ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
મરીઝ

આખરની કમાઈ – કુસુમાગ્રજ (અનુ.જયા મહેતા)

મધરાત વિત્યા પછી
શહેરનાં પાંચ પૂતળાં
એક ચોરા પર બેઠાં
અને આંસુ સારવા લાગ્યાં.

જ્યોતિબા બોલ્યા,
છેવટે હું થયો
ફક્ત માળીનો.
શિવાજીરાવ બોલ્યા,
હું ફક્ત મરાઠાનો.
આંબેડકર બોલ્યા,
હું ફક્ત બૌદ્ધોનો.
ટિળક ઉદગાર્યા,
હું ફક્ત ચિત્પાવન બ્રાહ્મણોનો.
ગાંધીએ ગળાનો ડૂમો સંભાળી લીધો
અને તે બોલ્યા,
તોયે તમે નસીબદાર
એક એક જાતજમાત તો
તમારી પાછળ છે.
મારી પાછળ તો
ફક્ત સરકારી કચેરીની દીવાલો !

-કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)

આ કાવ્ય વાંચીને દિલમાંથી ચીસ નીકળી જાય છે. હકીકત એ છે કે સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ. એજ રીતે ગાંધીજીને અનુસરવા માટે નક્કર આદર્શોવાળી પ્રજા જોઈએ. આપણું એ ગજુ નથી. કોઈ બીજા પર આક્ષેપ નથી, પહેલી આંગળી પોતાની તરફ જ છે. જગતને સુધારવાની ગાંધીજીએ બતાવેલી રીત પોતાની જાતને સુધારવાની હતી. આ રીતથી વધારે સચોટ અને વધારે કઠીન રીત બીજી કોઈ નથી. આ બધા વિચારો એકાદ પળ માટે રહે છે અને પછી પાછા આપણે જેવા હતા એવાને એવા જ ! એટલે જ તો કહ્યું છે,

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
(મરીઝ)

3 Comments »

  1. Suresh said,

    June 4, 2006 @ 10:01 AM

    મારી આંખમાં પણ આંસુ આવી ગયા. આ દર્દ કહો કે નશો કહો કે સંવેદનશીલતા આપણે ગુમાવી બેઠા છીએ.

  2. વિવેક said,

    June 7, 2006 @ 3:22 AM

    ઘણા વખત પહેલાં વાંચેલી આ કવિતા આમ તો સ્મૃતિપટ પરથી પણ લુપ્ત થઈ ગઈ હતી. ફરીથી આપણી કડવી વાસ્તવિક્તાનો વસમો ઘૂંટ પીવડાવવા બદલ આભાર…

  3. kantilalkallaiwalla said,

    November 26, 2008 @ 12:00 PM

    poet kusumagraj has described fact nicely and jaya mehta has translated in the best way. May I request you to put one translated poem by Jaya Mehta wherein following words are coming: Bhunda bhujang ropp kankan chhe karoma: This is stuti of Lord Shiva. I had this poem but as my diary is lost , i could not read it.I will be obliged and please if my request is considered

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment