ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સ્નેહલ જોષી

સ્નેહલ જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અસ્પૃષ્ટ – સ્નેહલ જોષી

ન કોઈ શબ્દ વિસ્તરે, ન જ્ઞાન ચિત્તને અડે,
બધીર ચેતના બધી ન કાન ચિત્તને અડે.

પ્રવાત ચીરતું વિહંગ પંખરિક્ત છે હવે,
ન લક્ષ્ય કોઈ છે ન આસમાન ચિત્તને અડે.

હવે ન સ્પર્શતા પવન દિશા ન વાયવી દિશે,
ગળી જવાય કંઠમાં ન ગાન ચિત્તને અડે.

રહી ન અર્થની વિદ્યા, રહ્યા ન અર્થસ્નાતકો,
નિમજ્જ શબ્દમાં રહ્યા ન સ્નાન ચિત્તને અડે.

ધરા વહી, વખત વહ્યો, વહ્યું છે સર્વ પૂર્ણમાં,
ભ્રમણ ન આત્મનું થયું ન સ્થાન ચિત્તને અડે.

ન મોહ ક્રાંત થઈ શક્યો રહ્યા સદૈવ અંતિમે,
પ્રથમ રહું, પરંતુ ત્યાં સ્વમાન ચિત્તને અડે.

પ્રગટ થયા, કર્યું બધુંય પ્રાપ્ત, વ્યાપ્ત જે હતું,
નજર પ્રદીપ્ત થઈ, બધાં નિશાન ચિત્તને અડે.

– સ્નેહલ જોષી

એક ન અડવાની ગઝલમાં કેટલી બધી અર્થચ્છાયાઓ આપણને વળગી પડે છે !

(પ્રવાત = પવનનો ઝપાટો, પંખરિકત= પાંખ વિનાનું)

Comments (9)