હજી માંડ થોડી રજૂઆત થઈ છે,
તમે કહો છો, સારી શરૂઆત થઈ છે.
સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે,
ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે.
વિવેક મનહર ટેલર

નકામાં નયનો – ગની દહીંવાળા

રે, આ નયનો કામ ન આવ્યાં !
બે દીવડાઓ નિત્ય પ્રકાશી અંધારા સર્જાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !

રંગ જગતના માણ્યા કિન્તુ રંગ ન પૂરી જાણ્યો,
ઝાકઝમાળે અંજાઈને સાથ મને પણ તાણ્યો;
આગળ રહીને ઊંધા પાટા જીવતરને બંધાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !

ચેતન સાથે વાત કરી પણ જડને ન આપી વાચા,
જોઈ પરિચિત વાટ પરંતુ,પંથ ન ચીંધ્યા સાચા,
ઊંડે જઈને તેજ-તિમિરના ભેદ નહીં સમજાવ્યા,
રે, આ નયનો કામ ન આવ્યાં !

જોયાં દૂરનાં અજવાળાં પણ, અંતર-જ્યોત ન જોઈ,
ઉંબર-ઉંબર ભટકીને પણ ધામ ન દીઠું કોઈ;
ભિક્ષુક થઈને દ્રષ્ટિરૂપે હાથ બધે લંબાવ્યા !
રે,આ નયનો કામ ન આવ્યાં !

– ગની દહીંવાળા

ઉત્તમ ભજન-કાવ્ય…..

10 Comments »

  1. વિવેક said,

    May 2, 2010 @ 1:36 AM

    વાહ… રવિવારની સવાર પ્રકાશમય થઈ ગઈ… સુંદર મજાની રચના…

  2. hemendra shah said,

    May 2, 2010 @ 3:11 AM

    સુંદર મજાની રચના રે, આ નયનો કામ ન આવ્યાં ! હા પસતાવો!

  3. અભિષેક said,

    May 2, 2010 @ 3:38 AM

    સરસ રચના છે. નયનો વિશે અદભુત વાત કરી છે. અને યોગાનુયોગ તો જુઓ, મેં આજે કવિ નાન્હાલાલની ‘મારાં નયણાંની આળસ રે, ન ન નીરખ્યા હરિને જરી(http://www.krutesh.info/2010/05/mara-nainani-alas-re.html) ‘ મૂકી અને તેવાંજ ભાવાર્થની ગનીચાચાની રચના માણવા મળી.

  4. pragnaju said,

    May 2, 2010 @ 6:57 AM

    ભાવવાહી ભક્તીપદ
    ચેતન સાથે વાત કરી પણ જડને ન આપી વાચા,
    જોઈ પરિચિત વાટ પરંતુ,પંથ ન ચીંધ્યા સાચા,
    ઊંડે જઈને તેજ-તિમિરના ભેદ નહીં સમજાવ્યા,
    રે, આ નયનો કામ ન આવ્યાં !
    સુંદર
    યાદ આવ્યા બુદ્ધનાં ચક્ષુ ]
    ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં,
    ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી,
    પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ તણી,
    હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં.
    હવે ના મીંચાશો નયન કદીયે જે ઊઘડિયાં,
    દયાની ગંગા આ પરમ તપઅંતે ઊતરી, તે
    અખંડા વ્હેતી રહો કઠણ તપના સિંચન થકી,
    વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.

  5. ચાંદ સૂરજ said,

    May 2, 2010 @ 7:55 AM

    ગની દહીંવાળાએ ‘નકામા નયનો’ પર પ્રકાશ નાખ્યો અને બચપણમાં ભણેલું એક અંગ્રેજી કાવ્ય યાદ આવ્યું. એક જન્માંધ સુરદાસ એવો બાળક તેજ અને તિમિરના ભેદ પામવા આવતા જતા જ્યોતિર્મય નયનોવાળા માનવીઓને પૂછે છે કે

    What is that thing called light
    which I must never enjoy,
    What are the blessings of the sight
    oh poor blind boy.

    માનવ ખોળિયે ટમકતાં જ્યોતિના બે દીવડાંનું મૂલ્યાંકન સૂરદાસ વિન કોણ કરી શકે ?

  6. jigar joshi prem said,

    May 2, 2010 @ 9:27 AM

    વાહ ! મજા આવી ખરેખર્….

  7. રાજની ટાંક said,

    May 2, 2010 @ 10:38 PM

    વાહ સરસ માજાનું ગની સાહેબનું ભક્તિપદ

  8. વિહંગ વ્યાસ said,

    May 3, 2010 @ 9:19 AM

    હ્રુદયદ્રાવક ગીત ! દૃશ્યોનાં પ્રવાહમાં તણાતા ગયાં ને દૃષ્ટાનેજ ભૂલી ગયાં, કેવી કરુણતા !

  9. Pinki said,

    May 4, 2010 @ 7:30 AM

    બે દીવડાઓ નિત્ય પ્રકાશી અંધારા સર્જાવ્યાં !

    વાહ્.. !

  10. sapana said,

    May 5, 2010 @ 8:12 PM

    સરસ કાવ્ય !!નયનો કામ ન આવ્યા અંતરચક્ષુ બંધ રાખી પાર્થીવ આંખે કાઈ ન દેખાયુ..ખૂબ સરસ કાવ્ય..
    સપના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment