ખીલાઓ ખૂબ માર્યા છે એ સ્પષ્ટ થાય છે
સંબંધની દીવાલમાં ટાંચા હતા અનેક.
– અનિલ ચાવડા

સૂર્યનું છેલ્લું કિરણ – વિપિન પરીખ

હિમાદ્રીએથી સરકી જઈને
પડે પ્રપાતે વળી ડૂબકી દઈ
તરે સરિતે થઈને પ્રફુલ્લ;
ને સૂર્યમુખી ચૂમીને લજાળ
ક્યાંયે જતું શ્યામલ અશ્વ-પીઠે !

– વિપિન પરીખ

વિપિન પરીખની કવિતા અંગે બે મત પ્રચલિત છે. એક વર્ગ એમને કવિ તરીકે માનવા તૈયાર નથી અને બીજો વર્ગ એમની કવિતાઓનો આશિક છે. કવિ પોતે આ વાત સ્વીકારે છે. બહુધા આપણે એમ માનીએ છીએ કે વિપિન પરીખ એટલે ઊર્મિશીલ અછાંદસ કાવ્યોનો શહેનશાહ જે કાવ્યાંતે ધારી ચોટ આપીને ભાવકને જકડી લે છે… એક નજર આ કવિતા ઉપર કરીએ… માત્ર પાંચ જ લીટીના કાવ્યમાં કવિ જૂજ શબ્દોની મદદથી સૂર્યના છેલ્લા કિરણનું કેવું સબળ ચિત્ર નીપજાવી શક્યા છે ! અને છે અછાંદસ પણ એનો લય કેવો પ્રબળ છે!! આ પણ વિપિન પરીખ છે……

13 Comments »

  1. સ્વાતિ ગઢિયા said,

    October 24, 2010 @ 3:11 AM

    વિપિનભાઈની કેટલી રચનાઓ ચાબખા જેવી તો કેટલીક ઝાકળબિંદુ જેવી કોમળ છે…

  2. rekha sindhal said,

    October 24, 2010 @ 6:39 AM

    વિપિન પરેીખ નિ:શંક સારા કવિ છે. અને એમને કવિ તરીકે ન સ્વીકારનારાઓમાં સીમા પારની દુનિયામાં જઈ સૂર્યનું છેલ્લુ કિરણ જોવાની દ્રષ્ટિનો અભાવ હોવો જોઈએ. ઉત્તમ કવિઓ પણ પોતાનાથી અલગ ભાતની રચનાને ઉતરતી ગણી કવિતા તરીકે અસ્વીકાર હોવાની ભૂલ કરતાં હોય છે. સાચા વિવેચકો જૂજ જોવા મળે છે. સામાન્ય કવિની કોઈક અસામાન્ય રચનાની સરખામણીએ પ્રખ્યાત કવિની કોઈ સામાન્ય રચના ઉતરતી હોવા છતાં લોકો તો બ્રાંડ નેઈમને જ વખાણવાના. આ ગાડરીયા પ્રવાહથી અલગ એવું લયસ્તરોનું ઉત્તમને અગ્રતાક્રમ આપતું ધોરણ ધન્યવાદને પાત્ર છે. અહીં “સૂર્યમૂખી ચૂમીને લજાળ” શબ્દોએ કમાલ સરજી છે.

  3. ડૉ.મહેશ રાવલ said,

    October 24, 2010 @ 8:12 AM

    સુંદર તો ખરૂં જ સાથે-સાથે સશક્ત પણ કહેવું પડે એવું અછાંદસ….
    કવિ અને કવિકર્મને સલામ.

  4. Bharat Trivedi said,

    October 24, 2010 @ 8:41 AM

    વિપિનભાઈભાઈ પાસે કવિ-હ્રદય છે તેના પૂરાવા આપવા ના પડે. હવે તેમનું લખાણ કવિતા બને છે કે નહીં તે વિષેનો ઉત્તર વ્યક્તિગત જ રહેવાનો. કવિતામાં શું કહેવાયું છે તે નહીં પણ કવિતામાં કેવી રીતે કહેવાયું છે? એવો પ્રશ્ન જેને થતો હોય તેને તો વિપિનભાઈની કવિતામાં ઉણપ દેખાવાની શક્યતા વધારે રહેવાની પણ તેથી શું? ‘વાક્યમ રસાત્મકમ કાવ્યમ’ એવું તો આપણા આચાર્યો કહી જ ગયા છે ને? વિપિનભાઈનાં કાવ્યોને સુપેરે તપાસવાં જોઈએ જેથી તેમને ચીલે ચાલવા મથતા ‘કવિઓ’ને પણ વિપિનભાઈનાં કાવ્યોનું ઊડાણ સમજાય.

  5. Girish Desai said,

    October 24, 2010 @ 9:24 AM

    કોઇ એ પણ , ક્દી પણ ,ક્યાયે પણ, ક્યારે પણ એવી વ્યક્તિ જોઇ કે જાણી છે કે જેને વિશે બે મત ન હોય ?
    માણસ માત્રની ઓળખ એની માન્યતા ઉપર જ નીર્ભર હોય છે ને?

  6. ધવલ said,

    October 24, 2010 @ 12:20 PM

    નાજુક કાવ્ય !

  7. DHRUTI MODI said,

    October 24, 2010 @ 3:18 PM

    ખૂબ જ ગમી આ ઝીણી મખમલી ભરતવાળી સબળ કવિતા.કોઇ કવિ કહે કે ના કહે તેની અસર આવા નિસ્પૃહી કવિઓને થતી નથી.એમને માટે તો એમનું ભાવજગત જ એક વિશ્વ છે.

  8. Girish Parikh said,

    October 24, 2010 @ 4:40 PM

    રવીન્દ્રનાથ ટાગોર જેવા કવિને પણ પંડીતો (કહેવાતા વિવેચકો) શરૂઆતમાં દાદ નહોતા આપતા! એમને નોબેલ પ્રાઈઝ મળ્યા પછી વિવેચકોની લાઇન લાગતી, અને એમને ખાસ્સું તપ કરાવ્યા પછી ટાગોર મુલાકાત આપતા!

  9. pragnaju said,

    October 24, 2010 @ 6:36 PM

    ખૂબ સુંદર અછાંદસ
    યાદ…
    ડાંગરના ખેતરમાં તડકો
    રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
    રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર
    પીળાં પીળાં રાઈ તણાં ફૂલ
    થઈને

    દૂર ક્યારડો વાલોળે લીલો
    ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો
    ને પાસ થોરની ટોચ ટૂકડો આભ બનીને
    ચટાક રાતો રંગ લહેરમાં ચૂમતો
    બહાર ઊભેલો આંબો એનાં
    પાન પાન આ ઊડી જાય રે પંખીટહૂકા થઈને

  10. P Shah said,

    October 25, 2010 @ 2:36 AM

    વિપિનભાઈનું કાવ્ય. ભાવકોનું રસદર્શન તથા ધવલભાઈએ યાદ કરીને
    મૂકેલું સુંદર અછાંદસ હૃદયને સ્પર્ષી ગયા.

  11. Ramesh Patel said,

    October 25, 2010 @ 12:22 PM

    જે મનને સ્પર્શે અને હૃદયને ઝણઝણાવે એ જ કાવ્ય તત્ત્વ ,જેના માટે કવિ હૃદય જોઈએ.
    તેમની દરેક રચના કાબેલીયત ધરાવે છે કઈંક કહી જવા માટે.
    રમેશ પટેલ(આકાશદીપ)

  12. Ramesh Patel said,

    October 25, 2010 @ 12:37 PM

    શ્રી અરવિંદભાઈનો લેખ એક તથ્ય ને ખૂબ જ સરસ રીતે રજૂ કરેછે. શ્રી હિમાંશુભાઈએ ,શ્રી નરેન્દ્ર મોદીની મહેનત ને કાર્ય નિષ્ઠાને વખાણી એ પણ સાચું જ છે. સાથે સાથે ગુજરાત માટે અને સાંપ્રદાયિકતાના સૂરો છેડતા અને બહુમતીને કાયમ અન્યાય કરતા વિધાનો પણ કોંગ્રેસથી સૌને સારા ભારતમાંથી ટેકો ભવિષ્યમાં ઘૂમાવતા જશે એ સમય જ બતાવશે.રાજકારણમાં ઘણી બધી વાતો પરઆધાર હોય છે અને મારે તેની તલવાર
    પણ અગત્યનો ભાગ ભજવે છે. બેની લડાઈમાં ત્રીજા પણ ફાવી જતા હોય છે. સંજોગો પણ રાતોરાત
    ભૂકંપો સર્જી જાય છે. હવે સલામતી માટે જો સરકાર વિચારશે તો એક ડગલું આગળ વધશે..તેમાં ધરખમ આધુનિકતા અને આયોજનની જરૂર વધતી જાય છે અને તે ઝડપી હોવું જોઈએ જેથી
    નિર્ણાયક બની ભરોસો જગવી શકે.
    રમેશ પટેલ(આકાશદીપ)

  13. Kalpana said,

    October 26, 2010 @ 1:31 PM

    ખૂબ સુન્દર. જાણે સનસેટ પોઇઁટ પર ઊભા રહી અસ્ત થતા સૂર્યને નિહાળતા હોઈએ! સચોટ છલકતુઁ કવિત્વ.
    કલ્પના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment