વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

          બાવળિયાની શૂળ હોય તો
                    ખણી કાઢીએ મૂળ,
          કેરથોરના કાંટા અમને
                    કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

          તાવ હોય જો કડો ટાઢિયો
                    કવાથ કુલડી ભરીએ,
          વાંતરિયો વળગાડ હોય તો
                    ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

Leave a Comment