(કોઈ બપોરે) – મનોજ ખંડેરિયા
કોઈ બપોરે ભરવા બેઠી
રેશમ-દોરે ભરવા બેઠી
મોર લીલો રે ભરવા બેઠી
. ઘરથી નવરી થઈ
પીછું ભરતાં પાંખ થરકતી
કંઠ ભર્યો ત્યાં ગ્હેક છટકતી
જોતી રહી ને આંખ ફરકતી
. ઊંડી ઊતરી ગઈ
ઊંડા કંઈ ઘારણમાં ઊંડે
વીતી નમણી ક્ષણમાં ઊંડે
જીવતરના દર્પણમાં ઊંડે
. નિજને નીરખી રહી
– મનોજ ખંડેરિયા
અંજનીગીત એટલે અપ્રતિમ નજાકતનું ગરવું લાવણ્ય! અંજનીનું પોત એટલું ઝીણું છે કે કવિતા કઈ ક્ષણે સર્જાય છે એ સમજાય એ પહેલાં તો ગીત પૂરું થઈ જાય… પ્રસ્તુત રચના એનું સબળ ઉદાહરણ છે. કાવ્યનાયિકા કોઈ એક બપોરે નિરાંતના સમયમાં ઘરકામથી નવરી થઈ રેશમદોરે લીલો મોર ભરવા બેઠી છે. સ્ત્રીને નવરાશના સમયે ભરતકામ કરતી નિહાળવી એ એક લહાવો છે. મનગમતી પ્રવૃત્તિ કરતી વખતે સ્ત્રી સમાધિ ન લાગી ગઈ હોય એટલી એમાં ઓતપ્રોત થઈ જતી હોય છે. અહીં પણ એમ જ બન્યું છે. કપડામાં મોરનું પીછું ભરી રહેલ નાયિકાને મોરની પાંખ થરકતી હોવાનું પ્રતીત થાય છે. ગળાનો આકાર ઘડાયો એવામાં ટહુકો છટકી જતો સંભળાયો. ભરવાનું કામ અટકી ગયું અને નાયિકા પોતાના ભરેલા મોરને સજીવ થયેલો જોઈને સમાધિ અવસ્થામાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ. નાયિકા સંત નથી એટલે પોતાની આ ઝેન કે સમાધિની સ્થિતિને ઊંડી ઊંઘમાં પોતે ઊતરી ગઈ હોવાનું કહીને વર્ણવે છે. જીવતરના દર્પણમાં ઊંડે ઊંડે એ સ્વને નીરખે છે. સજીવન થયેલ અનુભવાતું પંખી નાયિકાના ખુદને માટે સંજીવની બની રહે એ કેવી મોટી વાત!
અંજનીગીત કાવ્યપ્રકાર વિશે વધુ જાણવા માંગતા મિત્રો અહીં ક્લિક કરે.








