અજવાળા અંધારા વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?
ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!
– શબનમ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગિરીશ ભટ્ટ

ગિરીશ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સમરથ સાથ સગાઈ – ગિરીશ ભટ્ટ

કીધી – એ સમરથ સાથ સગાઈ;
એની ઊંચી ઊંચી મેડી, ઊંચી છત્તર લગાઈ.

તાણો જોડ્યો, વાણો જોડ્યો, ચિત્ત જોડ્યું સાંવરિયે;
અનહદના સ્વામીને જોડ્યો, ભીતરના મંદિરિયે.

કેવી ફૂલી-ફાલી-હું થઈ, સગપણ થકી સવાઈ !
કીધી – એ સમરથ સાથ સગાઈ.

પ્રેમ-વેલ વાવી સાંવરિયે, ને મેં સીંચ્યાં આંસુ;
પરબારું મંડાયું ઘેઘૂર ઘેઘૂર એક ચોમાસું.

તૂટી તંદરા મનની, ભાગી ભવની બધી ભવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.

એવી શણગારી સ્વામીએ- જેમ ઓકળી ભીંતો;
હશે હાથ પીંછી કોમળ કે કોઈ અમૂલખ કિત્તો !

પળેપળે પામું મબલખને પળપળ થાતી નવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.

– ગિરીશ ભટ્ટ

મીરાંની પ્રેમલક્ષણા ભક્તિ યાદ આવી જાય એવું અદભુત ભક્તિગીત… સમર્થ સાથે સગાઈ માંડીએ એટલે ચિત્તના એક-એક તાણાવાણા એની સાથે જોડી દેવા પડે તો જ એ અનહદનો સ્વામી ભીતરના સિંહાસને આરુઢ થાય. ભવની ભવાઈ ભાંગે ને અંદરની ને અંતરની તંદ્રા તૂટે ને આંસુઓનું સીંચન થાય ત્યારે વાત આગળ વધે… અને આટલું થાય પછી તો આપણે કશું કરવાનું બાકી જ રહેતું નથી. એના કોમળ હાથે એ જ આપણને જેમ કોઈ ભીંત ઓકળતું હોય એમ આપણને એ રીતે શણગારે છે કે આપણને દરેક પળે મબલખ મળતું જણાય અને દરેક પળ સાનંદાશ્ચર્યની ભેટ બની રહે…

Comments (6)

શગને સંકોરો – ગિરીશ ભટ્ટ

છોડ્યો અમે બાળપણાનો દેશ;
વેલ્યું ઉતરાવો, મારા સાહ્યબા !

ઝળહળ ઝળહળ છે રામણ-દીવડો,
ઝળહળ ફળિયા ને પરસાળ;
થનગન નાચંતો મનનો ઓરડો,
ઉંબરેથી હૈયું ભરતું ફાળ !

ઊભી છું હું લજામણી વેલ;
શરમુંને છોડાવો, મારા સાહ્યબા !

પાડે ચાંદરડાં કમખલ આભલાં,
ઝબકીને જાગે ચારે ભીંત્ય;
અચરજમાં ડૂબેલા બે ટોડલા,
ક્યાં જાણે, જગની કેવી રીત્ય ?

સાવ રે અધૂકડા, બેય કમાડ;
હળવેથી સંચરજો, મારા સાહ્યબા !

સાગ-સીસમનો જડિયલ ઢોલિયો,
ઓશિકે ઓરતાના વંન;
ખનકે કડલાં ને ધીંગી કાંબીયું
એથીયે અદકરું ખનકે મંન.

ઘૂંઘટ ખૂલવાની આવી વેળ;
શગને સંકોરો, મારા સાહ્યબા !

-ગિરીશ ભટ્ટ

પરણીને સાસરિયે જતી નવોઢાનો ઉલ્લાસ અને સંકોચ – બંને તળપદી બોલીમાં અહીં સાંગોપાંગ વ્યક્ત થયા છે. એક તરફ બાળપણ છૂટી ગયાનો મીઠો ડંખ છે તો બીજી તરફ પગ ઉંબરો ઓળંગે એ પહેલાં ફાળ ભરીને પ્રિયતમ પાસે દોડી જતું હૈયું છે. નવલા જીવનના બેય દ્વાર અધૂકડાં જ છે એટલે પરણ્યાને હળવેથી પધારવાનું લજામણી જેવું લવચીક ઇજન એક તરફ છે તો બીજી તરફ કાંબા-કડલાંના ખણકાર કરતાંય વધુ ખણકતું ઉલ્લાસોત્સાહસભર મન છે.

Comments (10)

વજનદાર શાંતિ – ગિરીશ ભટ્ટ

એ લોકો શું

– કોઇ નવા ઇસુને
  વધસ્તંભ પર ચડાવી રહ્યા છે?

– કોઇ નવા બુધ્ધ પર
  પથ્થર અને ગાળોનો વરસાદ વરસાવી રહ્યા છે?

– કોઇ નવી મીરાંને
   ઝેરનો પ્યાલો ધરી રહ્યા છે?

– કોઇ નવી રાબિયાની
   જીવતી ત્વચા કોચી રહ્યા છે?

– પુત્રવધૂને જીવતી સળગાવીને
   પછી એની અર્ધબળેલી લાશના
   અગ્નિસંસ્કાર કરી રહ્યા છે?

   મિત્ર, આટલી વજનદાર શાંતિ શા કારણે છે?

– ગિરીશ ભટ્ટ

Comments (1)