અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
રિષભ મહેતા

ગઝલ – દિલેરબાબુ

લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.

સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.

તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.

પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ત્યાં ટોળે વળ્યું હશે.

તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.

– દિલેરબાબુ

(જન્મ : ૧૪ -૦૬-૧૯૪૬, મૃત્યુ : ૦૪-૦૧-૨૦૧૦)

રવિવારે રાજેન્દ્ર શાહ જેવા દિગ્ગજ કવિના દેહાવસાનના ડુંગર પછીતે સોમવારે ભાવનગરના દિલેરબાબુના નિધનના સમાચાર લગભગ સાવ જ ઢંકાઈ ગયા.  બી.એ.ના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ અને પોસ્ટ ખાતામાં નોકરી. ભાવનગરના ભાદ્રોડ (મહુવા) ખાતે શબ્દની મૂંગી આરાધના કરતા આ કવિ પ્રસિદ્ધિની પાછળ કદી દોડ્યા નહોતા. એમના સુંદર કવિકર્મની જો કે યોગ્ય નોંધ પણ કદી લેવાઈ નથી.

‘લયસ્તરો’ તરફથી શબ્દના આ મૌન આરાધકને એન નાની-શી શબ્દાંજલિ !

17 Comments »

  1. PURVI SHUKLA said,

    January 8, 2010 @ 1:14 AM

    it is very sad news bcoz when i was in bhavnagar, i met them in gazal shibir and learnt so many things.

  2. manhar m.mody ('mann' palanpuri) said,

    January 8, 2010 @ 2:02 AM

    ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
    તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.

    ગઝલના મૌન આરાધકને સો સો સલામ સાથે શ્રધ્ધાંજલિ.

  3. kirankumar chauhan said,

    January 8, 2010 @ 3:31 AM

    દિલેર સર્જકની દિલેર ગઝલ. દુઃખ એ જ વાતનું કે આ સર્જન તો મળશે પણ આ સર્જક નહીં મળે

  4. Kirtikant Purohit said,

    January 8, 2010 @ 8:19 AM

    પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
    પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.

    ઓહ્, દિલેરબાબુ પણ ગયા? આ કવિમિત્ર સાથેની અસ્મિતાપર્વોની ગોષ્ટી યાદ કરુઁ છુઁ.અનેકના અઁતર્ઁગ મિત્ર અને શબ્દના સાચા ઉપાસક. ગઝલ તેમના વગર રાઁક બની તેવુઁ ઉઁચુઁ ગજુઁ. વડોદરા ઘણીવાર આવતા અને મારા જેવા અનેક મિત્રોને ડોલાવતા.પ્રભુ તેમને ચિરશાઁતિ અર્પે.

  5. Gaurang Thaker said,

    January 8, 2010 @ 9:19 AM

    ઇશ્વર આ સાચા શબ્દના ઉપાસકને ચિરશાઁતિ અર્પે.

  6. preetam lakhlani said,

    January 8, 2010 @ 11:19 AM

    દિલેર બાબુ એક સાચા ગઝલકાર હતા એ વાતમા કોઈ બે મત નથી, ગઝલકાર્ કિરણ ચૌણાનની વાત બિલકુલ સાચી છે.’સર્જન મળશે પણ આવો સાચો સર્જક નહી મળે!. ઇશ્વર તેમના આત્માને શાંતિ અર્પે……….

  7. Ramesh Patel said,

    January 8, 2010 @ 12:16 PM

    પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
    પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.

    તારી જ ઓળખાણ હવે આપવી રહી,
    મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે
    સર્જકની ગઝલો અને કવન સદા
    ચીર સ્મરણિય રહેશે.
    પ્રભુ આપના આત્માને દિવ્ય શાન્તી અર્પે.
    રમેશ પટેલ(આકાશદીપ)

  8. ધવલ said,

    January 8, 2010 @ 12:37 PM

    પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
    પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.

    – સલામ !

  9. ડૉ.મહેશ રાવલ said,

    January 8, 2010 @ 1:25 PM

    મને લાગે છે આ ૨૦૧૦નું વર્ષ શબ્દસાધકો સાથે કંઈક અલગ મૂડમાં વર્તી રહ્યું છે….!
    પરમકૃપાળુ, સદગતના આત્માને મોક્ષ પ્રદાન કરે એજ પ્રાર્થના.
    દિલેરબાબૂએ જીવનભર કરેલી શબ્દ સાધના અને એમના કવિકર્મને સો સો સલામ.
    અસ્તુ.

  10. sapana said,

    January 8, 2010 @ 1:39 PM

    ઈશ્વર સદગતની આત્માને શાંતી અર્પે..આ વરસ સાહિત્ય જગત માટે ઘણી ખોટ પાડી રહ્યુ છે…અલ્લાહ
    ખૈર…દિલેરબાબુ અને હું હમવતન એટલે ચુભ્યુ જરાક વધારે..
    સપના

  11. sudhir patel said,

    January 8, 2010 @ 8:07 PM

    ભાવનગરના ગઝલ-ગુરુ અને ગઝલની અવિરત સાધના કરનાર અને અનેક યુવા સર્જકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર દિલેર બાબુની અચાનક વિદાયના સમચાર બે દિવસ પહેલા સાંભળી ઊંડા આઘાતની લાગણી અનુભવી અને સાથે વીતાવેલ અનેક પળૉ આંખ સામે તરવરી ગઈ!
    ગઝલ-ક્ષેત્રે એમનું પ્રદાન હમેશા યાદ રહેશે.
    પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ હ્રદય પૂર્વક પ્રાર્થના.
    સુધીર પટેલ.

  12. Girish Parikh said,

    January 9, 2010 @ 1:31 AM

    દિલેરબાબુના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરું છું.
    દિલેરબાબુ મને તો છુપા રત્ન જેવા લાગે છે! આપણા આ અને અન્ય આધુનિક મહાન કવિઓની લોકપ્રિય થાય એવી રચનાઓને વિશ્વભરમાં વસતા કરોડો ગુજરાતીઓને, અને એમનાં અંગ્રેજી અને અન્ય મુખ્ય ભાષાઓમાં અનુવાદ કે રૂપાંતર કરીને ગુજરાતી ન જાણતા વાંચકોને કેવી રીતે પહોંચાડી શકાય?

  13. kanchankumari parmar said,

    January 9, 2010 @ 5:33 AM

    દર્દ અને વેદના ઓ સ્ંકેલિ હુંચાલ્યો ..કોરા કાગળ મા દૈ દસ્તક હું ચાલ્યો.સબંધો ના સરવાળે મિંડૂ મુકિ હુંચાલ્યો ;ગઝલ પરિ નો હાથ ઝાલિ હુંચાલ્યો…..

  14. Pancham Shukla said,

    January 10, 2010 @ 8:01 AM

    દિલેરબાબુને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ.

  15. Faruque Ghanchi said,

    January 10, 2010 @ 5:18 PM

    દુઃખ એ જ છે કે આપની ઓળખાણ થઇ તો પણ ક્યારે? દિલેરબાબુને આખરી સલામ …

    સાચે જ –

    ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
    તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.

  16. pragnaju said,

    January 16, 2010 @ 1:09 PM

    સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
    કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.

    સ રસ

    ગોઠવેલાં હોય છે આશ્વાસનો સંબંધનાં,. દરઅસલ, હર દર્દનું તારણ અજાણ્યું ક્યાં હતું ! ..

  17. Jigar said,

    April 25, 2016 @ 2:51 PM

    અદ્ભુત ! અલૌકિક ! અસાધારણ !
    વાહ દિલેરબાબુ. r.i.p.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment