દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.
રઈશ મનીઆર

ભરતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સોનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સોનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. વીસ વરસની ઊંમરે લખાયેલ આ સોનેટમાં કવિ દરિયાના મોજાંઓ હજારો થનગનતા ઘોડા અવનિ-આભ ભેગાં કરવા કૂચે ચડ્યા હોય એવું અદભુત શબ્દચિત્ર દોરી આપે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સોનેટ સાવ જ અણધાર્યો વળાંક લઈ દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપવામાં સફળ રહે છે.

કવિ ઉમાશંકર જોશીએ આ સોનેટ વિશે કહ્યું છે કે ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતા સાથે ભાગ્યે જ કોઈ કવિતામાં પ્રયોજાઈ હશે…

9 Comments »

  1. naresh solanki said,

    April 18, 2013 @ 7:38 AM

    કવિ ઉમાશંકર જોશીએ આ સોનેટ વિશે કહ્યું છે કે ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતા સાથે ભાગ્યે જ કોઈ કવિતામાં પ્રયોજાઈ હશે…

    વાહ્… લય માધુર્ય, ભાષાનેી રવાનેી , વેીચારનુ સોન્દર્ય……

  2. VIJAY JOSHI said,

    April 18, 2013 @ 9:27 AM

    આ સુંદર સોનેટની દેશભક્તિની ભવ્યતા સમુદ્રની ભવ્યતા જેટલી જ ભવ્ય છે.

  3. pragnaju said,

    April 18, 2013 @ 6:23 PM

    સુંદર સોનેટ

    ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
    દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !

    વાહ

  4. Dhaval said,

    April 18, 2013 @ 10:21 PM

    સલામ !

  5. sudhir patel said,

    April 18, 2013 @ 11:27 PM

    વાહ! અદભૂત સોનેટ!!
    સુધીર પટેલ.

  6. PRAGNYA said,

    April 19, 2013 @ 9:28 AM

    ખુબ સરસ!!!

  7. Maheshchandra Naik said,

    April 19, 2013 @ 4:31 PM

    સરસ સોનેટ……………………..

  8. Rajnikumar Parmar said,

    February 14, 2018 @ 10:11 PM

    આ યૌવનની ભરતીનું રૂપક યથાર્થ છે

  9. વિવેક said,

    February 15, 2018 @ 12:46 AM

    સાચી વાત… આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment