સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.
રાજુલ ભાનુશાલી

ઉઘાડી રાખજો બારી – પ્રભાશંકર પટ્ટણી

દુઃખી  કે  દર્દી   કે  કોઈ   ભૂલેલા   માર્ગવાળાને,
વિસામો  આપવા  ઘરની  ઉઘાડી  રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા   કર્ણનેત્રોની    ઉઘાડી    રાખજો   બારી.

પ્રણયનો  વાયરો  વાવા,  કુછંદી  દુષ્ટ વા જાવા,
તમારા  શુદ્ધ  હૃદયોની   ઉઘાડી   રાખજો   બારી.

થયેલાં   દુષ્ટ   કર્મોના   છૂટા   જંજીરથી  થાવા,
જરા   સત્કર્મની   નાની,  ઉઘાડી  રાખજો  બારી.

-પ્રભાશંકર પટ્ટણી

પ્રભાશંકર પટ્ટણી જ્ઞાતિએ નાગર. જન્મ: મોરબી ખાતે ૧૫-૦૪-૧૮૬૨ના રોજ, કોટડા-સાંગાણીના વતની. મૃત્યુ: ૧૬-૦૨-૧૯૩૮. ભાવનગરના રાજકુમાર ભાવસિંહજીના શિક્ષક અને સલાહકાર હતા. રાજ્યના દીવાન હતા અને ગાંધીજીના પરમમિત્ર. કવિ કાન્ત અને બ.ક.ઠાકોરના અંગત દોસ્ત. અંગ્રેજ સરકાર તરફથી સરનો ખિતાબ પણ મળ્યો હતો. એમના જીવનનો એક નાનકડો પ્રસંગ આપ અહીં માણી શકો છો.

(કાવ્યસંગ્રહ: ‘મિત્ર’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦)

5 Comments »

  1. pragnajuvyas said,

    November 16, 2007 @ 10:07 AM

    ભાવનગરમાં થોડો સમય પણ રહ્યા હોય અને વહીવટ માટે સર પ્રભાશંકર પટ્ટણીને માનથી યાદ ન કરે તેવું ન બને! તેમનૂ આ વાક્ય તો તકિયાકલામની જેમ વપરાય-” અહીં પહેરવેશની નહીં ગુણની પૂજા થાય છે.!” તેમાં ગાંધીજીના પરમમિત્ર. કવિ કાન્ત અને બ.ક.ઠાકોરના અંગત દોસ્ત
    વાંચી તો માથું નમી જાય… સાથે ઉમેરીએ નાનાભાઈ ભટ્ટના ગુણ પૂજક અને કલાપીના પ્રસંશક.
    આપણા ચારે ય વેદોના સાર જેવી ચાર પંક્તીની કવિતા વાચી,સમજી,માની પોતના જીવનમાં ઉતારીએ-ચારેય બારીઓ ખોલીએ તો પછી ઝાઝું કાંઈ કરવાનું રહેતું નથી.
    દેશી નાટકો આ કાવ્ય સાંભળ્યું છે-અમારા એક નાટકમાં નેપથ્યમાં ગવડાવ્યું પણ છે.
    પ્રભુ ઘરની,કર્ણનેત્રોની,શુદ્ધ હૃદયોની અને સત્કર્મની બારી ઉઘાડી રાખવાની શક્તિ આપો તેવી પ્રાર્થના

  2. ઊર્મિ said,

    November 16, 2007 @ 11:28 AM

    વાહ… લાંઆઆઆઆબા રદીફની ખૂબ જ સુંદર ગઝલ…
    ચાર શેરોની આ ગઝલ જાણે કે ચાર ચાર ગઝલ હોય એવું લાગ્યું…!

  3. ઊર્મિ said,

    November 16, 2007 @ 11:31 AM

    આ દિવ્યભાસ્કરની લિંક નથી ચાલતી દોસ્ત…

  4. ભાવના શુક્લ said,

    November 16, 2007 @ 2:52 PM

    સુંદર રચના!!!

  5. પ્રભાશંકર પટ્ટણી, Prabhashankar Pattani | ગુજરાતી પ્રતિભા પરિચય said,

    February 28, 2013 @ 5:01 AM

    […] પ્રભાશંકર પટ્ટણી, Prabhashankar Pattani Posted on February 28, 2013 by સુરેશ -દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ( આખી રચના અહીં) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment