અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !
– સુધીર પટેલ

નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા – ઉમાશંકર જોશી

પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ
વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ,
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.

ત્યાં તો જાણે જલવિધુ તણાં ચારુ સંયોગમાંથી,
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી ?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.

– ઉમાશંકર જોશી
(ઑક્ટોબર, ૧૯૨૮)

માત્ર સત્તર વર્ષની વયનો લબરમૂછિયો છોકરો એની જિંદગીની પહેલી કવિતા લખે એ કેવી હોય, કહો તો! મોટાભાગના કવિઓ આ વયે કવિતાના સ્થાને કવિતડાં જ રચતા હોય છે. જ્યારે કેટલાક જન્મજાત ‘ગિફ્ટેડ’ હોય છે. ઉમાશંકરે ૧૭ વર્ષની વયે પહેલી કવિતા લખી, એ પણ મંદાક્રાન્તા છંદમાં સૉનેટ. અને જિંદગીની પહેલી કવિતાની છેલ્લી પંક્તિમાં એમણે સાહિત્યસર્જન માટેનો જે મંત્ર આપ્યો, એ અમર થઈ ગયો…

બ. ક. ઠાકોરે ૧૮૮૮માં ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ લખ્યું, જે આજદિનપર્યંતનુ સર્વશ્રેષ્ઠ સૉનેટ પણ ગણાય છે. બંને સૉનેટમાં થોડીઘણી સામ્યતા નજરે ચડે છે. પચાસ વર્ષ પહેલાં લખાયેલ ઠાકોરના સફળ સૉનેટની લબરમૂછીયા કવિની કવિતા પર અસર હોય એ નકારી ન જ શકાય. બંને સૉનેટ મંદાક્રાન્તામાં લખાયેલા છે, બંને સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે વિભાજન થયેલું છે, બંને સૉનેટ કાવ્યસર્જનની પ્રક્રિયાના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. બંનેનો પ્રારંભ ધુમસમાં થઈને દેખાતી પ્રકૃતિથી થાય છે. બંનેમાં શાંત જળની વાત છે, હળુ-હળુ વાતા પવનની વાત છે, ચાંદની અને પુષ્પોની સુવાસની વાત પણ છે. બેંને સૉનેટના ષટકની શરૂઆત ‘ત્યાં’ શબ્દથી થાય છે. બંનેમાં નાયક અર્ધનિમિલિત નેત્રે સૂતો છે અને અનાયાસે બંનેના હૃદયમાંથી કાવ્યસ્ફુરણ થાય છે. બ.ક.ઠા. કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એ સમજાવે છે, તો ઉ.જો. પ્રકૃતિ સૌંદર્યનું યથાર્થ પાન કરવામાં આવે તો હૈયું આપમેળે ગીત ગાશે એ સમજાવે છે.

બે સૉનેટની સમાનતાની સરખામણી કરવા પાછળનો હેતુ બેમાંથી એકેયને એક-બીજાથી ચડિયાતાં કે ઉતરતાં સાબિત કરવાનો નથી, ફક્ત બે પ્રથમની વચ્ચે રહેલ સામ્ય તરફ ધ્યાન દોરવું એ જ છે. બંને કૃતિ પોતપોતાના સ્થાને ઉત્તમ જ છે અને બંનેની પોતપોતાની મજા છે…

2 Comments »

  1. SMIT Pathak said,

    June 27, 2019 @ 4:32 AM

    બ.ક. ઠાકોર નું એ સોનેટ આપવા વિનંતી…

  2. વિવેક said,

    June 27, 2019 @ 5:53 AM

    બ.ક. ઠાકોર લિખિત ‘ભણકારા’ સૉનેટ આપ અહીં વાંચી શકશો:

    ભણકારા – બળવંતરાય ક. ઠાકોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment