ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
આ એકલતા પછી ઇંડા મૂકે તો !
હર્ષ બ્રહ્મભટ્ટ

અહીં રઝળતા કાગળો – રમેશ પારેખ

અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયાં ?
વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં ?

પહાડ પરથી દડદડીને ખીણમાં પડતી સવાર –
ઘાસની કેડીને જઈ પૂછે કે ઝાકળ ક્યાં ગયાં ?

આંખ અશ્રુપાતથી પાલવને કાળો ભીંજવે :
કેમ પૂછે છે સહુ : આંખોનાં કાજળ ક્યાં ગયાં ?

ગંધ તરસી તરફડી રહી છે ફૂલોનાં બારણે –
બાગને ભૂલી પવન સૌ કેમ અસ્તાચળ ગયાં ?

બારણું ખોલું તે પહેલાં તો તમે ચાલ્યાં ગયાં –
મેં તમારા સમ, કરી’તી બહુ ઉતાવળ, ક્યાં ગયાં ?

હું અને મારો વિરહ રણમાં રઝળતાં પૂછીએ –
આપણાં સાથી મૂકીને આમ પાછળ, ક્યાં ગયાં ?

– રમેશ પારેખ

દરેક શેર એક કહાની છે……સમર્થ સર્જકની આ નિશાની છે….ત્રીજો શેર અંતર વલોવી નાખે છે, તો પાંચમો શેર આંખના ખૂણા ભીના કરે છે. છેલ્લો શેર શિરમોર છે – નિ:શબ્દ કરી દે છે….

1 Comment »

  1. વિવેક said,

    June 20, 2019 @ 8:01 AM

    ઉમદા ગઝલ… પણ ર.પા. જેવા સર્જક મત્લાનો ત્યાગ કરે કે મત્લામાં કાફિયાદોષ ઊભો કરે એ જરા નવાઈ જેવું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment