શું થયું એ નાવનું ? – આહમદ મકરાણી
માપ નીકળે ના અમારી રાવનું,
ગામ ભીતર છે વસેલું ઘાવનું.
ફ્રિઝમાં વાસી ક્ષણોની ભીડ છે,
કોઈ તાજું નીર લાવો વાવનું.
આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?
સોગઠાં, ચોપાટ ફેંકીને ઊઠો,
કાળ સામે શું તમારા દાવનું ?
જિંદગી વીતી રહી છે રણ સમી,
કોઈ સરનામું મળે જો છાંવનું.
-આહમદ મકરાણી
સાવ સહજ બાનીમાં કવિ ફ્રિજમાં ઠરી ગયેલી વાસી ક્ષણોનું તરોતાજા કલ્પન લાવી આપણી રુગ્ણ માનસિક્તા પર જનોઈવઢ ઘા કરે છે. અને સામે કાળ સામે બાંયો ચડાવવાની બાળમમત ત્યજવા પણ કહે છે. કાળ સામે કોનું ચાલ્યું જ છે કે આપણું ચાલવાનું? મહાભારત યાદ આવે છે: સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન; કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ.
pragnaju said,
February 21, 2008 @ 10:46 AM
સુંદર કાવ્ય
આ પંક્તીઓ ગમી.
આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?
યાદ આવી મારી િદકરી યાિમનીની આ પંક્તીઓ
નાવ જાણે કે મળવા અધીરી થઈ
દૂર મઝધારમાં કોણ ઊભું હશે?
અને
રવીન્દ્રનાથ ટાગોર
કાળના ગાલ પર થીજેલુ આંસુ તે તાજ!
અને મારી સ્િથતી
વીતેલો વસમો કાળ, હજી નથી કપાઈ રહ્યો,
ત્યાં તો સામે આવી ઉભું જરા-વ્યાધી તણું લંગર સહુ.
ધવલ said,
February 21, 2008 @ 9:50 PM
સરસ ગઝલ !
માપ નીકળે ના અમારી રાવનું,
ગામ ભીતર છે વસેલું ઘાવનું.
અને
આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?
શેર વધારે ગમી ગયા…