ઊગ્યો’તો ચાંદો બારીએ, એ પણ ઢળી ગયો,
બાકી બચેલ રાત હવે કોને તાકશે?
– જિગર ફરાદીવાલા

ભીતર જલતી જ્યોત – લાલજી કાનપરિયા

ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત
બહાર રઝળી ભટકી શાને વેળ અમૂલખ ખોત ?

તિલક કરતાં ત્રિભુવન મળશે, કીધી કોણે વાત ?
પરથમ ઊતરીને તું અંદર ઓળખ તારી જાત.
આડંબરને આઘા મેલી ચીજ અસલ તું ગોત
ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત

અડસઠ તીરથ કરીને આવ્યો પાછો નિજને ઘેર
નકલી વાઘા ગયા ઊતરી, રહ્યો ઠેરનો ઠેર !
મેલ બધાં જુઠ્ઠાણાં હવે આ ખેલ થયો બહોત
ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત

પ્રેમરસનું પાન કરીને અલખ લિયે તું જાણી
જળકમળવત્ રહીને જગમાં મનખો લે તું માણી.
અમથી અમથી મૃગજળ પાછળ શાને મૂકે દોટ ?
ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત

– લાલજી કાનપરિયા

નરસિંહ હોય કે અખો હોય કે પછી લાલજી – સહુને અંદર અને અંતરના અજવાળાંએ જ આકર્ષ્યા છે…

6 Comments »

  1. Atul Jani (Agantuk) said,

    June 17, 2011 @ 2:51 AM

    😛

  2. Kalpana said,

    June 17, 2011 @ 3:19 AM

    સરસ. ભીતર જલતી જ્યોતનો અહેસાસ ક્યારેક ઈશ્વરની ખોજમા (રઝળી) પર્યટન કર્યા પછી થાય છે. નહીતો બાર બાર વર્ષ સુધી મોટા મોટા ઋષિમુનીઓએ આખા ભારત વર્ષની યાત્રા કર્યાનુ આપણી જાણ બહાર નથી.

    સંત કબીરની નિર્મળ વાણીની બરાબરી કરે એવું સચોટ અને સરળ નિરુપણ આપણા સુધી લાવવા બદલ વેબજગત અને વિવેકભાઈનો આભાર.

    સાચી વાત વિવેકભાઈ, અંદરના અજવાળા સૌના આકર્ષણનો વિષય છે.

  3. Devika Dhruva said,

    June 17, 2011 @ 9:22 AM

    જીંદગીનુ સાચું તત્વગ્યાન.સૌ સવાલોના ભીતર ઉત્તર..

    પ્રભુ,પ્રીતિ,જીવ ,શાંતિ,સર્વ છે સૌની અંદર,
    શાને મનવા દોડે ભૂલી સત્ય સદા સદંતર….

  4. કલ્પનાબેન સ્વાદિયા/દિગંબરભાઇ સ્વાદિયા said,

    June 17, 2011 @ 12:26 PM

    માંહ્યલો જાગે પછી કંઇ કરવાપણું રહેતું નથી. ભીતરની અખંડ જ્યોત ભવોભવનાં
    અંધારાં ઉલેચવા સમર્થ હોય છે. સરસ ભજન.

  5. ધવલ said,

    June 17, 2011 @ 2:23 PM

    ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત
    બહાર રઝળી ભટકી શાને વેળ અમૂલખ ખોત ?

    – સરસ !

  6. P Shah said,

    June 18, 2011 @ 1:21 AM

    ભીતર જલતી જ્યોત મનવા…..

    સુંદર રચના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment