વર્ષો પછી હું એને ભેટ્યો તો એમ લાગ્યું,
બાકી બધું જ ગાયબ, આદાબ રહી ગયા છે.
- વિવેક મનહર ટેલર

બે લઘુકાવ્યો – પન્ના નાયક

બારણું બંધ
તો
બારણું શાને?

બારણું ખુલ્લું
તોય
બારણું શાને?

બંધ કે ખુલ્લું
બારણું શાને?
કોઈ આવ-જા વિના?
કોઈ આવ-જો વિના?

*

સરોવરના
નિષ્કંપ જળમાં
ચંદ્રની
પ્રદક્ષિણા ફરતી
માછલીને
કુતૂહલ થાય છે –

તરતો કેમ નથી?

– પન્ના નાયક

પન્ના નાયકની કવિતામાં અભાવ છલકાય છે. બારણું તો આવ-જાથી ખરેખર બારણું બને છે…ને ‘આવજો’થી પણ. આવ-જા અને આવજો બન્ને એક જ ઘટના છે. ખાલી આપણો જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. ચંદ્રનું તેજ તો આમ પણ ઊછીનું છે  અને પાણીમાં તો છે એનું ય પ્રતિબિંબ. ચંદ્રના રૂપ સાથે જ  એની પરવશતા જડાયેલી છે.

7 Comments »

  1. perpoto said,

    October 25, 2012 @ 4:46 AM

    પન્ના નાયકની આ કવિતામાં અભાવનો ભાવ છલકાય છે…..
    ચંદ્ર પ્રતિબિંબ છે? કે પરપ્રકાશિત છે….

  2. Suresh Shah said,

    October 25, 2012 @ 5:34 AM

    કોઈ આવ-જા વિના?
    કોઈ આવ-જો વિના?

    બારણાનુ મહત્વ સમજાયુ.

    – સુરેશ શાહ, સિંગાપોર

  3. pragnaju said,

    October 25, 2012 @ 10:16 AM

    ખૂબ સુંદર અછાંદસનો ખૂબ સ રસ આસ્વાદ
    યાદ
    એક કામ કરીએ…
    હું દોસ્તીના દરવાજા ખોલી દઉં છું,
    તું પ્રેમનો પવન થઈને આવ્યા કરજે…
    અને
    ચંદ્રની
    પ્રદક્ષિણા ફરતી
    માછલીને…
    પ્રેમ શબ્દની સૌથી નજીક કોઈ ગ્રહો હોય તો તે શુક્ર-મંગળ અને ચંદ્ર છે, કારણ કે ચંદ્ર મન અને શુક્ર મનની ઊર્મિઓ છે. મન અને ઊર્મિઓના સમન્વયથી પ્રેમ શબ્દનો જન્મ થાય છે અને તેમાં મંગળ ભળે તો મક્કમતા આવે છે

  4. Rekha Sindhal said,

    October 25, 2012 @ 3:31 PM

    બારણુઁ શાને? મન સાવ ખુલ્લુ હોય કે બઁધ પણ એમાઁ કોઈનેી આવ-જા ન હોય અને આવ-જો પણ ન હોય તો શાને? પ્રશ્ન યથાર્થ છે. આવ-જા વગર બારણાનો કોઈ અર્થ જ નથી. અહીં આવ અને જો વચ્ચેની લીટી પણ ઘણુ કહી જાય છે. મૃત:પ્રાય થતી જતી અશબ્દ ઝંખના અને આવ – જા વચ્ચેની લીટી જેવું બારણું મને તો લાગે છે કે પ્રતિક્ષાની ધારદાર તીવ્રતા દર્શાવે છે. અન્ય રીતે જોઈએ તો જીવન-મૃત્યુ થકી પણ આવ-જા ન હોય તો માનવ અસ્તિત્વનો અર્થ પણ ન હોય અને આમ બારણુ માનવનું પ્રતિક બનીને અસ્તિત્વનો અર્થ શા માટે? આમ ઘણું ઊંડુ ચિંતન પ્રેરતું આ કાવ્ય પન્નાબેન જ લખી શકે. ધન્યવાદ!
    બીજા કાવ્યમાં માછલીને ચંદ્રના પ્રતિબિંબમાં ય જીવન જણાય છે. ભાવનુ સુંદર પ્રતિબિંબ માછલી અને ચંદ્રને લઈને સરસ રીતે દર્શાવાયું છે. કવિયત્રીની કાબેલિયત દાદ માંગે તેવી છે.

  5. Maheshchandra Naik said,

    October 25, 2012 @ 5:01 PM

    બને લઘુ કાવ્યો પ્રતીકાત્મક રહ્યા, બને કવિયત્રીને સલામ……………..

  6. ધવલ said,

    October 26, 2012 @ 8:23 AM

    ખરી વાત છે… ચંદ્ર પ્રકાશને પરાવર્તિત કરે છે પણ પોતે પ્રતિબિંબ નથી. એટલે ટીપ્પણીમાં થોડો સુધારો કરી લીધો છે.

  7. Kalpana Pathak said,

    October 28, 2012 @ 7:37 PM

    પન્નાબહેનની ગઝલ અન પ્રગ્નાજુ ભાઈની સમજણ વાંચી મને ને મછલીને જવાબ મળી ગયો. આભાર. સુન્દર રચનાઓ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment