ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
અમૃત ઘાયલ

કીકીમાં – જયન્ત પાઠક

કીકીમાં કેદ કરી લીધા
.                       મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા !

ભોળી નથી કે હવે લોચન ઉઘાડું
.                છોને વગડામાં વાંસળીઓ વાગે;
મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે
.                         બાઈ, મારે બલારાત જાગે !
જનમના જાણકાર કેદના તે એણે
.                          છૂટવાનાં છળ ભલાં કીધાં ! – મેં0

જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં
.                                વાળે પલાંઠી, સાસ રોકે;
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
.                            પધરાવ્યા સમણાંના લોકે !
વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના
.                            એમ વના થાય ના સીધા ! – મેં0

-જયન્ત પાઠક

ગોપીની ચરમ કૃષ્ણભક્તિનું  એક ચાક્ષુષ ઉદાહરણ. જેને પામવા જોગીઓ યુગોયુઇગો સુધી તપ કરે છે, સમધિમાં બેસે છે, શ્વાસ રોકવાનો હઠાગ્રહ કરે છે એને ગોપિકા પલક ઝપકતામાં જ પકડી લે છે. ભક્તિ કરતાં પ્રેમની શક્તિ કેટલી વધારે છે ! કૃષ્ણનો તો જન્મ જ કારાગારમાં થયો હતો. એ તો જનમથી જ કેદ અને કેદમાંથી છૂતવાનો માહિતગાર છે પણ ગોપી કંઈ ઓછી માયા નથી. ઝપ્પ કરીને કાનજીને કીકીમાં કેદ કરીને પાધરા જ સ્વપ્નલોકની જેલમાં પધરાવી દે છે. કાનજી ભલે વાંસળીઓ વગાડે કે છૂટવા માટે નાનાવિધ છળ કરે પણ હવે આંખ ખોલે એ મારી બલારાત… ગોપી જાગે તો તો કહાનો ભાગે ને!

9 Comments »

  1. sudhir patel said,

    March 26, 2010 @ 6:16 AM

    નખશિખ સુંદર ગોપી-ગીત માણી સવાર સુધરી ગઈ!

    ‘જુગજુગ જોગીડા ભલે ગાલે સમાધમાં’ અહીં ગાલેની જગ્યાએ ‘ગાળે’ હશે એમ માનું છું.

    આભાર, વિવેક્ભાઈ.

    સુધીર પટેલ.

  2. વિવેક said,

    March 26, 2010 @ 7:12 AM

    ભૂલ સુધારી લીધી છે, સુધીરભાઈ…

    આભાર!!

  3. ધવલ said,

    March 26, 2010 @ 7:42 PM

    જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં
    વાળે પલાંઠી, સાસ રોકે;
    મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
    પધરાવ્યા સમણાંના લોકે !

    – સરસ !

  4. Girish Parikh said,

    March 26, 2010 @ 10:09 PM

    રાધા કે ગોપીના કૃષ્ણપ્રેમનું આ અણમોલ ગીત વિશ્વના દરેક ગુજરાતીની કીકીઓમાં કેદ થવું જોઈએ. એ રેકોર્ડ તો થયું જ હશે. એના શબ્દ, સૂર, અને સંગીત દરેક ગુજરાતીના કાનમાં ગુંજવાં જોઈએ. એનો અંગ્રેજી તથા ભારત અને વિશ્વની અન્ય મુખ્ય ભાષાઓમાં અનુવાદ કે રૂપાંતર થવાં જોઈએ.

  5. amarish said,

    March 27, 2010 @ 12:41 AM

    KRISHNA BHAKTI NE TAME KHUBAJ RAS BHARELI BANAVI DIDHI.
    DHANYAVAAD

  6. pragnaju said,

    March 27, 2010 @ 4:24 PM

    ખૂબ સુંદર મધુર ભાવવાહી ગોપી ગીત
    મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
    . પધરાવ્યા સમણાંના લોકે !
    વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના
    . એમ વના થાય ના સીધા !
    અમને આંખ ઉપર પાંપણો આપી. પાંપણો પલકપલક થયા કરે, નિષ્પલક રહેવું એ પાંપણના સ્વભાવમાં નથી.કીડી સમી ક્ષણોની આ આવજાવ શુંછે?
    મારું સ્વરૂપ શું છે? મારો સ્વભાવ શું છે?
    પર્વતને ઊંચકું પણ,
    પાંપણ ન ઊંચકાતી,
    આ ઘેન જેવું શું છે?
    આ કારી ઘાવ શું છે?

  7. vihang vyas said,

    March 30, 2010 @ 4:22 AM

    મનભાવન ગીત…..

  8. ઊર્મિ said,

    March 30, 2010 @ 8:26 AM

    મીઠ્ઠૂ મધુર ગોપીગીત… ખૂબ જ ગમ્યું.

  9. Pancham Shukla said,

    March 31, 2010 @ 11:46 AM

    મીઠું ભક્તિપદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment