યેહુદા અમિચાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 21, 2018 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, યેહુદા અમિચાઈ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની અસરકારક પહોંચનો વ્યાસ લગભગ સાત મીટર હતો,
જેમાં છે ચાર મૃતક અને અગિયાર ઘાયલ.
અને એની ફરતે, દર્દ અને કાળના
વધુ મોટા વર્તુળમાં, પથરાયેલ છે બે હૉસ્પિટલ
અને એક કબ્રસ્તાન. પણ યુવાન સ્ત્રી
જેને દફનાવાઈ, જ્યાંથી એ આવી હતી એ શહેરમાં
જે સો કિલોમીટરથીય વધુ અંતરે છે,
વર્તુળને નોંધપાત્ર રીતે વિસ્તારે છે;
અને દરિયાપારના એક દેશના દૂરના કિનારાઓ પર
એના મોત પર શોક કરનાર એકાકી પુરુષ
આખી દુનિયાને વર્તુળમાં સમાવી લે છે.
અને અનાથોના હીબકાંઓનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું
જે પહોંચે છે ઈશ્વરના સિંહાસન સુધી અને
એથીય આગળ, એક વર્તુળ
બનાવતાં જેનો નથી કોઈ અંત અને નથી ઈશ્વર.
– યહુદા અમિચાઈ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
*
વિનાશનો કોઈ વ્યાસ હોતો નથી. એની અસર આપણા વિચારવર્તુળથી ક્યાંય આગળ સુધી પહોંચતી હોય છે. વિશાળ તળાવના શાંત પાણીમાં એક નાનો અમથો પથરો પડે પછી ઊઠતા વમળ લાંબા સમય સુધી દૂર-દૂર સુધી વિસ્તરતા રહે છે. પથ્થર તો પાણીની સપાટીને સેકન્ડના હજારમાં ભાગ જેટલીવાર જ માંડ અડતો હશે ને ઊંડે ગરકાવ થઈ જતો હશે પણ વમળ ક્યાંય સુધી વર્તુળાયા કરે છે. નાના અમથા પથ્થરના પાણીમાં પડવાની ક્ષણાર્ધથીય નાની અમથી ઘટનાને સમય અને ક્ષેત્રના પરિમાણથી માપવા બેસીએ ત્યારે જ સમજી શકાય છે કે દરેક નાની અમથી ઘટનામાંથી ઊઠતો પડઘો એ મૂળ ઘટના કરતાં અનેકગણો પ્રચંડ જ હોવાનો. બૉમ્બથી થતા પ્રલયનો કોઈ લય નથી હોતો અને વિનાશમાં પ્રાસ નથી હોતો.
વિસ્તૃત આસ્વાદ માટે મારી ફેસબુક વૉલ પર પધારો…
*
The Diameter of the Bomb
The diameter of the bomb was thirty centimeters
and the diameter of its effective range about seven meters,
with four dead and eleven wounded.
And around these, in a larger circle
of pain and time, two hospitals are scattered
and one graveyard. But the young woman
who was buried in the city she came from,
at a distance of more than a hundred kilometers,
enlarges the circle considerably,
and the solitary man mourning her death
at the distant shores of a country far across the sea
includes the entire world in the circle.
And I won’t even mention the howl of orphans
that reaches up to the throne of God and
beyond, making
a circle with no end and no God.
– Yehuda Amichai
(Eng Translation: Chana Bloch)
Permalink
December 23, 2008 at 11:56 AM by ધવલ · Filed under અછાંદસ, યેહુદા અમિચાઈ
બૉમ્બનો વ્યાસ છે ત્રીસ સેન્ટિમીટર
અને એની વિનાશશક્તિના વર્તુળનો વ્યાસ
છે લગભગ સાત મીટર.
જેમા પડ્યા છે
ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા.
અને એમની ચોતરફ઼
સમય અને વેદનાના એક વધારે મોટા વર્તુળમાં
વેરવિખેર ઊભાં છે
બે દવાખાનાં અને એક કબરસ્તાન.
સો કિલોમીટરથીય વધુ દૂરથી
આવેલી સ્ત્રીને એના શહેરમાં જયાં દફનાવી તે જગા
વર્તુળને વધુ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતો એકલો અટુલો માણસ
જે દરિયાપાર રહે છે
આખી દુનિયાને વર્તુળમાં સમાવી દે છે.
અને હું કાંઈ નહીં કહું,
અનાથ બાળકોનાં એ હિબકાં વિશે
જે ઈશ્વરના સિંહાસન સુધી ને એનાથી ય આગળ પહોંચે છે
અને
એક અનંત અને ઈશ્વરવિહોણું વર્તુળ રચે છે.
– યેહુદા અમિચાઈ
બૉમ્બની વિનાશશક્તિને blast radiusથી મપાય છે. પણ બૉમ્બના ખરું વિનાશવર્તુળ તો એનાથી ક્યાંય વધારે મોટું હોય છે. આ વાત બધા બૉમ્બને સમાન રીતે લાગુ પડે છે : એ ભલે પછી રેલ્વે સ્ટેશન પર ફૂટેલા બૉમ્બ હોય, ‘તાજ’માં ફૂટેલા બૉમ્બ હોય, સરહદ પર ફૂટતા બૉમ્બ હોય, હિરોશિમા પર ઝીંકાયેલા બૉમ્બ હોય કે પછી એ બૉમ્બ હોય કે જે પાકીસ્તાન પર નાખવા માટે લોકો થનગની રહ્યા છે.
(મૂળ હિબ્રૂ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી)
Permalink
December 6, 2007 at 12:30 AM by વિવેક · Filed under ઇન્દ્રજીત મોગલ, યેહુદા અમિચાઈ, વિશ્વ-કવિતા
બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની વિનાશશક્તિના વર્તુલનો વ્યાસ સાત મીટર હતો.
અને એ મર્યાદાવર્તુલમાં પડ્યા હતા ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા
અને એમની આજુબાજુ વેદના અને સમયના વધુ વિસ્તરેલા વર્તુલમાં
વેરવિખેર ઊભાં છે બે દવાખાનાં અને એક કબ્રસ્તાન.
પણ સો કરતાં વધુ કિલોમીટર દૂરની ભૂમિમાંથી
આવેલી સ્ત્રીને જ્યાં ભૂમિદાહ કર્યો તે બિન્દુ
વર્તુલને ખૂબ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતા એકાકી માનવીનું બિન્દુ
દૂરના પ્રદેશના એક દૂરના ખૂણામાં
સમસ્ત વિશ્વને વર્તુલમાં સમાવી લે છે.
અને હું ચૂપ જ રહીશ અનાથ બાળકોનાં આંસુ વિશે
કે જે ઈશ્વરના સિંહાસન સુધી પહોંચે છે
અને ત્યાંથી એ વધુ વિસ્તરી
વર્તુલને અનંત અને ઈશ્વરવિહોણું બનાવે છે.
–યેહુદા અમિચાઈ (ઈઝરાઈલ)
અનુ.: ઇન્દ્રજીત મોગલ
ક્યારેક શબ્દો કોઈ શક્તિશાળી બૉમ્બ કરતાં પણ વધુ પ્રબળતાથી આપણને હચમચાવી શકે છે એની પ્રતીતિ આ કાવ્ય વાંચતાવેંત જ થાય. થોડું પણ મનુષ્યત્વ આપણી અંદર જીવતું ન હોય તો જ આપણી રગોમાં દોડતું લોહી થીજી જતું ન અનુભવાય આ વાંચીને. કવિ સેન્ટિમીટરથી શરૂ કરીને અનંતતા અને મનુષ્યથી શરૂ કરીને ઈશ્વર સુધી ની વેદનાદાયી યાત્રા કરાવે છે. વિનાશનો વ્યાપ ગણવા બેસનાર કેટલા મૂર્ખ હોય છે! તબાહીની ગણતરી લાશો કે ઘાયલોના આંકડાથી પર હોય છે. કોઈપણ તબાહી સંકેત છે એ વાતનો કે ઈશ્વર ક્યાંય નથી…
યેહુદા અમિચાઈનો જન્મ 03-05-1924ના રોજ જર્મનીમાં અને મૃત્યુ 2-09-2000ના રોજ ઈઝરાઈલમાં. ઈઝરાઈલમાં વર્નાક્યુલર હિબ્રુ ભાષાને સ્થાપિત કરવામાં એમનો મોટો ફાળો હતો. બાઈબલની ક્લિષ્ટ ભાષાને બદલે ઈઝરાઈલની શેરીઓની ભાષાને કવિતામાં સ્થાન આપીને એમણે લોકભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો હતો.
Permalink
November 7, 2006 at 9:44 PM by ધવલ · Filed under અછાંદસ, યેહુદા અમિચાઈ, સુરેશ દલાલ
જ્યાં મેં પ્રેમ કર્યો હતો એ સ્થળ પર હું ઊભો છું.
વરસાદ વરસે છે. વરસાદ મારું ઘર છે.
ઝુરાપાના શબ્દોને હું વિચારું છું; એક દ્રશ્ય
શક્યતાના છેક છેવાડાની ધાર પર ઊભરાય છે.
મને યાદ છે તું હાથ હલાવતી
જાણે કે મારી બારી પરથી ધુમ્મસ લુછતી હોય એમ.
અને તારો ચહેરો જાણે કે મોટો થયેલો
જૂના ઝાંખા ફોટામાંથી.
એક વાર મેં મારી જાત અને બીજાઓ સાથે
ભયંકર ખોટું કર્યું હતું.
પણ દુનિયા સુંદર રીતે નિર્માણ થયેલી છે સારું કરવા માટે
અને વિસામા માટે; બગીચાના બાંકડા જેવી.
અને જીવનમાં મોડેમોડે મને જાણ થઈ
શાંત આનંદની,
કોઈ ગંભીર રોગ બહુ મોડેમોડે ઓળખાયો હોય એમ.
હવે જરીક અમથો સમય રહ્યો છે શાંત આનંદ માટે.
– યેહૂદા અમિચાઈ
હીબ્રુ કવિનું આ કાવ્ય સુરેશ દલાલે અનુવાદિત કરેલું છે. આ મારા અત્યંત પ્રિય કાવ્યોમાંથી એક છે. બહુ થોડા કાવ્યોમાં એવી તાકાત હોય છે કે જીવનને એક નવો દ્રષ્ટિકોણ આપી શકે. આ કાવ્ય એમાંથી એક છે. બહુ મોડું થઈ જાય એ પહેલા આપણે આપણો પોતાનો શાંત આનંદ શોધવો જ રહ્યો.
Permalink