ક્રોમળ – સ્નેહલ જોષી
આવું તે કોણ હોય કોમળ,
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!
અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે
જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે
એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!
એને તો એની કંઈ પરવાય નંઈ
એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય
અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ!
– સ્નેહલ જોષી
કવિતા કંઈ દર વખતે મોટી મોટી વાત જ કરે એ જરૂરી નથી. કવિતા માનવસંબંધોની આંટીઘૂંટી સમજવા-ઉકેલવામાં મદદ કરે એય આવશ્યક નથી. ક્યારેક એક સાવ નાનકડો વિચારતંતુ લંબાઈને કાવ્યમાળા બની જાય એમ પણ બને. પોતાની ચાહનાથી પાણીમાંના કમળ પેઠે જે સાવ જ અનભિજ્ઞ છે, એવી નાયિકાને નાયક બસ એટલું જ કહેવા માંગે છે કે સમસ્ત સંસારમાં એનાથી કોમળ બીજું કોઈ નથી. બસ, આ એક તાંતણા પર કવિતાના મોતી પરોવીને કવિએ પ્રસ્તુત કર્યાં છે. વાત નવી નથી, પણ રજૂઆતની નજાકત એને મજેદાર બનાવે છે. ગીત નિઃશંકપણે સહેજ કાચું લાગે, પણ ગીતની છેલ્લી કડીને અધૂરી રાખી જે રીતે ધ્રુવ પંક્તિ સાથે બાંધી દઈ વાત પૂરી કરી બતાવી છે એ સવિશેષ ગમી જાય છે.
