અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.
ન્હાનાલાલ કવિ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આસિફખાન ‘આસિર’

આસિફખાન ‘આસિર’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ખુમારી‌ છે – આસિફખાન આસિર

શબ્દ કેવળ નથી,ખુમારી‌ છે
જાત કાગળ ઉપર ઉતારી છે

વેદનાને મે માત્ર ધારી છે
રાત તારા વગર વિચારી છે

જે હતી શંકા એ નિવારી છે
આંખ પહેલાં નજર સુધારી છે

તૃપ્તિ મનમાં કદી કદી ઝબકી,
ઝંખના દિલમાં એકધારી છે

પોતપોતાની રીતે સૌ માંગે
જાત માણસની તો ભિખારી છે

હોય હિમ્મત તો બળવો કર ‘આસિર’
બાકી સંજોગે સૌ પૂજારી છે

– આસિફખાન આસિર

જીવનમાં એક શેર એવો લખાય જે તમારો સિગ્નેચર શેર બની રહે, એવી ઇચ્છા કોની ન હોય? આ ગઝલનો મત્લા એવો જ સિગ્નેચર શેર બનીને આવ્યો છે. પોતાની જાત અને ખુમારી કાગળ પર ઢાળવાની વાત કવિ જે અંદાજે-બયાઁ સાથે લઈ આવ્યા છે એ અદભુત છે. અને મજબૂત શેરનો આ સિલસિલો આખી ગઝલમાં પછી તો બરકરાર રહ્યો છે. પ્રિયતમા વગર રાત પસાર કરવાનું વિચારતી વખતે શી વેદના થશે એ માત્ર ધારણાની જ વાત હોઈ શકે કેમકે ખરેખર રાત એના વિના પસાર કરવાની થશે તો જે વેદના થશે એ ધારણાની તમામ સરહદોનીય પેલે પારની હશે. રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે. આંખ પહેલાં નજર સુધારવાની વાત, કદી ન ખૂટતી ઇચ્છાઓ અને ભાગ્યે જ થતા સંતોષની વાત, માણસજાતનું ભિખારીપણું અને પૂજારીપણું – આ બધું જ ટૂંકી બહેરમાં લાંબી વાત કરી જાય છે.

Comments (4)

ગઝલ – આસિફખાન ‘આસિર’

બ્હાવરી આંખો, ન મટકી પાંપણો,
શું કહું, આવી પડી એવી ક્ષણો.

આંચ લાગે ને પીગળતો જાય છે,
મીણ સમ સંબંધ કેવો આપણો !

વાંચતા આંખોય શીખો લોકની,
આ શું લઈ ફરતા રહો છો દર્પણો ?!

પૂછ ના અવસર પછીની રિક્તતા,
બારસાખે બસ, સૂકા છે તોરણો.

છોડને તું પામવાની ઘેલછા,
બે ઘડીનો છે વિસામો આપણો.

લાગણીથી તરબતર ‘આસિર’ થયો,
એ હતા નજરોના ઠાલા કારણો.

– આસિફખાન ‘આસિર’

સુરતના શાયર આસિફખાન સ્વભાવે જેવા સરળ છે એવી જ ગઝલ પણ લઈને આવ્યા છે. આંખો-પાંપણોને અવાચક કરી દે એવી ક્ષણોની વાત મત્લામાં કરીને એ ગઝલના દરવાજા ઊઘાડે છે અને એ જ નજરોમાં મનગમતું પણ ઠાલું વાંચી લઈને તરબતર થઈ જવાની વાત સાથે મક્તા સુધી આપણને કવિ લઈ જાય છે. ગઝલની વચ્ચે પણ કવિ આંખોની વાત સરસ રીતે લઈ આવે છે. આપણે લોકોની આંખો વાંચવું ભૂલી ગયા છીએ. જ્યાં જઈએ ત્યાં આપણે દર્પણો જ લઈને જઈએ છીએ. બીજાને વાંચવા-સમજવાને બદલે દરેકમાં આપણે માત્ર આપણી જ જાતને શોધતા ફરીએ છીએ…

Comments (9)