વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
કલાપી

ફરી વાર મારું શહેર જોતા – શ્વેતલ શરાફ

આ શહેરને મેં એક દિવસ
એવી કસીને બાથ ભીડેલી કે
એને લીલો આફરો ચડી ગયેલો.
મોડી રાત્રે શ્વાનસૃષ્ટી ચાતરેલી
મેં લાલ કેસરી બત્તીઓના
સહારે.
ઊભા બજાર બધા મારા ખૂંદેલા.
ફાટેલા બદકિસ્મત લોકોને
અહીં મેં હસી કાઢેલા.
આ જગાનો જ્વાર મારી આંખોમાં
બેશુમાર ચડેલો.
અહીંની ગલીઓમાં તો
મારા સ્ખલનોની વાસ હજુયે રખડે છે.

મોડા પડ્યાનો રંજ નથી મને;
પણ ઊગ્યા પહેલા આથમી ગયાનો છે.
દોસ્તીની પરખ કરવાનો આરોપ લઈને
જીવી શક્યો નહીં
એટલે પીઠ પરના ઘાનું ઉપરાણું લઈને જીવું છું.
તારો ઓશિયાળો છું.
હવે ક્ષણોના હિસાબમાં જ્યારે જ્યારે
વર્ષોની ખોટ આવે છે
ત્યારે એને ખી ખી ખીથી ભરી દઉં છું.

“(ગાળ) ઘસાયેલા પર થૂંકે તો
તને ચચરે નહીં તો શું
ગલગલિયાં આવે ?”

છોડ આ બધી વાત
ને ધરાઈને મને ફરી જોઈ લેવા દે –
મારું શહેર !

– શ્વેતલ શરાફ

વતનમાં પાછા ફરવું એટલે સંસ્મરણોમાં ડુબકી મારવી. સાથે જ વતન છૂટી કેમ ગયું એનો ઘા ફરી અકારણ જ તાજો થાય છે. સિંહ જેવો માણસ દોસ્ત પર શંકા કે દોસ્તીની પરખ કરવાને બદલે દોસ્તનો ઘા જ વહોરી લેવાનું પસંદ કરે. અને એ ઘાને ય આખી જીંદગી જણસની જેમ જાળવે,  ભલેને એ પછી એ ઘા જ એની જીંદગીમાંથી વર્ષોની બાદબાકી કેમ ન કરી દે.

પણ, આ બધા ઘાની દવા છે – વતન ફરી જોવા મળવું. અતીતસ્થળને આંખોમાં ભરી લેવું  એટલે  તો … આહ ! સાક્ષાત જન્નત !

14 Comments »

  1. Rahul Shah (Surat) said,

    February 22, 2011 @ 2:40 AM

    મોડા પડ્યાનો રંજ નથી મને;
    પણ ઊગ્યા પહેલા આથમી ગયાનો છે.
    દોસ્તીની પરખ કરવાનો આરોપ લઈને
    જીવી શક્યો નહીં
    એટલે પીઠ પરના ઘાનું ઉપરાણું લઈને જીવું છું.

  2. urvashi parekh said,

    February 22, 2011 @ 2:46 AM

    ક્ષણ ના હીસાબ માં વરસોની ખોટ,
    અને ઉગવા પહેલા આથમવા ની વાત ઘણી ગમી.
    સરસ.

  3. Rutul said,

    February 22, 2011 @ 3:03 AM

    બહુ જ સરસ કાવ્ય થયુ છે. આ કવિ અને તેમની રચનાઓ વિશે વધુ જણાવવા વિનંતી.

  4. નિનાદ અધ્યારુ said,

    February 22, 2011 @ 4:45 AM

    ઘણા વખતે એક અફ્લાતૂન રચના મળી.
    કવિના વતનને સલામ………!

  5. vinod said,

    February 22, 2011 @ 9:55 AM

    ખુબ જ સુન્દર કવિતા….

  6. preetam lakhlani said,

    February 22, 2011 @ 10:05 AM

    આમ તો કાવ્ય ખરે ખર ગમ્યુ, પણ મનને લાગે છે કે અનુવાદ કાવ્ય જેટલો ભારો ભાર નથી….બીજુ તો શુ કરી શકીએ, બસ ભરી લ્યો હદય મા એની સુગધનો દરિયો….કાવ્ય સરસ છે.

  7. Kirftikant Purohit said,

    February 22, 2011 @ 10:06 AM

    પાછુઁ વળીને જોવાની સુઁદર ક્રિયા અને તેની નિખાલસ અભિવ્યક્તિ.

  8. pragnaju said,

    February 22, 2011 @ 2:24 PM

    કવિનો એ કાળ સંવેદનોનો, સંબંધોનો અને તીવ્ર લાગણીઓના ઊછાળનો કાળ હતો. પ્રણયની આવેશમય અનુભૂતિઓથી મન સતત તરંગિત રહેતું.
    અહીં મેં હસી કાઢેલા.
    આ જગાનો જ્વાર મારી આંખોમાં
    બેશુમાર ચડેલો.
    અહીંની ગલીઓમાં તો
    મારા સ્ખલનોની વાસ હજુયે રખડે છે.
    વેદનાને વાચા આપવા માટેનું આ કાવ્ય પ્રેમના ઉડાન પછી જ્યારે વાસ્તવિકતાની ધરતી પર
    હવે ક્ષણોના હિસાબમાં જ્યારે જ્યારે
    વર્ષોની ખોટ આવે છે
    ત્યારે એને ખી ખી ખીથી ભરી દઉં છું.…સંવેદનાઓની અતિશયોક્તિ શું હોઈ શકે તે આ અછાંદસ પરથી સમજાયું. એટલું જ નહીં, જીવનના અનુભવોને અતિક્રમી જઈને જીવન તથા ભાષાના બેવડા પટ ઉપર હિલોળા લેવાનો અવર્ણનીય અનુભવ આ રચના કરાવે છે.આ રચનાની નિખાલસતાએ મારા નાનકડા વિઝનને વિશાળ કરી નાંખ્યું.પેશ છે એમાંની જ કેટલીક પંક્તિઓ
    “(ગાળ) ઘસાયેલા પર થૂંકે તો
    તને ચચરે નહીં તો શું
    ગલગલિયાં આવે ?”
    યાદ આવે પંક્તીઓ
    ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
    છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી. …

    . સંવેદનાઓની અતિશયોક્તિ શું હોઈ શકે તે આ કાવ્ય પરથી સમજાયું. એટલું જ નહીં, જીવનના અનુભવોને અતિક્રમી જઈને જીવન તથા ભાષાના બેવડા પટ ઉપર હિલોળા લેવાનો અવર્ણનીય અનુભવ આ કાવ્ય કરાવે છે. આ કવિતાએ કવિતા અંગેના મારા નાનકડા વિઝનને ખૂબ ખૂબ મોટું અને વિશાળ કરી નાંખ્યું. ઉપર પેશ છે એમાંની જ કેટલીક પંક્તિઓ…

  9. dHRUTI MODI said,

    February 22, 2011 @ 3:06 PM

    સુંદર અછાંદસ.

  10. jigar joshi 'prem' said,

    February 22, 2011 @ 11:07 PM

    ખરેખર કાબિલે દાદ રચના થઈ છે…અભિનઁદન….

  11. Satish Dholakia said,

    February 23, 2011 @ 2:35 AM

    ભાવવાહિ અને સુન્દર રચના !

  12. બીના said,

    February 24, 2011 @ 2:53 PM

    મારી પાસે શબ્દો નથી! અતિ સુન્દર!

  13. ashok pandya said,

    February 27, 2011 @ 9:07 PM

    આ માત્ર સરાફ ની જ વાત કે લાગણી નથી..સન્કોચ થી નહ કહી સકાતી વાતો છે..બહોત ખુબ..દરેકને મારું શહેર કે ગામ હોય જ.આમ જોઇએ તો આપણા દેહની જ વાત મને તો લાગી..

  14. mita parekh said,

    March 2, 2011 @ 9:22 AM

    2 gud. after reading i m remembering GULZAR JI.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment