ચિનુ મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 2, 2007 at 12:33 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
ગઈકાલે ચિનુ મોદીની એક રચના આપણે માણી. જોગાનુજોગ આજે હું પણ એમની જ એક રચના લઈને આવ્યો છું. એમની ખૂબ જાણીતી તસ્બી પ્રકારની આ ગઝલ-રચના આજે કોઈપણ વધારાની પૂર્વભૂમિકા વિના જ માણીએ….
Permalink
August 1, 2007 at 9:02 PM by ધવલ · Filed under ગઝલ, ચિનુ મોદી
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધા ઘેર ફરવાનો મોકો મળ્યો.
હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.
થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
– ચિનુ મોદી ‘ઈર્શાદ’
સરસ અને સંવેદનશીલ. સીધી દિલને અડકતી ગઝલ.
Permalink
June 12, 2007 at 11:05 PM by ધવલ · Filed under ચિનુ મોદી, મુક્તક
લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !
– ચિનુ મોદી
Permalink
April 25, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.
પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.
સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:
પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.
ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.
– ચિનુ મોદી ( ઇર્શાદ)
કવિ પરિચય
આધુનિકતાને વરેલા છતાં ગઝલના મૂળ સ્વરૂપની ઇજ્જત જાળવતા આ કવિની, પોતાની આગવી, આ ‘તસબી’ પ્રકારની રચના છે.
Permalink
February 6, 2007 at 11:43 PM by ધવલ · Filed under ગઝલ, ચિનુ મોદી
કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.
જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.
બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.
હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.
થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.
– ચિનુ મોદી
ચિનુ મોદીએ ગુજરાતી ગઝલના નવા દેહને ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એ તદ્દન નવા વિષયો અને કલ્પનો ગઝલમાં લઈ આવે છે. છેલ્લો શેર મારો બહુ પ્રિય શેર છે. કાયાના બંધનથી પર થઈ જે જીવે એ દુનિયા પર રાજ કરે છે એ વાત કવિએ એમના અંદાજમાં સરસ રીતે કહી છે.
Permalink
November 18, 2006 at 1:12 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.
શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.
દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
મહેસાણાના વિજાપુરના વતની અમદાવાદ નિવાસી ચિનુ મોદી ‘ઈર્શાદ’ (જન્મ: ૩૦-૦૯-૧૯૩૯)નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. મજાના ગીત, નાટક અને સોનેટ પણ લખે. ઉર્દૂમાં પણ ગઝલો લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી આડંબરી ભાષાથી હટીને લપસણા વિશેષણોમાં લપસ્યા વિના પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”
કાવ્યસંગ્રહ: ‘ઊર્ણનાભ’, ‘ક્ષણોના મહેલમાં’, ‘દર્પણની ગલીમાં’, ‘ઈર્શાદગઢ’, ‘બાહુક’, ‘અફવા’, ‘ઈનાયત’. શ્રેષ્ઠ ગઝલોનો સંગ્રહ: ‘પર્વતને નામે પથ્થર’.
Permalink
November 5, 2006 at 3:03 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?
કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?
લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?
– ચિનુ મોદી “ઇર્શાદ”
Permalink
May 29, 2006 at 10:10 PM by ધવલ · Filed under ચિનુ મોદી, મુક્તક
પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?
– ચિનુ મોદી ‘ઈર્શાદ’
Permalink