દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ !
તુષાર શુક્લ

છોડીએ – હેમેન શાહ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

રોજ વિઘ્નો પાર કરતાં દોડવાનું છોડીએ,
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ.

પ્રેમના પ્રકરણ વિષે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

આવશે,જે આવવાનું છે, એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ.

મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે,
કિંતુ પાટક પથ્થરોને પૂછવાનું છોડીએ.

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની ૨સમ શિખવાડવાનું છોડીએ.

કંઠમાં શોભે તો શોભે, માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો ?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ !

– હેમેન શાહ

જીવનને સહજ અને સરળ કરી નાખવાની સલાહ ગઝલરૂપે. આપણે આપણી જાતને નડ્યા કરીએ એવી આદતોમાંથી આપણે છૂટીએ અને જીવનને અંતરથી માણીએ. (ધવલ)

કાશ…..શાયરની વાતો અમલ કરવી સ્હેલ હોત…..(તીર્થેશ)

8 Comments »

  1. Jayshree said,

    November 18, 2006 @ 11:45 AM

    મજાની ગઝલ છે. ઘણીવાર જ્યાં આપણે બીજાને દોષી ગણાવતા હોય છે, ત્યાં ખરેખર તો આપણને જાત જ નડતી હોય છે.

  2. Suresh Jani said,

    November 18, 2006 @ 9:07 PM

    મકરંદ દવે –
    રુડા રુપાળા સઢ કોકના શું કામના?
    પોતાને તુંબડે તરીએ.

  3. પંચમ શુક્લ said,

    November 19, 2006 @ 8:44 AM

    મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
    કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

    એકદમ સાચી વાત…

  4. ઊર્મિસાગર said,

    November 19, 2006 @ 8:33 PM

    મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
    કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

    આ શેર જ મને તો નાની સરખી સંપૂર્ણ કવિતા જેવો લાગ્યો!

  5. નિમેષ said,

    November 20, 2006 @ 5:03 AM

    ખુબ જ સરસ …

    ખાસ કરેી ને આ બે પન્ક્તિઓ …
    મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
    કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

    ખુમારી થી જિવતા શિખીએ….

  6. nilamdoshi said,

    November 20, 2006 @ 7:05 AM

    સરસ રચના…આભાર.કૃષ્ણ વિષે ની કવિતાનો આખો જુદો વિભાગ કરી શકાય નહી?રાધા કૃષ્ણ વિષે કેટકેટલું લખાયું છે!!!

  7. વિવેક said,

    November 20, 2006 @ 8:29 AM

    રઈશ મનીઆરની એક ગઝલનો એક શેર યાદ આવ્યા વિના રહેતો નથી:

    પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
    ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
    -હેમેન શાહ

    તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો,

    એક પાનું જો કે સાવ એમાં કોરું રખાયું.

    -રઈશ મનીઆર.

  8. La' Kant Thakkar said,

    November 30, 2016 @ 6:52 AM

    “આપણે આપણી જાતને નડ્યા કરીએ એવી આદતોમાંથી આપણે છૂટીએ અને જીવનને અંતરથી માણીએ.”

    “બધ્ધુંજ અનુકૂળ મને ,
    એક હુંજ પ્રતિકૂળ મને !”
    સ્વ-દોષદર્શન …… આપણી ઘણી ‘મૂન્જ્વણો’
    હળવી કરે દે છે ને?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment