તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

અંગત અંગત : ૦૮ : વાચકોની કલમે – ૦૪

આજે રેખા સિંઘલની કલમે હૃદયના તાર “હચમચાવી” મૂકે એવી કવિતા સાથે મૂળથી અળગા થયાની વેદના માણીએ…

*

આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના.

શબ્દ બન્યો છે બ્રહ્મ એટલે આખ્ખે આખ્ખી દુનિયા એમાં લઈને ફરવું
હોત નહિતર પંખી થઈને હરફરવું કાં વૃક્ષ થઈને પાંગરવું કાં પાણી થઈને તરવું
સમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, બાકી હોત અમે નહિ હા – નહિ ના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના

સમક્ષ હોય તે સાર્થ, નહિતર અર્થ રહે ના કોઈ કદી પણ ક્યાંય કશાનો
સ્વપ્ન સાચ કે સંબંધોનો, સુગંધનો કે સ્પર્શ-બર્શને સુંદરતાનો
શરીર સ્મરણને પામ્યું તેથી ટકી જવાતાં – ઠીક છીએ ભૈ છીએ જેમ જ્યાં તહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના

– ચન્દ્રકાંત શાહ

અમેરિકા આવ્યાની શરૂઆતના દિવસોમાં જાતની ઓળખના ચૂરેચૂરા થયા પછીની વેદના લગભગ દરેક ઈમીગ્રાંટે અનુભવી છે. નવી ઓળખ ઉભી કરતા પહેલાં અહીંના એટલે કે આ દેશના થવું પડે તે જરૂરી હોવા છતાં અઘરૂં હતું. જ્યાંના હતાં ત્યાંથી ઉખડી રહ્યા હતા અને અહીં હજુ રોપાવાના સંઘર્ષની શરૂઆત હતી. એ સમયમાં હ્રદયના ભાવોને એક વિશાળ ફલક પર મૂકતી આ રચના ચંદુભાઈના સ્વમુખે સાંભળવાનો મોકો મળ્યો ત્યારે સ્વ. શ્રી આદિલ મન્સૂરી અને બીજા કેટલાક નામી કવિઓ પણ આ સંમેલનમાં હતાં તે વાતને આજે પંદરથી વધારે વર્ષો વીતી ગયા છે પણ આ રચના દિલમાં ઊંડી ઉતરી ગઈ. પરમ તત્વ તરફ દ્રષ્ટિપાત કરતી આ રચનાના શબ્દે શબ્દમાં લય અને માધુર્ય નીતરે છે.

– રેખા સિંધલ

18 Comments »

  1. Ramesh Patel said,

    December 12, 2010 @ 2:29 AM

    ભાવ જગતની મનનીય કવિતાનું સંભારણું સુશ્રી રેખાબેન જેટલું જ સર્વને હૃદય સોંસરવું ઉતરી
    જાય તેવું છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

  2. ડો.મહેશ રાવલ said,

    December 12, 2010 @ 6:49 AM

    કવિતા અને સાથે રેખાજીએ વર્ણવેલ જે તે સમયમાંથી પસાર થતી વેળાની અનુભૂતિ,બન્ને લાગણીસભર રહી.

  3. બાકી મૂળ અમે ના કહીંના– ચન્દ્રકાંત શાહ « વિજયનુ ચિંતન જગત said,

    December 12, 2010 @ 8:09 AM

    […] https://layastaro.com/?p=5641 […]

  4. pragnaju said,

    December 12, 2010 @ 8:38 AM

    બેવતનની વેદના અનુભવેલી તેથી
    ‘સમક્ષ હોય તે સાર્થ, નહિતર અર્થ રહે ના કોઈ કદી પણ ક્યાંય કશાનો
    સ્વપ્ન સાચ કે સંબંધોનો, સુગંધનો કે સ્પર્શ-બર્શને સુંદરતાનો’
    વાંચતા કસક થાય,વાજિદઅલીની અસહ્ય વેદના અનુભવાય:મોરા અપના બેગાના છૂટા જાય.. અને મન મનાવવું પડે -.’કૌન કિસકે કરીબ હોતા હૈ, અપના અપના નસીબ હોતા હૈ.
    પરમ તત્વ તરફ દ્રષ્ટિપાત કરતી શબ્દે શબ્દમાં લય અને માધુર્ય નીતરતી રચનાના સહભાગી બનાવવા બદલ રેખાબેનને ધન્યવાદ

  5. Kirtikant Purohit said,

    December 12, 2010 @ 8:47 AM

    ડાયસ્પોરાની કથા સહુની અલગ હો પણ વ્યથા સહુની એક સરખી તે અહિઁ સરસ અભિવ્તક્ત થયુઁ છે.

  6. bhupendra said,

    December 12, 2010 @ 9:06 AM

    સુન્દર મનોભાવ

  7. devika dhruva said,

    December 12, 2010 @ 9:20 AM

    ઓહ્…સોંસરવી ઉતરી જાય તેવી રચના.

  8. Sneha Sunil Kotak said,

    December 12, 2010 @ 10:03 AM

    ખુબ જ સુન્દર કાવ્ય…

  9. preetam lakhlani said,

    December 12, 2010 @ 11:42 AM

    ચદ્રકાન્તની કવિતા વિશે તો અગણિત પાના નહી પણ ગથો લખિ શકાય એવો ઉતમ કવિ….જો અશરફ અને મધુમતિને બાદ કરિએ તો અમેરિકા યુરોપમા વતમાનમા આવો ઉતમ કવિ શોધવા ધોળે દિવસે ફાનસ્ લહીને નિકળવુ પડૅ!!!

  10. dHRUTI MODI said,

    December 12, 2010 @ 3:03 PM

    ઉત્તમ કવિતા. કવિઍ બે ભાવોને સુંદર રીતે વણી લીધા છે. ઍક તો આપણે જ્યાંથી આવ્યા છીઍ તે આપણા અગમ મલકમાં આપણાં મૂળ છે. છતાં આપણે આ દુનિયામાં મને ક્મને વ્યવહાર ચલાવવાનો છે.
    તો વળી રેખાબેને કહી તે વાતનો અનુભવ તો દરેક ઈમીગ્રાન્ટને થાય છે.
    કાવ્ય ખરેખર હચમચાવી મૂકે છે. અને અમેરિકાના શરૂઆતના દિવસોમાં દોરી જઈ ગ્લાનિમય બનાવી દે છે.

  11. Vinayak Trivedi said,

    December 12, 2010 @ 11:06 PM

    બાકિ અમે ના મુળ કહિ ના બસ આ ઍક્જ પ્ંક્તી મા સાર આવી જાય ..

  12. urvashi parekh said,

    December 13, 2010 @ 9:24 AM

    વેદના થી ભરેલી કવીતા.
    ક્યાંઈ ના ના હોવુ તેનુ દુખ દેખાઈ આવે છે.

  13. bharat joshi said,

    December 13, 2010 @ 12:24 PM

    “સમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, બાકી હોત અમે નહિ હા – નહિ ના”
    હા-ના વચ્ચે અટવાયેલી જાતની ઓળખ!!!!!!

  14. harish said,

    December 14, 2010 @ 2:14 AM

    બહુજ સરશ્

  15. Pinki said,

    December 14, 2010 @ 3:05 AM

    હૃદયસ્પર્શી કાવ્ય અને કેફિયત !

  16. dinsh vakil said,

    December 14, 2010 @ 4:51 AM

    રેખાબેન્,
    માર્મિક તથા હ્રદયદ્રાવક કવિતા નો આસવાદ માનિને ધન્ય બન્યો.
    સુન્દર અને રસપ્રદ કવિતાનિ રચના બદલ ધન્યવાદ્.
    દિનેશ વકિલ્

  17. pravina Avinash said,

    December 16, 2010 @ 12:07 PM

    શું સુંદર રીતે હ્યદયના ભાવ વ્યક્ત કર્યા છે. લાગણીને સુંદર વાચા પ્રાપ્ત થૈ છે.

  18. Chandrakant Gadhvi said,

    June 19, 2015 @ 4:19 PM

    આજ કવિતા પુજય મોરારેીબાપુ ના સાનિધ્યમા અન્ને કવિ સુરેશદલાલ ના સચાલન મા કવિ ના સ્વમુખે પેશ કરેલેી તે યાદ આવેી. કવિ નેી એક યાદગાર રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment