મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

ચાલો – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

ચાલો,
અષાઢનાં વાદળો તીડના ટોળાં બનીને
ધરતીને ચૂસી ખાય તે પહેલાં,
વિનામોતે મરેલાંની કબરો
હિમાલયના શિખરો બની જાય તે પહેલાં,
પ્રેમની વાતોથી
કવિતાના શબ્દોનો રંગ ફટકી જાય તે પહેલાં,
જાળ નાખીને
ચંચલ પાણીમાં સ્થિર ઊભેલો માછીમાર
ભગવાન બની જાય તે પહેલાં,
ચાલો,
ધરતીમાં ઢબૂરાયેલા બીજને
આપણે મૃત્યુથી કથા કહેવાની છે.
અને –

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

જો આશાનું બીજ ઊગે નહીં તો આશંકાઓ આખા જગતને ઘેરી વળે. અને બીજને ઊગવા માટે જે રસ જોઈએ તે પૂરો પાડવા માટે આગલી પેઢીએ મૃત્યુ પામીને ધરતીને સમૃદ્ધ કરવી પડે. અને  એ પછી જ કથા આગળ ચાલે.

કવિના કલ્પનોની ધાર કવિતામાં અનુભવી શકાય છે.  કવિએ પસંદ કરેલા આશંકાના શબ્દચિત્રો મનને સૂન્ન કરી દે એટલા સબળ છે.

4 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    November 17, 2010 @ 3:31 AM

    સાચી વાત છે ધવલભાઈ,
    કવિએ પસંદ કરેલા આશંકાના શબ્દચિત્રો મનને સૂન્ન કરી દે એટલા સબળ છે.
    સરસ અને સશક્ત રચના.

  2. pragnaju said,

    November 17, 2010 @ 10:20 AM

    સ રસ અછાંદસ

    ધરતીમાં ઢબૂરાયેલા બીજને
    આપણે મૃત્યુથી કથા કહેવાની છે.
    અને –
    ખૂબ સુંદર
    ધરતીમાં ઢબૂરાયેલા બીજને સહજ બીક રહે કે તે સડીને નાશ પામશે કે તેમાંથી પીલો નીકળશે આ વિટંબણાઓ અનેક પ્રતિકો દ્વારા વ્યક્ત કરી છે. અર્થો જાતે જ કાઢવાનું આપણને ઇજન છે.
    – ‘અને’ કહીને ….

  3. Bharat Trivedi said,

    November 17, 2010 @ 6:42 PM

    પ્રેમની વાતોથી
    કવિતાના શબ્દોનો રંગ ફટકી જાય તે પહેલાં

    બોહોત ખૂબ !!!

  4. Alkesh said,

    November 18, 2010 @ 5:48 AM

    શું કલ્પના અને શું રજૂઆત, આહ અને વાહ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment