ઝાંઝવા મંગાવવાં પડશે પ્રથમ,
માત્ર બળતી રેત એ કૈં રણ નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રિયવદન નૌતમરાય પાઠક

પ્રિયવદન નૌતમરાય પાઠક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પડઘા – પ્રિયવદન નૌતમરાય પાઠક

(શિખરિણી)

નથી આ કૈં કાવ્યો : નથી પ્રણયના ઓઘ ઊભરા!
વિમર્શો કૈં છે ના, ન પરિણત પ્રજ્ઞા તણી કૃતિ!!
બહુરૂપા સૃષ્ટિ સજતી નિજ સૌંદર્ય પણ ક્યાં?
તરંગોની લીલા નહિ નવીન, ના કલ્પન નવાં!

ન કે કાવ્યાભાસી સહજ પદવિન્યાસ નવલા,
નવા ઉન્મેષો ના, નવ નવીનતા છંદ-લયની,
ન વા શોભે કોઈ નવતર અલંકાર કૃતિમાં,
કવ્યા ના સંસ્કારો નવ રસ રૂપે પૂર્વસૂરિના.

નથી ભાષાપ્રૌઢી કવનની, ન લક્ષ્યા, શું અભિધા!
ગિરા જે ગીર્વાણ પ્રભવતી નહીં કૈં ગુણવતી,
ન વાણીની આમાં મનસ ભરતી કૈ& ધ્વનિ-કલા,
ન વાગ્મિતા કેરી મનહર મધુરી મુખરતા.

નિનાદો તારા જે અહરનિશના પ્રીત-ટહુકા,
સખી! તેના આ તો હૃદ-વિવરમાં આર્દ્ર પડઘા.

– પ્રિયવદન નૌતમરાય પાઠક
(જન્મ ૦૯-૧૦-૧૯૨૩, નિધન ૧૩-૧૦-૨૦૧૭)

કવિતા શું છે એનો તાગ મેળવવા કવિઓ પરાપૂર્વથી મથતા આવ્યા છે. બહુ ઓછા જાણીતા કવિ શ્રી પ્રિયવદન પ્રસ્તુત સૉનેટમાં નથી-નથીની રીતિ અપનાવીને પોતાની કવિતાના મૂળ સુધી પહોંચે છે. કવિતાની શરૂઆત જ આ કંઈ કાવ્યો નથીની નિખાલસ કબૂલાતથી થાય છે. કવિ કહે છે કે એનાં સર્જન પ્રણયના ધોધમાર ઊભરા નથી, ઊંડાવિચારવિમર્શોનું તારતમ્ય પણ નથી, પરિપક્વ પ્રજ્ઞાનું નવનીત પણ નથી, ને અહીં બહુરૂપી સૃષ્ટિની પોતિકી સૌંદર્યલીલા પણ નથી. અહીં કાવ્યનો આભાસ જન્માવે એ નવીન પદવિન્યાસ નથી, નૂતન ઉન્મેષો નથી, છંદોલયના નવીનતમ પ્રયોગો કે અલંકારોની શોભા પણ નથી, ને પૂર્વસૂરિઓ પાસેથી મળેલા સંસ્કારો નવા રસમાં ઢળાઈને પણ રજૂ થયા નથી. કવિ પાસે ગંભીર-પ્રૌઢ ભાષા નથી, જે અભિધા-લક્ષણા-વ્યંજનાની કસોટીએ ખરી ઊતરે, ગુણવતી દેવોની ભાષા પણ નથી ને કાવ્યશાસ્ત્રની મધુર મુખરતા પણ નથી.

આમ, નથી-નથી કરતાં કવિ પોતાની કવિતાની ગંગોત્રી સુધી પહોંચે છે. એમની સખીના અહર્નિશ પ્રીત-ટહુકાઓનો જે અવાજ છે, એના કવિહૃદયમાં જે આર્દ્ર પડઘા ઊઠે છે એ જ છે એમની કવિતા…

કેવી અદભુત રચના!

Comments (3)