અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સંજુ વાળા

સંજુ વાળા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુક્તક – સંજુ વાળા

અચળ ઊંડાણ છે આ હાથમાં
અગોચર ખાણ છે આ હાથમાં
સલામત એ જ મૂઠ્ઠી બંધ હો
ગજબ ખેંચાણ છે આ હાથમાં

– સંજુ વાળા

Comments (5)

સુખસંગત – સંજુ વાળા

વિતરાગી વહેતા જળકાંઠે બેઠા સુખસંગતમાં ;
નહીં પરાયું કોઈ અહીં કે નહીં કોઈ અંગતમાં.

હોવું હકીકત નમણી ;
ભેદ
ભાળે ડાબીજમણી ;
શું
એને કુબજા ? શું રમણી ?
ભાવભર્યું આલિંગન લઈને રમી રહ્યાં રંગતમાં.
બેઠા સુખસંગતમાં

જાગ્યાને મન ભેદ જાગનો ;
ચડે સૂતાને કેફ રાગનો ;
બંને છેડે ખેલ આગનો ;
ભરી સબડકો ખટરસ ચાખ્યો પહેલ કરી પંગતમાં.
બેઠા સુખસંગતમાં


વહેતાં જળ યાને કે સતત ચાલતા રહેતા સંસારના કાંઠે સુખની સંગતમાં કોણ બેસી શકે ? વીતરાગી (ગીતમાં છંદ જાળવણી માટે જોડણીની કદાચ છૂટ લીધી હોઈ શકે) જ સ્તો! અને વીતરાગી માટે વળી કોણ પરાયું અને કોણ પોતીકું ?
પોતાનું હોવું એનાથી વિશેષ નમણી હકીકત વળી શી હોઈ શકે ? હોવાપણું એ જ એવો ઉત્સવ છે કે નથી ડાબા-જમણાનો ભેદ રહેતો કે નથી રૂપ-કુરૂપનો. સારાં-નરસાં બધાંને ભાવથી આલિંગીને વીતરાગી જિંદગીની રંગત માણે છે. સંસારના બે અતિ છે એક છેડે જાગતો માણસ છે જે જાગૃતિનો અર્થ જાણે છે અને બીજા છેડે છે એવા માણસો જેમની નિંદ્રા હજી ઊડી નથી અને જેઓ હજીયે આસક્તિની કેદમાં સબડે છે. બંને અંતિમ સત્ય આખરે તો જીવનની આગનો જ ખેલ છે. અને એ જ વ્યક્તિ સંસારના બધા રસ માણી શકે છે જે આ દુનિયાની પંગતમાં પહેલ કરીને સબડકા ભરવાનું સાહસ ખેડે છે. (સંજુ વાળા (જન્મ: 11-07-1960) રાજકોટમાં રહે છે. ‘કંઈક/કશુંક અથવા તો…’ એમનો કાવ્યસંગ્રહ).

Comments (5)