જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

શોધ – પન્ના નાયક

આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધા અદ્રશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.

આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં ?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?

હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?

– પન્ના નાયક

એક સન્નાટાની જેમ ત્રાટકતી કવિતા. મૂળસોતા ઊખડેલા મનની વિપદાનું ધારદાર વર્ણન. આ ‘શોધ’ શેની શોધ છે ? પોતાના ઘરની, પોતાના મૂળની કે પોતાની જાતની ?

5 Comments »

  1. Girish Parikh said,

    February 2, 2010 @ 11:15 PM

    અમેરિકામાં વસતાં ગુજરાતી ભાષાનાં અગ્રગણ્ય કવયિત્રી પન્નાબહેનને પણ અશરફ ડબાવાલાએ શિકાગો લેન્ડમાં યોજેલાં કવિ સંમેલનોમાં સાંભળેલાં. આ લખનારનો જીવ સાહિત્યનો છે અને ઊંચી કોટીનાં એ સાહિત્ય સંમેલનો સદા યાદ રહેશે. ઘણાં ખરાં સંમેલનોના અહેવાલો આ લખનારે અખબારોમાં પ્રકાશિત કરાવીને ઊંડો આત્મસંતોષ અનુભવેલો.

    આ મુક્તકાવ્ય (અછાંદસ શબ્દ મને ગમતો ન હોવાથી મેં એના માટે ‘મુક્ત્તકાવ્ય’ શબ્દ પ્રયોજ્યો છે) માં કવયિત્રી માનવ દેહની વાત કરતાં લાગે છે. આ દેહમાં એકલા આવ્યા, માયામાં અટવાયા, અને છેવટે એકલા પડીને એકલા જ જવાનું છે.

    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoomail.com
    (ગિરીશનું સર્જાતું જતું પુસ્તક “આદિલના શેરોનો આનંદ” (tentative title) યોગ્ય પ્રકાશકની શોધમાં છે).

  2. વિવેક said,

    February 3, 2010 @ 1:48 AM

    સશક્ત અછાંદસ…

    ધારી ચોટ ઉપસાવવામાં કવયિત્રી સફળ નિવડ્યાં છે….

  3. SMITA PAREKH said,

    February 3, 2010 @ 2:57 AM

    અવરજવરથી ભર્યા ભર્યા ઘરમાં જ્યારે એકલા પડી જઇએ ત્યારની સ્થિતીની વેદનાને ખુબ જ ધારદાર રીતે વ્યક્ત કરી છે.
    સરસ કાવ્યરચના!!!

  4. shashikant vanikar said,

    February 5, 2010 @ 2:06 AM

    આદભુત !!! માનસ નિ વેદના નિ કેવિ વાત.

  5. pragnaju said,

    February 10, 2010 @ 1:13 AM

    દેખાતી ઝીણી ઝીણી તિરાડો
    ત્યાં હતી ખરી ?
    આ ઓરડાને
    બારીબારણાં હતાં ?

    હું અંદર આવેલી
    એ બારણું ક્યાં છે ?

    આદભુત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment