અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
સુંદરમ્

એક કાવ્ય – મનીષા જોશી

સિનેમાના પડદા પર
સમુદ્રમાં આવેલ તોફાનનું દૃશ્ય
હું એકીશ્વાસે જોઈ રહી હતી,
ત્યાં અચાનક મોટી વ્હેલ માછલીએ મોઢું ખોલ્યું
મને ખેંચી લીધી.
હું મારા રૂમમાં હોત તેના કરતાં
વધુ સુરક્ષિત છું, એના શરીરમાં.
એના શરીરમાં મારા શરીરની કોઈ વૃદ્ધિ નથી,
એ મને વિશેષ ગમે છે.
જો કે, આ વ્હેલ હવે વૃદ્ધ થવા આવી છે
સમુદ્રતટે આવતા
સહેલાણીઓને રીઝવવા
અગાઉની જેમ એ પાણીમાંથી બહાર આવી
ઊંચે ઊંચે ઉછાળા નથી મારતી
વ્હેલ મરી જશે ત્યારે મારે
ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે.
મને ખરેખર ડર લાગે છે,
હવા ઉજાસનો.
મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ.
જીવનથી ભાગીને
હું ક્યાં જઈને રહું ?

-મનીષા જોશી

જીવન હંમેશા વિટંબણાઓથી ભર્યું જ હોવાનું અને ભાગેડુવૃત્તિ એ સહજભાવ જ હોવાનો. જિંદગીથી હારેલા માણસને પોતાના રૂમની એકલતા પણ કોરી ખાતી હોય છે. હવા અને ઉજાસનો પણ ડર રહે છે કેમકે સૂર્યપ્રકાશ પોતાની અંદર જે જે અસમંજસ અને તકલીફો-પીડાઓ ભરી પડી છે એને અંધારામાંથી અજવાળામાં આણી લાવે છે. અને માણસ એનાથી જ તો ભાગવા મથે છે. ટેલિવિઝન આ પલાયનવૃત્તિનું એક પ્રતીક માત્ર છે. ટીવી પર દેખાતા દૃશ્યમાં એકલો માણસ કંઈ એ રીતે ખોવાઈ જાય છે કે એ પોતે દૃશ્યનો જ એક ભાગ બની જાય છે. ટીવી પરની વ્હેલ એને ગળી જાય છે એ દરમિયાન વાસ્તવિક દુનિયાનો સમય અને તકલીફો અટકી જાય છે અને એ જ કારણોસર એને વ્હેલના પેટમાં વૃદ્ધિહીન થઈ ગયેલો પોતાનો સુરક્ષિત અંધારભર્યો સમય વધુ ગમે છે. પણ એ જાણે છે કે આ પલાયન શાશ્વત નથી. આ વ્હેલ વૃદ્ધ છે અને એના પેટમાંથી એણે બહાર આવવું જ પડશે અને ફરીથી એ જ જિંદગીનો સામનો કરવો પડશે જેનાથી એ ભાગી જવા ઇચ્છે છે…

11 Comments »

  1. Pushpakant Talati said,

    February 4, 2011 @ 5:06 AM

    સરસ અભિવ્યક્તિ જેવું આ રચનામાં લાગ્યું .

    જો કે હકીકત તો એ છે કે માણસે “પલાયનવાદ” ને જ પલાયન કરવો ઘટે – અને હકીકત સાથે જ હમેશા નાતો જોડવો જોઈએ. – આંખો બંધ કરી દેવાથી કાંઇ હકીકત ભાગી નથી જતી – તે તો ત્યાં ને ત્યાં જ અડીખમ રીતે ઊભી હોય છે.
    બીલાડી આંખો બંધ કરી ને દુધ પીતી હોય છે અને સમજે છે કે તેને કોઈ જોતું કે દેખતું નથી – તો – આ માત્ર તેનો ભ્રમ જ હોય છે. તે પ્રમાણે જ રચનાકારે જે “માછલીનાં પેટ માં સલામતી અનુભવી” તે ફક્ત “બીલાડી” જેવી જ પરિસ્થિતી છે. માટે IT WILL BE MORE & MUCH BETTER TO FACE THE REALITY RATHER THAN ENJOYING THE “શાહમ્રુગ-વ્રુતી” which is not the FACT of the LIFE.

  2. PRADIP SHETH . BHAVNAGAR said,

    February 4, 2011 @ 5:53 AM

    ખૂબજ લાગણી સભર અને વેદનાથી તરબતર , હ્રદય વલોવિ નાખતી રચના.. ખુબજ સુંદર

  3. Kirtikant Purohit said,

    February 4, 2011 @ 6:37 AM

    જીવનથી ભાગીને
    હું ક્યાં જઈને રહું ?

    કવિયત્રીની વિડઁબના મોટા ભાગના સઁવેદનશીલ માનવીઓની છે. ઉત્તર સહુ શોધે છે.

  4. pragnaju said,

    February 4, 2011 @ 1:25 PM

    વ્હેલ મરી જશે ત્યારે મારે
    ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે.
    મને ખરેખર ડર લાગે છે,
    હવા ઉજાસનો.
    મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ.
    જિંદગીનો સામનો કરવો પડશે જેનાથી એ ભાગી જવા ઇચ્છે છે…
    સાંપ્રત સમયની વેદના સભર સમસ્યા.
    ‘ગુઝારિશ’ ફિલ્મે ઇચ્છામૃત્યુની ચર્ચાને ફરી જીવંત કરી દીધી છે. રિતિક પોતાની પીડાથી એટલો કંટાળે છે કે તે ઇચ્છામૃત્યુ માંગે છે. તેની સારવાર કરતી નર્સ સાથેના તેના અનોખા પ્રેમસંબંધોએ ઇચ્છામૃત્યુની ચર્ચાને ફરી ચલાવી દીધી છે પ્રવીણ જોશીએ ‘બાણશય્યા’ મા આ જ વાત હતી ઇચ્છામૃત્યુ વર્ષોથી ચર્ચા અને ખાસ તો વિવાદનો મુદ્દો રહ્યો છે. આ મુદ્દો આમ તો વ્યક્તિગત છે અસહ્ર્દ દર્દને કારણે જીવનથી કંટાળેલી વ્યક્તિ પોતાની મરજીથી પોતાના જીવનનો અંત લાવવા ઇચ્છે ત્યારે બીજી તરફ
    જીવનથી ભાગીને
    હું ક્યાં જઈને રહું ?

  5. jigar joshi 'prem' said,

    February 5, 2011 @ 10:07 AM

    વાહ, ગદ્યકાવ્ય ગમ્યુ.

  6. preetam lakhlani said,

    February 6, 2011 @ 1:38 PM

    બહુજ સરસ્…આ કવિતા તો ગમતાનો ગુલાલ્….

  7. P Shah said,

    February 9, 2011 @ 3:12 AM

    હું ક્યાં જઈને રહું ?….

    અછાંદસમાં સુંદર ભાવ ગુંથાયો છે.
    અભિનંદન !

  8. Pinki said,

    February 9, 2011 @ 4:18 AM

    જીવનથી ભાગીને
    હું ક્યાં જઈને રહું ?

    પલાયનવૃત્તિથી પલાયન થવાનું એક કાવ્ય !

  9. Pancham Shukla said,

    February 11, 2011 @ 5:35 AM

    સરસ કાવ્ય.

  10. KIRITKUMAR BHAKTA said,

    September 29, 2011 @ 2:46 PM

    EK ANUBHUTI,ANE SHANTI…

  11. Manan Desai said,

    September 30, 2011 @ 3:44 AM

    વાહ્હ્હ્હ્હ્હ્હ્હ સુંદર્…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment