ઝાંખા પાંખા અક્ષર જેવો માણસ છે આ,
શિલાલેખના પથ્થર જેવો માણસ છે આ.
લલિત ત્રિવેદી

રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ ! – ‘ગની’ દહીંવાળા

તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.

મારા દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી, કદી મુજથી ફરી ગઈ.

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ !

હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી !
આવી વિકટ સફરને તું પૂરી કરી ગઈ.

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.

જીવી ગયો તમારી મહોબ્બતને આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.

– ‘ગની’ દહીંવાળા

અમર ગઝલ……..

Leave a Comment