ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.
ચિનુ મોદી

પડછાયો – ગની દહીંવાળા

તમે આકૃતિ હું પડછાયો,
તેજ મહીંથી છું સર્જાયો….તમે….

તમે વિહરનારા અજવાળે,હું એથી બડભાગી,
ભમું ભલે આગળ પાછળ પણ રહું ચરણને લાગી;

શીતળ જળ કે તપ્ત રણે જઈ,
તમે ઊભા ત્યાં હું પથરાયો….તમે…

રાતદિવસના ગોખે દીવડા નિજ હાથે પ્રગટાવો !
એથી અદકું ઓજસ લૈને અહીં વિહરવા આવો;

લખલખ તેજે નયન ઝગે તમ,
કાજળ થૈને હું અંજાયો….તમે…

આંખ સગી ના જોઈ શકે જે,એવી અકલિત કાયા,
આ ધરતી પર સર્જન રૂપે હું જ તમારી છાયા;

પ્રશ્ન મૂંઝવતો આદિથી જે,
આજ મને સાચો સમજાયો ! તમે….

– ગની દહીંવાળા

6 Comments »

  1. Girish desai said,

    January 28, 2011 @ 7:45 AM

    આત્માનો છાંયો

    ચાલતા ચાલતા રસ્તે એક દિ,જોઇ મારો પડછાયો
    ન જાણંુ, અચાનક કયંાથી વિચાર મનમાં આવ્યો

    જેને હંુ કહંુ છંુ મારો , તે તો છે મારા તનનો છાંયો
    પણ જો હંુ તન નથી ’ને આ તન છે માંરૂં
    તો હંુ કોણ ? કયાંથી અહીં આવ્યો ?

    ભવ ભવના અનુભવ પછી પણ, ન થયો જેનો છુટકારો
    અભાગી એવા કોઇ આત્માનો , હશે શંુ આ તન છાંયો ?

    ભૂમિ ઉપર ભાળંુ હંુ જેને, તે નથી મારો પડછાયો
    પણ ભવ ભવથી ભટકતા આત્માની છાયાનો એ છે છાંયો.

    ગિરીશ દેસાઇ

  2. pragnaju said,

    January 28, 2011 @ 1:10 PM

    આંખ સગી ના જોઈ શકે જે,એવી અકલિત કાયા,
    આ ધરતી પર સર્જન રૂપે હું જ તમારી છાયા;
    ખૂબ સુંદર
    પડછાયો આપણી મુશ્કેલ પરીસ્થીતીમાં આપણને વધારે મોટો બનીને સાથ આપે છે. જ્યારે સાથની જરુર ઓછી હોય, ત્યારે તે લગભગ અદ્રશ્ય બની રહે છે.બીજી એક વાસ્તવીકતા એ પણ છે કે જ્યારે પ્રકાશની તરફ આપણી નજર હોય છે, ત્યારે આપણે પડછાયાને જોઈ શકતા નથી. પ્રકાશથી ઉંધી દેશામાં જ તેનું અસ્તીત્વ હોય છે! જ્ઞાનથી, જાગૃતીથી વીમુખ થઈએ કે તરત જ અજ્ઞાન અને સુપ્તતા ઉભરાઈ આવે.આંખો મીંચી દઈએ તો? પ્રકાશ પણ ન રહે કે પડછાયો પણ નહીં!

    પ્રશ્ન મૂંઝવતો આદિથી જે,
    આજ મને સાચો સમજાયો ! તમે…

  3. ધવલ said,

    January 29, 2011 @ 12:02 PM

    અલગ જ અનુભુતિ !

  4. વિવેક said,

    January 30, 2011 @ 12:16 AM

    સાદ્યંત સુંદર રચના…

  5. jigar joshi 'prem' said,

    January 30, 2011 @ 9:08 AM

    બહુ જ સુઁદર રચના…વાહ

  6. Ramesh Patel said,

    January 31, 2011 @ 1:11 PM

    આંખ સગી ના જોઈ શકે જે,એવી અકલિત કાયા,
    આ ધરતી પર સર્જન રૂપે હું જ તમારી છાયા;
    ખૂબ સુંદર
    પ્રકાશ છે તો પડછાયો છે, તારી શક્તીથી જ એ રચાય છે. પ્રભુનું આ પ્યારું સર્જન સદા
    તેની અનુભુતી અનુભવે છે.આકાશી તત્ત્વ અને પરમેશ્વરની કાયા અકલિત જ છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment