ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.
ડેનિશ જરીવાલા

(નભી ગઈ બહાર પણ) – ‘નઝીર’ ભાતરી

હદમાં રહી હું જાઉં છું હદની બહાર પણ,
છું હું નશામાં ચૂર અને બેકરાર પણ.

હું કાંઈ પણ ન હોઉં તો કંઈએ નહીં રહું,
તું કાંઈ પણ નથી અને પરવરદિગાર પણ !

છે ઈન્તઝાર એમાં દિવસ શું ને રાત શું ?
છે રાત પણ દિવસ પણ અને ઈન્તઝાર પણ !

સુખના સમયમાં આંખથી આંસુ ખરી પડ્યાં ?
પોષાઈ પાનખર ને નભી ગઈ બહાર પણ !

તારા હરીફ ક્યાંથી ભલા કોઈ હોઈ શકે ?
તું યાદ આવનાર ને ભૂલી જનાર પણ.

જ્યાં ત્યાં પ્રકાશ એનો નહિતર ન વેડફે,
સૂરજના માર્ગમાં શું હશે અંધકાર પણ ?

જીવનમાં સુખ સિવાય બીજું કાંઈ ના મળે,
દુઃખ દઈ ગયો મને તો ‘નઝીર’! એ વિચાર પણ.

– ‘નઝીર’ ભાતરી

પરંપરાના શાયરની કલમે અદભુત રચના… પાનખરને પોષવાની અને વસંતને નિભાવી લેવાની વાત કરતો શેર તો ઉત્તમોત્તમ…

2 Comments »

  1. Prof. K. J. Suvagiya said,

    April 7, 2019 @ 4:14 AM

    વાહ!
    સુખના સમયમાં આંખથી આંસુ ખરી પડ્યાં ?
    પોષાઈ પાનખર ને નભી ગઈ બહાર પણ !

    શીર્ષક શેર ખરેખર આખી ગઝલના શીર્ષ પર બેઠો છે!
    આ શેરમાં પ્રથમ પંક્તિના અંતે ‘?’ કેમ? તે ન સમજાયું?!

  2. ketan yajnik said,

    April 7, 2019 @ 11:56 PM

    બરાબર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment