આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!
સ્નેહી પરમાર

પ્રતિબદ્ધ – હિમાંશુ વ્હોરા

હે ખુલ્લી જગાઓ,
તમે મને સતાવો નહીં
હું ફેક્ટરી નાખવાનો વિચાર કરું છું.

ઓ હરિયાળા જંગલો,
મને લલચાવો નહીં
મારે તમારા લાકડાનું કામ છે.

હે આકાશના વાદળો,
મને આકર્ષો નહીં.
મારે ધુમાડો છોડવો છે.

હે સુરીલાં વહેણો,
મને મોહિત કરો નહીં
મારે તમને બંધમાં બાંધવા છે.

હે લીલાછમ ડુંગરો,
મને લોભાવો નહીં
મારે તમને વીંધી નાખવા છે.

હે કુદરતના પ્રેમીઓ
મને ચળાવો નહીં
હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું.

– હિમાંશુ વ્હોરા

માણસે પ્રગતિની મોટી કિંમત ચૂકવી છે અને હજુ વધારે ચૂકવશે. પ્રગતિ તો માણસો મૂળ ગુણ છે. પ્રગતિની ઈચ્છાને છોડી શકવા તો લાંબે ગાળે આપણે કોઈ સમર્થ છીએ જ નહીં. એ સંજોગોમાં આપણે એવી રીતે પ્રગતિ કરતા શીખવાનું છે જેથી આપણે આપણી જાતને અને આપણી આજુબાજુના જીવજગતને ઓછામાં ઓછું નડીએ. અને એ કામ અશક્ય નથી જ. જુઓ એક અને બે.

4 Comments »

  1. પંચમ શુક્લ said,

    July 9, 2007 @ 12:49 PM

    આપણે એવી રીતે પ્રગતિ કરતા શીખવાનું છે જેથી આપણે આપણી જાતને અને આપણી આજુબાજુના જીવજગતને ઓછામાં ઓછું નડીએ.

    કવિતાના મર્મ જેવી સીધી સચોટ વાત ગમી.

  2. Devika Dhruva said,

    July 9, 2007 @ 1:42 PM

    માનવીની પ્રગતિમાં કુદરત હંમેશા માધ્યમ બને છે.એ સનાતન સત્યની કેવી મોટી વાત ?
    સુંદર રચના.

  3. વિવેક said,

    July 9, 2007 @ 10:26 PM

    સુંદર કાવ્ય…. અને જે બે લિન્ક આપી છે સાથે. એ પણ એવી જ અસરદાર છે…

  4. Pinki said,

    July 13, 2007 @ 5:22 AM

    ખૂબ જ સરસ………….
    પ્રક્રુતિ અને પ્રગતિ – વિકાસશીલ, ગતિશીલ છે.
    તો વિનાશની વાત કેમ ગમે ?!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment