ પીશું!
ઝેર ભલે આપ્યું પણ એનું મારણ આપો.

– નીતિન પારેખ

લયસ્તરો પર કવિના તાજા સંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ની આગતાસ્વાગતા કરીએ…

માંગણીનો પનો જેટલો ટૂંકાવી શકાય, જીવન એટલું જ સુખસભર બને. આ વાત કહેતી કવિતાઓ તો ઘણી જડી આવશે. પણ અહીં વાત જરા નોખી છે. અહીં તો આખેઆખું આભ મળે તો એય ગુંજે ભરવાની તૈયારી છે. પણ હા, સકળના સ્વીકારની તત્પરતાની હારોહાર જ સકળ ન મળે તો કેવળ એક આંગણથી ચલાવી લેવાની સજ્જતા પણ છે. ઝંખના તો મેળાભર માનવમહેરામણને ચાહવાની છે, પણ એના વિકલ્પે કેવળ એક મનગમતી વ્યક્તિથી ચલાવી લેવાની તૈયારી પણ છે. બીજો શેર પણ એવો જ જાનદાર થયો છે. સરવાળેઆખી ગઝલ જ આસ્વાદ્ય.

Comments (3)

સ્વાગત-સપ્તાહ :૦૪: જવાબમાં – વિકી ત્રિવેદી

કંઈ પણ લખ્યા વગર મળ્યો કાગળ જવાબમાં,
યાને મૂક્યું છે એમણે મૃગજળ જવાબમાં.

એણે પૂછ્યો’તો પ્રશ્ન પ્રમાણિકતા બાબતે,
મેં વસ્ત્રમાં બતાવી દીધા સળ જવાબમાં.

તું આવા પ્રેમથી મને તબિયત ન પૂછ, દોસ્ત!
આંખો નહિ તો થઈ જશે ખળખળ જવાબમાં.

“ભગવાન ન્યાય કરશે” કહીને રડી પડ્યો,
બીજું તો શું કહી શકે નિર્બળ જવાબમાં?

એણે કહી છે ‘હા’ છતાં પણ મન મરી ગયું,
એણે સમય લીધો હતો પુષ્કળ જવાબમાં.

ત્યાં માણસો જીવંત છે એવું કહી શકાય,
અન્યાય સામે થાય જ્યાં ચળવળ જવાબમાં.

તારા જવાબ કરતા વધુ દુઃખ એ દઈ ગઈ,
મનમાં કરી હતી જે મેં અટકળ જવાબમાં.

એવા સવાલ લઈને હું જીવી રહ્યો છું આજ,
ફાંફા પડે પ્રભુનેય બે પળ જવાબમાં.

કોઈ જ એવી વ્યક્તિએ પૂછ્યું નહીં મને,
ચીંધાય જેને હૈયા સમું સ્થળ જવાબમાં.

– વિકી ત્રિવેદી

લયસ્તરોના દ્વારે સર્જકના વધુ એક સંગ્રહ ‘જાતે પ્રગટ થશે’ને સસ્નેહ આવકાર…

નવ શેરની નવલખી ગઝલ… લગભગ બધા જ શેર જાનદાર થયા છે.

Comments (12)

સ્વાગત-સપ્તાહ :૦૩: સન્નાટાજી – લતા હિરાણી

હે સન્નાટાજી
ગામ, સીમ, કેડા છોડીને
અમ ફરતા કાં આંટા જી?
હે સન્નાટાજી!

તમે જનમિયા સૂની સાંજને કાળે પેટે કાં?
કિયા જનમના વેર કહોને કિયા જનમના ઘા?
બેસે, હાંફે, શ્વાસ સાંભળે, તવ ખિખિયાટા જી
હે સન્નાટાજી!

પાંપણ પરથી રાત ઉતરડી ધક્કા માર્યા, જો
ઝાંખી પાંખી નીંદરને ખૂણે દઈ દીધો ખો
છાતી અંદર તૂટે, ફૂટે, થાય ન વાટા જી
હે સન્નાટાજી!

હાથ વછૂટી જાય ઘડી ને વેળ વેળ ના રે’
અડવાણા ને અવળા પગલે, દાવ જીવડો દે
કચ્ચરઘાણ અમારા, તમને સેરસપાટા જી
હે સન્નાટાજી !

અપરાધી છો અમે રહ્યા પણ દયા માંગીએ જી
ફાટી આંખોના ઉપવાસો, કહો ભાંગીએ જી
જરી જુઓ સામું, ના વાળો આવા સાટા જી
હે સન્નાટાજી !

– લતા હિરાણી

લયસ્તરો પર સર્જકના ગીતસંગ્રહ ‘ઊગ્યું રે અજવાળું’ને સસ્નેહ વધાવીએ…

સારું ગીત ઉપાડ લેતાવેંત ભાવકને ચસોચસ બાંધી લેતું હોય છે. સુરેશ દલાલે કહ્યું હતું કે ગીત એના મુખડામાં જ શરૂ થઈ પૂરું પણ થઈ જતું હોય છે. સાચી વાત છે. કવિએ જે હૃદયોર્મિ વ્યક્ત કરવી છે, એ તો મુખબંધમાં જ રજૂ થઈ જાય. એ પછી બાકીના ગીતમાં તો એનો ચિતોવિસ્તાર જ કરવાનો રહે. આ ગીત ઉભય કસોટીઓ પર ખરું ઉતરે છે. એક તો સન્નાટાને સંબોધીને વાત કરાઈ હોવાથી ભાવક કાવ્યારંભે જ સાનંદાશ્ચર્ય અનુભવે અને બીજું, આ સંબોધનમાં સર્જકે માનવાચક ‘જી’ ઉમેરી ચેરી ઓન કેક જેવી ફ્લેવર ઉમેરી છે. સામાન્ય રીતે સન્નાટો તો સીમ અને કેડામાં રાજ કરે, અને ધગધગતો ઉનાળો હોય ત્યારે ગામમાં પણ. પણ અહીં એ કથક ફરતે આંટા મારી રહ્યો છે. એટલે કથક સન્નાટાને માનપૂર્વક પૂછે છે કે નિયત સ્થાનો પર પસંદગીનો કળશ ન ઢોળતાં આપશ્રી અમારી આજુબાજુ શીદ આંટા મારી રહ્યા છો? આવું મજાનું મુખડું કોને વશીભૂત ન કરે! મુખડાથી આગળના ગીતનો આનંદ ભાવકની ભાવનક્ષમતા ઉપર છોડી દઈ વિરમું…

Comments (6)

સ્વાગત-સપ્તાહ :૦૨: ચટ્ટાનો ખુશ છે – લતા હિરાણી

ચટ્ટાનો ખુશ છે
ખુશ છે પાણા પથ્થર
વધી રહી છે એની વસ્તી
ગામ, શહેર, નગર…
પેલી પર્વતશિલા હતી કેવી
જંગલ આડે સંતાયેલી
હવે આખે આખ્ખો પર્વત
નાગોપૂગો બિચ્ચારો
ફાટી આંખે જોઈ રહ્યો ને રોઈ રહ્યો
કોઈ નથી એનું તારણ
હારી ગયા ને હરી ગયા
ઝાડ, પાન ને જંગલ
ખુશ છે પાણા પથ્થર
વિશ્વાસ છે એમનો જબ્બર
કરશું અમે તો રાજ અહીં
વાર હવે ક્યાં?
આમ જુઓ
આ માણસનાયે પેટે હવે
પાકી રહ્યા છે પથ્થરો.

– લતા હિરાણી

લયસ્તરો પર કવયિત્રીના નવ્ય અછાંદસ સંગ્રહ ‘સાવ કોરો કાગળ’નું સહૃદય સ્વાગત…

વધતા જતા શહેરીકરણ અને જંગલોના વિનાશની વ્યથાની સમતુલિત રજૂઆત કરતી રચના. રચના સ્વયંસ્પષ્ટ હોવાથી વિશેષ ટિપ્પણીની આવશ્યક્તા જણાતી નથી. પણ કવયિત્રીના સંગ્રહમાંથી પસાર થતાં એક બાબતે મારું સવિશેષ ધ્યાન ખેંચ્યું. કવયિત્રીએ સમગ્ર સંગ્રહમાં અલ્પવિરામ, ઉદગારચિહ્ન, અવતરણચિહ્ન તથા પ્રશ્નચિહ્ન બાબતે જેટલી સજગતા દાખવી છે, એટલી જ ઉદાસીનતા પૂર્ણવિરામ બાબત સેવી છે. આ ટિપ્પણી અત્રે કરવા પાછળનો પ્રમુખ હેતુ કેવળ એ જ છે કે આજકાલ ગુજરાતી કવિઓમાં વિરામચિહ્નો અને જોડણી સહિત ભાષાશુદ્ધિ બાબતે ખાસ્સી નીરસતા પ્રવર્તે છે. હમણાં એક જાણીતા કવિએ ‘પહેરણ’ માટે ‘તૂટવું’ ક્રિયાપદ પ્રયોજ્યું હતું. એમનું ધ્યાન એ તરફ દોર્યું તો એમની પાસે વ્યાકરણના નિયમોના આધારના બદલે કેવળ એક જ દલીલ હતી કે બીજાઓએ પણ આ ક્રિયાપદ પહેરણ માટે વાપર્યું છે. પણ પોતાની વાતના સમર્થન માટે તેઓ કથિત ઉદાહરણો રજૂ ન કરી શક્યા. સામાન્ય ગદ્યમાં નિયમાનુસાર પ્રયોજાતા વિરામચિહ્નો જ્યારે કવિતામાં પ્રયોજાય, ત્યારે ઘણીવાર કવિ નિયમોને ચાતરીને ચાલતો નજરે ચડે છે. પણ આવું કવિ ત્યારે જ કરે જ્યારે એ કવિતાને ઉપકારક નીવડવાનું હોય. ફ્રેન્ક ઓ’ હારાની એક અંગ્રેજી કવિતાનું દૃષ્ટાંત લઈએ-

Lana Turner has collapsed!
I was trotting along and suddenly
it started raining and snowing
and you said it was hailing
but hailing hits you on the head
hard so it was really snowing and
raining and I was in such a hurry
to meet you but the traffic
was acting exactly like the sky
and suddenly I see a headline
LANA TURNER HAS COLLAPSED!
there is no snow in Hollywood
there is no rain in California
I have been to lots of parties
and acted perfectly disgraceful
but I never actually collapsed
oh Lana Turner we love you get up

સત્તર પંક્તિની આ કવિતામાં કવિતાનું શીર્ષક કાવ્યારંભે અને કાવ્યમધ્યે પુનરોક્તિ પામે છે, ત્યાં ઉદગારચિહ્નવાપરવા સિવાય કવિએ આખી રચનામાં એકેય વિરામચિહ્ન વાપર્યા નથી. આના કારણે કવિ સ્વયં જે ગડમથલ અને નિરવરુદ્ધ વિચાર-વાવંટોળના શિકાર બન્યા છે, એનો ભાવકને યથાતથ સાક્ષાત્કાર કરાવવામાં સફળ થાય છે.

Comments (18)

સ્વાગત-સપ્તાહ :૦૧: ફકત પાટા ઉપર – મયંક ઓઝા

સહેજ લખવા જાઉં સન્નાટા ઉપર,
ત્યાં ટકોરા થાય દરવાજા ઉપર.

આગગાડી જેમ છે મારી ગતિ,
દોડવાનું પણ ફકત પાટા ઉપર.

માત્ર હું ખળખળ ધ્વનિને પી શકું,
આમ રહેવાનું સતત કાંઠા ઉપર.

કેટલી અફવાઓ લટકે છે હજી,
બંધ ઘરનાં બારણે તાળા ઉપર.

પ્રેમ, પીડા ને વિરહ મહેકી ઊઠે,
જો રચાતી હો ગઝલ રાધા ઉપર.

સુખ હથેળીમાં જ શોધે છે ‘મયંક’,
ના કરી દૃષ્ટિ કદી કાંડા ઉપર.

– મયંક ઓઝા

લયસ્તરો પર કવિના નવલા સંગ્રહ ‘ક્ષણોના પ્રતિબિંબ’ને આવકારીએ…

સામાન્યરીતે એક કે બે શેર ઉપર આખી ગઝલ તરી જતી જોવા મળતી હોય છે, પણ અહીં કાંઠાવાળા એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર ખૂબ જ બળકટ થયા છે એની મજા છે… પાટા અને તાળાવાળા શેર પર તો કુરબાન થઈ જવાનું મન થાય…

Comments (11)

પોંચ વલીંગે…. – મુસાફિર પાલનપુરી (અનુવાદ : વિવેક મનહર ટેલર)

દુ:ખ કી હૈ વણઝાર, કલંદર! પોંચ વલીંગે,
મત રખ મન પર ભાર, કલંદર! પોંચ વલીંગે.

સુખ નેં દુ:ખ હૈં દોઈ બરફ કે ટુકળોં જેવે,
ઘુલનેં મેં કા વાર, કલંદર! પોંચ વલીંગે.

આગ કી મંઈ અલ્લા કે બંદે કૂદ પળે હૈં,
અપણેં તો હૈં બાર, કલંદર! પોંચ વલીંગે.

હિંમત સી જે હારા એ ભવ હારા સમજો
હિંમત ક્રૂ મત હાર, કલંદર! પોંચ વલીંગે.

રબ અપણા હો જાય પિછે કા ચઈએ અપણે?
સઊ પાસે પોબાર, કલંદર! પોંચ વલીંગે.

દોંનત હૈ જો સાફ તો દુનિયોં ઝખ મારે હે,
કોઈ કૂં મત ગિણકાર, કલંદર! પોંચ વલીંગે.

કોઈ સુંણે કે ના જ સુંણે આ અપણી વાતો,
ઠાઠ સી તુ ઠેકાર, કલંદર! પોંચ વલીંગે.

જૂઠ કૂં સચ નેં સચ કૂં જૂઠ જે કરનાખે
બિલ્ટા દે દો-ચાર, કલંદર! પોંચ વલીંગે.

– મુસાફિર પાલનપુરી

દુઃખની છે વણઝાર, કલંદર! પહોંચી વળશું,
રાખ ન મન પર ભાર, કલંદર! પહોંચી વળશું

સુખ-દુઃખ બંને છે બરફના ટુકડા જેવા,
પીગળતા શું વાર, કલંદર! પહોંચી વળશું.

આગ મહીં અલ્લાના બંદા કૂદી પડ્યા છે,
આપણે તો છીએ બહાર, કલંદર! પહોંચી વળશું.

હિંમત જે હાર્યા એ ભવ હાર્યા એમ સમજો,
હિંમત ના તું હાર, કલંદર! પહોંચી વળશું.

ઈશ આપણો થઈ જાય પછી બીજું શું જોઈએ?
સૌ પાસાં પોબાર, કલંદર! પહોંચી વળશું.

દાનત હો જો સાફ તો દુનિયા જખ મારે છે,
કોઈનેય ન ગણકાર, કલંદર! પહોંચી વળશું.

કોઈ સાંભળે કે ન સાંભળે આપણી વાતો,
ઠાઠથી તું લલકાર, કલંદર! પહોંચી વળશું.

જૂઠને સાચ ને સાચને જૂઠ કોઈ કરતું હો તો
ઠોકી દે બે-ચાર, કલંદર! પહોંચી વળશું.

– મુસાફિર પાલનપુરી
(સાછંદ પદ્યાનુવાદ : વિવેક મનહર ટેલર)

બાર ગાઉએ બદલાતી બોલી જે-તે પ્રદેશના સમાજનું વિશિષ્ટ અંગ છે. મોટાભાગનું સાહિત્ય શિષ્ટ ભાષામાં રચાતું હોવા છતાં દુનિયામાં ભાગ્યે જ કોઈ ભાષા એવી હશે જેણે લોકબોલીનો પડઘો ન ઝીલ્યો હોય. આ ગઝલ જુઓ. જે રીતે છંદ-કાફિયા-રદીફ-શેરિયત ગઝલના અનિવાર્ય અંગ ગણાય એ જ રીતે પ્રસ્તુત રચનામાં ઉત્તર ગુજરાતમાં વસતા મુસલમાનોની બોલી પણ અવિભાજ્ય અંગ બની અહીં ઊભરી આવી છે. એમ પણ કહી શકાય કે આ બોલી જ આ ગઝલનો પ્રમુખ વિશેષ છે. પાલનપુરી મુસ્લિમોની આ બોલીને પંચામૃત બોલી (ગુજરાતી-હિંદી-ઉર્દૂ-ફારસી-મારવાડી) તરીકે પણ ઓળખવામાં આવે છે. રચના ગઝલિયતની કસોટીએ ખરી ઉતરે છે કે કેમ એ સવાલ વિવેચકો પર છોડી દઈ આપણે તો બસ, બોલીનો આસ્વાદ લઈએ…

Comments (10)

(માણસ છીએ) – બાબુલાલ ચાવડા ‘આતુર’

આશિખાનખ આગવા ઉન્માદના માણસ છીએ,
એટલે કે સાવ માણસ બાદના માણસ છીએ.

ક્યાંક વરવી વાસ્તવિકતા કોઈ માટે થઈ ગયા,
કોઈ માટે ક્યાંક ભીની યાદના માણસ છીએ.

કોઈએ જોયા છે અમને રોજ નકરી મોજમાં,
કોઈ માને છે નર્યા અવસાદના માણસ છીએ.

ક્યાંય ક્યાં સાધી શકાઈ છે કદી સંવાદિતા!
કોણ માને કે અમે સંવાદના માણસ છીએ!

એટલે લખતા રહ્યા કે માંહ્યલો રાજી રહે,
માત્ર મૂંગા માંહ્યલાની દાદના માણસ છીએ.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ગઝલોના અડાબીડ જંગલમાં ક્યારેક આવી રચના હાથ ચડી આવે તો દિવસ આખો મઘમઘ થઈ ઊઠે. આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ પાંચેય શેર એક એકથી ચડિયાતા થયા છે. પહેલાં તો ગુજરાતી ગઝલમાં આશિખાનખ જેવો શબ્દ વાંચીને જ આગવો રોમાંચ થઈ જાય. પણ ખરું કવિકર્મ ભાવકને આંજી દે એવા અરુઢ શબ્દપ્રયોજનમાં નહીં, પણ એના નિર્વાહમાં છે.

Comments (17)

ગઝલ – ભેજની – હર્ષદ ચંદારાણા

આ હવામાં આજ કેવળ ભેજ છે
આંસુઓનો એક દસ્તાવેજ છે

દૃશ્ય ઉપર કાટ જેવો સ્હેજ છે
કૈં સ્મૃતિનો આંખમાં જે ભેજ છે

સૂર્ય જેવો સૂર્ય પણ નિસ્તેજ છે
ત્યાં સુધી પહોંચી ગયેલો ભેજ છે?

હાથ પાસે પેન, કાગળ, મેજ છે
નહિ લખાતો પત્ર ઉર્ફે ભેજ છે

જેમ પાણીમાં વમળ આમેજ છે
આ હવામાં એમ છૂપો ભેજ છે

– હર્ષદ ચંદારાણા

આમ જુઓ તો મત્લાગઝલ અને આમ જુઓ તો પ્રયોગાત્મક રચના… આખી ગઝલમાં ઉલા મિસરા-પ્રથમ પંક્તિમાં કવિએ અલગ-અલગ ચુસ્ત કાફિયાઓ વાપર્યા છે, પણ સાની મિસરા- બીજી પંક્તિમાં એક જ કાફિયો ‘ભેજ’ પ્રયોજ્યો છે. મત્લામાં પણ આ જ પ્રમાણે ‘ભેજ’ કાફિયો સાની મિસરામાં વાપરી શકાયો હોત, પણ કોઈક કારણોસર કવિ એમ કરવાથી દૂર રહ્યા છે. પણ સરવાળે પાંચેપાંચ શેરમાં ‘ભેજ’ કાફિયો વાપરીને કવિએ કાફિયાનો સારો એવો કસ કાઢ્યો છે અને આપણને વારંવાર મમળાવવી ગમે એવી સુંદર મજાની ગઝલ આપી છે.

Comments (14)

(ધૂળ ખંખેરો) – ભાવિન ગોપાણી

ભલે કાયા અને કપડાં ઉપરથી ધૂળ ખંખેરો,
કળા જો હોય, પડછાયા ઉપરથી ધૂળ ખંખેરો.

અધૂરા રહી ગયેલા કોઈના સપનાની મળશે છાપ,
મળ્યો રસ્તેથી એ સિક્કા ઉપરથી ધૂળ ખંખેરો.

ફરીથી ચિત્ત ને ચહેરા ઉપર આવી જશે રોનક,
પ્રણયના એક-બે કિસ્સા ઉપરથી ધૂળ ખંખેરો.

અમે બારી વગરના ઘરમાં પણ વર્ષો જીવી જઈશું,
ફકત આકાશના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો.

હજી ઊભા થઈ મહેમાન પહોંચ્યા ક્યાં છે ઘરની બ્હાર?
તરત ના આ રીતે સોફા ઉપરથી ધૂળ ખંખેરો!

થશે ચલચિત્ર ચાલુ ને અમે બેસી રહીશું બહાર,
અમારું કામ છે પડદા ઉપરથી ધૂળ ખંખેરો.

વીતાવ્યું રણ છતાં રણ સાથે લઈને ક્યાં સુધી ફરશો?
હવે પાંપણ અને ચશ્માં ઉપરથી ધૂળ ખંખેરો.

મળી છે કોઈના રૂમાલમાં ખુશબૂ નવી આજે,
ફરીથી આપણે શંકા ઉપરથી ધૂળ ખંખેરો.

બને એવું કે એ જોઈ શકે ઘરની ખરી હાલત,
ચલો, ભગવાનના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો.

કળા કરવી તો ન્હોતી પણ કળા કરવી પડી અંતે,
કહ્યું છે કોઈએ, પીંછા ઉપરથી ધૂળ ખંખેરો.

જરૂરી છે જ નહિ કે એમના પગલાં ઉપર ચાલો,
બને તો એમના પગલાં ઉપરથી ધૂળ ખંખેરો.

કશું ન્હોતું અને અંતે કશું રહેશે નહીં બાકી,
જીવન છે ધૂળનાં ઢેફાં ઉપરથી ધૂળ ખંખેરો.

પધારો જળ રૂપે ઈશ્વર, પધારો અન્ન રૂપે દેવ,
વલખતાં જીવના જડબાં ઉપરથી ધૂળ ખંખેરો

ગયું છો ધૂળમાં જીવન, મરણ તો સ્વચ્છ જોઈએ,
દુપટ્ટો ઝાટકો, પંખા ઉપરથી ધૂળ ખંખેરો.

– ભાવિન ગોપાણી

ટ્વેન્ટી- ટ્વેન્ટીના જમાનામાં ટેસ્ટ મેચ ગઝલ… ચૌદ-ચૌદ શેર પણ લગભગ બધા જ મનનીય… આખી ગઝલમાં આધુનિક ગઝલ અને પરંપરાની કૃતિ વચ્ચેની આવનજાવન મનભાવન રીતે સતત વર્તાયે રાખે છે. કવિ પડછાયા ઉપરથી ધૂળ ખંખેરવા કહે છે ત્યારે નવી ગઝલનો રણકો સંભળાય છે, એ જ રીતે પ્રણયના કિસ્સા પરથી ધૂળ ખંખેરવા આહ્વાન આપે છે ત્યારે પરંપરાની ગઝલરીતિ પ્રતીત થાય છે. બંનેની મજા છે અને બંને અહીં હારોહાર માણી શકાય છે. ‘ધૂળ ખંખેરવી’ રુઢિપ્રયોગનો કવિએ વાચ્યાર્થ મુજબનો કસ તો કાઢ્યો છે, પણ એનો જે ખરો અર્થ છે – સખત ધમકાવવું, ખૂબ ઠપકો આપવો-એ ઉજાગર કરતો એકાદ શેર પણ અહીં ઉમેર્યો હોત તો ગઝલ છે એથી વધુ સરાહનીય થઈ શકી હોત.

Comments (13)

ઠળિયો – લલિત ત્રિવેદી

કવિ! તમારી ટહુકા કરતી આંગળીઓ
ફાગણિયે મ્હોરેલી લહલહ ડાંખળીઓ!

કાગળ પર રૂમઝૂમતી આવી પૂતળીઓ
જેવું ફળિયામાં રમતી હો ઓકળીઓ!

તપ તૂટ્યાં તતકાળ કે બ્હેકી પાંસળીઓ
પરાગરસથી છલછલતી અડકી કળીઓ!

હોય નહિ સળિયો એવું એક ઘર ગોતું
મગચોખાથી રસબસતી ગોતું સળીઓ!

કળીઓ છે કે અલકમલકતી સખીઓ છે…
કાગળિયો છે કે ઝિલમિલતો ઝાકળિયો!

ઊગશે એઠાં બોરાં કે ફળશે દાતણ?
કોણે મારે આંગણ વાવ્યો છે ઠળિયો?

કવિ! તમારી સંગે સોહે એમ કલમ
જેમ કાનજી સંગે સોહે વાંસળીઓ!

– લલિત ત્રિવેદી

શીરાની જેમ ગળેથી ઉતરી જતી આજની ગઝલોથી સાવ ઉફરી ચાલતી એક રચના આજે માણીએ. આસાનીથી અથવા થોડા પ્રયત્ને સમજી શકાય એવા શેરોની વચ્ચે એબ્સ્ટ્રેક્ટ શેર પણ અહીં જોવા મળે છે. ક્યાંક થોડી કૃતકતા પણ અનુભવાય, પણ સરવાળે આ ગઝલ સ-રસ અનુભૂતિ કરાવે છે. મારું મન તો મત્લાએ જ મોહી લીધું. ફાગણિયો આવતાં જ વૃક્ષોની ડાળખીઓ લહલહ મહોરી ઊઠે છે એ કલ્પન કવિની કવિતા કરતી આંગળીઓ સાથે સાંકળી લઈને કવિએ અલગ જ કમાલ કરી છે. ડાળખીઓ માટે કવિએ ડાંખળીઓ શબ્દ પ્રયોજ્યો છે. ડાંખળીનો શબ્દકોશીય અર્થ ભલે ડાળખી જ કેમ ન થતો હોય, એનો લોકકોશીય અર્થ તો સૂકાઈ ગયેલી ડાળખી જ. એટલે કાફિયાની જરૂરિયાત ઉપરાંતનું કવિકર્મ પણ અહીં આપણને નજરે ચડે છે. પાનખરમાં સૂકાઈ ગયેલ ડાળીઓ ફાગણમાં લીલીછમ્મ થઈ જાય છે અને કોકિલના ટહુકાઓ છલકાવવાનું નિમિત્ત બને છે. બાકીની ગઝલ સહુ પોતપોતાની સમજ પ્રમાણે પ્રમાણે…

Comments (14)

ગમે છે – અરુણ દેશાણી

મખમલ જેવી રાત ગમે છે,
તું સપનામાં આવ, ગમે છે.

ઢળતી સાંજે હળવે હળવે-
હાથોમાં લે હાથ, ગમે છે.

આવ ન આવે, તારી મરજી,
તારી જોવી વાટ ગમે છે.

કેટકેટલા ગમતા ચહેરા,
પણ સૌમાં તું ખાસ ગમે છે.

હું પણ ક્યાં એ જાણું છું કે-
તું જ મને શું કામ ગમે છે!

એકબીજાને વળગી જઈને
વરસે એ વરસાદ ગમે છે.

– અરુણ દેશાણી

સરળ ભાષામાં સુંદર ગઝલ… ભાષાના કોઈપણ પ્રકારના બાહ્યાડંબર વિના પણ સારી કવિતા કઈ રીતે થઈ શકે એ સમજવું હોય તો આ ગઝલ પણ ખપમાં આવે એવી છે. નાની બહર, સરળ આકારાંત કાફિયા, ગમ્યા વિના ન રહે એવી ‘ગમે છે’ રદીફ અને સર્વપ્રિય પ્રણયરસનો વિષય ધરાવતી આ ગઝલ વાંચતાવેંત દિલને સ્પર્શી જાય એવી છે.

Comments (20)