સૌ પ્રથમ ચકમક ઝરી, પણ એ પછી
ટાંકણાએ શિલ્પને કેવું ઘડ્યું!
જગદીપ નાણાવટી ડૉ.

નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

નારાયણનું નામ જ લેતાં
                      વારે તેને તજીયે રે,
મનસા વાચા કર્મણા કરીને,
                      લક્ષ્મીવરને ભજીયે રે…

કુળને તજીએ, કુટુંબને તજીયે,
                      તજીયે મા ને બાપ રે
ભગિની-સુત-દારાને તજીયે,
                      જેમ તજે કંચુકી સાપ રે…

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,
                      નવ તજીયું હરિનું નામ રે,
ભરત-શત્રુઘ્ને તજી જનેતા,
                      નવ તજીયા શ્રીરામ રે…

ઋષિ-પત્નિએ શ્રીહરિ કાજે
                      તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કાંઈએ ન ગયું,
                      પામી પદારથ ચાર રે…

વૃજવનિતા વિઠ્ઠલને કાજે,
                      સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃન્દાવનમાં,
                      મોહનવરશું મ્હાલી રે…

તળાજામાં જન્મેલા અને જૂનાગઢના વતની ‘આદિકવિ’ નરસિંહ મહેતા (1414-1480) ગુજરાતની પ્રેમલક્ષણા ભક્તિપરંપરાની તેમ જ જ્ઞાનમાર્ગી પરંપરાની પદ-કવિતાના પહેલા ઉત્તમ કવિ છે. એમના 1200 જેટલાં પદો અને ઝૂલણા છંદમાં લખેલાં પ્રભાતિયાંઓએ એમને અમરત્વ આપ્યું છે અને આપણી ભાષાને રળિયાત કરી છે. કૃષ્ણ ભક્તિ, જ્ઞાન-ભક્તિ, વૈરાગ્ય અને ખાસ તો પોતાના જ જીવનના પ્રસંગો પર આધારિત એમના કાવ્યો ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયાં છે.

Leave a Comment