હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

મારામાં તું જ ઊમટે – મકરંદ દવે

હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.

હું તો નાનું હિમકણ, હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય !
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.

હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ, શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.

મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખું, મારામાં તું જ ઊમટે.

– મકરંદ દવે

તથાગતને કોઈક વિરોધીએ ભિક્ષામાં એક કેરીનો ગોટલો આપ્યો.સમસ્ત શિષ્યગણ આશ્ચર્યચકિત થઈ ગયો. થોડા શિષ્યો આઘાત પણ પામ્યા… પરંતુ તથાગત પ્રસન્નચિત્તે ભિક્ષા સ્વીકારી આશીર્વચન કહી પાછા વળ્યા. સ્થાનકે જઈ તે ગોટલો શિષ્યોને વારાફરતી આપ્યો. કોઈ કશું જ બોલતું ન હતું. શિષ્યો કંઈ જ સમજી ન શક્યા. છેવટે ભગવાનના પ્રથમ શિષ્યગણમાંના એક એવા સરીપુત્તના હાથમાં તે ગોટલો આવ્યો. તેઓ તેને એક ચિત્તે જોઈ રહ્યા અને તેઓના ચહેરા પર પ્રસન્ન સ્મિત આવી ગયું. તથાગત પ્રસન્ન થઈ વિરામ કરવા સિધાવ્યા. શિષ્યો સરીપુત્તને ઘેરી વળ્યા અને આ રહસ્યમય મૌનસંવાદનું રહસ્ય પૂછ્યું….સરીપુત્તે કહ્યું – ‘ આ ગોટલામાં આખો આંબો છે….આ દાન આપનાર કેટલો ઉદાર અને મહાન હશે ! ‘

5 Comments »

  1. Rina said,

    August 27, 2012 @ 1:43 AM

    Awesome and awesome aaswaad….

  2. વિવેક said,

    August 29, 2012 @ 8:55 AM

    સરસ અર્થસભર સૉનેટ… એની એ જ વાત છે. કશું મૌલિક નથી પણ વાતની રજૂઆત એને નવી ઊંચાઈ આપે છે અને કવિતા સુધી પહોંચાડે છે…

  3. pragnaju said,

    August 29, 2012 @ 2:04 PM

    મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
    હું તને પામવા ઝંખું, મારામાં તું જ ઊમટે.

    અદભૂત

  4. Asha said,

    August 30, 2012 @ 7:26 AM

    બહુ જ સુન્દર કવિત ચ્હે

  5. Mukesh Kishnani said,

    September 3, 2012 @ 7:02 AM

    Wah

    (“/”)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment