ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,
સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.
રઈશ મનીઆર

જીવી ગયો હોત – જયન્ત પાઠક

કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;

મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;

મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;

આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ… તે મારા હાથમાં નહોતું !

– જયન્ત પાઠક

આ કવિતામાં કવિ જ્યારે ત્રણ નાની માંગણીઓ ગણાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પ્રેમ કેટલી સાદી, નાની ને સરળ વાતો પર ટકેલો હોય છે ! ‘હું છું ને’, ‘ઊભા રહો’ અને ‘કેમ છો?’ આટલી સામાન્ય લાગણીઓ પ્રેમનો પાયો હોય છે. એમ છતાંય આપણે રોજે રોજ પોતાના પ્રેમને ટૂંકો પડતો જોઈએ છીએ.

2 Comments »

  1. વિવેક said,

    December 30, 2006 @ 10:10 AM

    આ કવિતા વાંચતાવેંત જ જાણે કે બધી ચેતના હરાઈ ગઈ… શરીરમાંથી લોહી ઊડી ગયું હોય એવી નિઃસ્તબ્ધ રિક્તતા રક્તવાહિનીઓની શેરીમાં પ્રસરી ગઈ… આ ત્રણ વસ્તુ જ કદાચ સમય પર કહેવાની રહી ગઈ અને પપ્પા અમને છોડીને ચાલી નીકળ્યા…

  2. સંકલિત: કેમ છો? « સહિયારું સર્જન - પદ્ય said,

    July 11, 2007 @ 2:39 PM

    […] જયન્ત પાઠકની આ આખી રચના અહીં વાંચો… https://layastaro.com/?p=607 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment