હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.
અમૃત ઘાયલ

રાધા – પુ. શિ. રેગે (અનુ. સુરેશ દલાલ)

આ નીલ વ્યોમ તે હરિવર
ને આ એક તારલી રાધા –
બાવરી,
યુગયુગની મન-વળગાડ.

આ વિસ્તાર ધરાનો ગોવિંદ
ને આ ડાંગરનું ખેતર રાધા –
સ્વચ્છંદ
એ યુગયુગ પ્રિયંવદા.

નિશ્ચલ વહેતું જલ આ કૃષ્ણ,
તટ પર વન ઝૂકે તે રાધા –
વિપ્રશ્ન
યુગયુગની ચિર-તંદ્રા.

– પુ.શિ. રેગે (મરાઠી)
અનુ. સુરેશ દલાલ

રાધાકૃષ્ણના અદ્વૈતભાવનું કાવ્ય. સિંધુ સમ કૃષ્ણમાં બિંદુ સમ રાધાનું વિલીનીકરણ પણ કૃષ્ણ એવો સિંધુ છે જે રાધાના બિંદુ વિના અપૂર્ણ રહે છે… એ આખું ગગન છે પણ એક તારલી વિના એની આભા શી? એ વિશાળ ધરતી છે પણ ડાંગરના ખેતર વિના એની ઉપયોગિતા શી ? એ વહેતું જળ છે પણ એના નિશ્ચલ જળમાં તટ પરનું વન ન ઝુકે તો એની શોભા શી ? રાધા બાવરી છે, એના પ્રેમનો પોતીકો જ છંદ છે અને એની પાસે કોઈ પ્રશ્નો પણ નથી. રાધા શરણાગતિ છે. યુગયુગોથી કૃષ્ણના વળગાડ લઈને જીવે છે… ચિરકાળ એની પ્રિયંવદા છે અને ન જાગૃતિ, ન નિંદ્રા એવી ચિરતંદ્રા છે… આ કવિતા વાંચીએ તો પ્રિયકાન્ત મણિયારનું આ નભ ઝૂક્યું તે કાનજી જરૂર યાદ આવે…

11 Comments »

  1. વિહંગ વ્યાસ said,

    April 3, 2010 @ 1:35 AM

    રાધા એટલે શરણાગતિ. એ વાત ગમી, કાવ્ય સારુ છે. જય જય શ્રીરાધે

  2. મીત said,

    April 3, 2010 @ 2:39 AM

    રાધા વિના શ્યામ અધુરા પણ શ્યામ વિના રાધા હતા પુરા.
    રાધા શ્યામનાં પ્રેમનાં ગાઓ ગીત મીઠા અને મધુરા..!
    -મીત

  3. અભિષેક said,

    April 3, 2010 @ 4:03 AM

    રાધા અને કૃષ્ણના ઐક્યનુ અદભૂત વર્ણન

  4. Mahendra said,

    April 3, 2010 @ 6:51 AM

    ખુબ સરસ, આભાર

    ગુજરાતી બ્લોગ એગ્રીગેટર

    http://gujvani.tk

  5. vishwadeep said,

    April 3, 2010 @ 7:18 AM

    નિશ્ચલ વહેતું જલ આ કૃષ્ણ,
    તટ પર વન ઝૂકે તે રાધા –
    વિપ્રશ્ન
    યુગયુગની ચિર-તંદ્રા.
    સુંદર અનુવાદ…
    પ્રિયકાઁત મણિયારણિ કવિતા યાદ આવેી જાય..”કાનજી મારી આંખડી ને…”

  6. Girish Desai said,

    April 3, 2010 @ 7:50 AM

    ” બીજલી અૌર બાદલ”

    ઘીર ઘીર આએ બદરવા કારે
    નાચન લાગે મોર
    ચમકે બીજલીયાં ગરજે બદરવા
    ભયો બહુત કલશોર.

    બીજલી કયંુ ગોરી, બદરવા કયું કારે
    એ સોચે મનવા મોર
    રાધા જબ બીજલી બન નાચે
    ભયો બદરવા નંદકિશોર.

  7. mahesh dalal said,

    April 3, 2010 @ 8:02 AM

    ખુબ સર સ ..

  8. pragnaju said,

    April 3, 2010 @ 8:30 AM

    આ વિસ્તાર ધરાનો ગોવિંદ
    ને આ ડાંગરનું ખેતર રાધા –
    સ્વચ્છંદ
    એ યુગયુગ પ્રિયંવદા.
    જય શ્રી રાધેજુ
    એક સામટું ગીત ગુંજન
    આ એકદમ પસંદ
    કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
    ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
    કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
    સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
    – મુકેશ ?

  9. Dr. J. K. Nanavati said,

    April 3, 2010 @ 8:14 PM

    રાધાકૃષ્ણની જપાતી માળામાં એક મણકો મારો…..

    કોણ હતું એ યમુના તટ પર
    હાથ સુકોમળ રાખી મટ પર

    નાગ દમન પેઠે આંગળીઓ
    ભીંસ કસે ઘુંઘરાળી લટ પર

    વાટલડીની ભીની જાજમ
    પાથરતી આખા પનઘટ પર

    સહેલ સખી સાથે છણકો લઈ
    વાત પહોંચતી છટ ને ફટ પર.

    ખોતરતી પતાળ સમૂળગું
    રીસ ઉતારી, રસ નટખટ પર

    કો’ક બનીને અંગત અંગત
    જીદ કરે તારી ચોખટ પર
    .
    આજ છબી રાધાની ઉપસે
    કાન, અમારાં અંતરપટ પર

  10. નિનાદ અધ્યારુ/ninad_adhyaru@yahoo.com said,

    April 4, 2010 @ 4:28 AM

    શું ખરેખર રાધા અને કૃષ્ણને અલગ પાડી શકાય ખરા ?

    રાધા એટલે જ કૃષ્ણ અને કૃષ્ણ એટલે જ રાધા….!

  11. Pinki said,

    April 4, 2010 @ 12:07 PM

    સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment