જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.
હેમંત પૂણેકર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કનક રાવળ

કનક રાવળ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શ્વેત પરછાઈ – કનક રાવળ

સમો દિવાળીની રાત, શરદના શીતળવા
ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે
રચાયો રાસ રત્ન રાશિનો
આનંદ ઓઘ વર્તાયો નભ મંડળે
પલકારામાં ભાગ્યા સૌ નિજી સ્થાને ભૂલી પાછળ ઓંછાયા
આવતા સવારી ભવ્ય સૂરજ મહારાજની
ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે
પથરાયાં ત્યાં શ્વેત પારિજાત પુષ્પો
નાજુક, પંચપત્તી, રક્તશિખાધારી
મઘમઘી દિશાઓ પુષ્પગાને,
યાદી ભરી ગતરાત્રિ સંવનનોની,
મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,
થયું ભાથું ભેગું અતીત ઓવારે
રહી બાકી શ્વેત પરછાઈ
– ધરી રક્તબિંબ અધરે

– કનક રાવળ

White Shadows

Blazing with zillion diamond stars
Was the autumn night of the moonless Diwali Amaas
They all took to their heels
At the first rays of the New Year morning sun.
Did they leave behind something in their celestial exodus?
Carpeted was the dew-wet ground under the Parijat tree
-With millions of them.
Beautiful snow-white five star petals with their stubby sunset red stems.
-And they all were singing in unison
A haunting tune of their divine fragrance
In memory of the last night.
It was embedded in the vaults of nostalgia for the years to come.
Have you ever seen?
-White Shadows with Red Kisses?

– Kanak Ravel

દિવ્ય વૃક્ષ ગણાતા ‘પારિજાત’ સાથે કેટલીક કિંવદંતીઓ જોડાઈ ચૂકી છે. કહે છે કે પારિજાતિકા નામની રાજકુમારી સૂર્યના પ્રેમમાં પડી અને અછોવાનાં કર્યા પછી પણ જ્યારે એ સૂર્યનું દિલ જીતવામાં નિષ્ફળ રહી ત્યારે એણે આત્મહત્યા કરી. એની રાખમાંથી એક વૃક્ષ ઊગી આવ્યું જેના પર માત્ર રાત્રે જ પુષ્પો ખીલે છે અને સવારે સૂર્ય ઉગતાની સાથે જ એ સઘળાં ફૂલો જાણે કે રાજકુમારીના આંસુ ન હોય એમ ખરી પડે છે. (દંતકથા સાચી હોય કે ન હોય, પારિજાતના સમયચક્રની આ વાત જરૂર સાચી છે !) (botanical name: Nycatanthes Arbortristis. Nyctanthes means ‘night flowering’ and Arbortristis means ‘The sad tree’ or ‘The tree of sorrow’)

એવી પણ વાયકા છે કે શ્રી કૃષ્ણ આ વૃક્ષ સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા હતા અને સત્યભામા અને રૂક્મણી વચ્ચે એ વૃક્ષ પોતાના આંગણમાં રોપવા બાબત ઝઘડો થયો. શ્રી કૃષ્ણે એ વૃક્ષ પછી સત્યભામાના બાગમાં એ રીતે રોપ્યું કે ફૂલ બધાં રૂક્મણીના આંગણામાં પડે!

એવું પણ મનાય છે કે સમુદ્રમંથન વખતે આ વૃક્ષ પ્રગટ થયું હતું. પારિજાતના ફૂલો મા દુર્ગાના આવણાંના પડછમ પોકારે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ બંનેના મહત્ત્વને એમની કવિતાઓમાં સ્થાન આપ્યું છે. અન્ય પુષ્પોથી સાવ વિપરીત પારિજાતના પુષ્પો એકમાત્ર એવા પુષ્પો છે, જે જમીન પરથી ઊઠાવીને દેવપૂજા માટે વપરાય છે.

પારિજાતના પુષ્પોની ચારથી આઠ પાંખડી લોહી જેવા નારંગી રંગની ફરતે ચક્રની જેમ ગોઠવાયેલી હોય છે. એની પ્રગાઢ ખુશબૂ દૈવી આનંદની અનુભૂતિ કરાવે છે. ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પારિજાત જ્યારે ખીલે છે ત્યારે સૂર્યના પ્રથમ કિરણ સાથે જમીન પર પથરાયેલી સુગંધીદાર ચાદર કદાચ તમારો શ્વાસ પણ રોકી દે! ભારતમાં હિમાલય, પૂર્વી આસામ, બંગાળ અને ત્રિપુરાથી માંડીને ગોદાવરી સુધી પારિજાત જોવા મળે છે.

પારિજાત વિશે આટલું જાણ્યા પછી કવિતા અને એનો કવિએ જ કરેલો અંગ્રેજી અનુવાદ- બંને માણીએ…

Comments (14)