આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.
મનહરલાલ ચોક્સી

એમના શબ્દોનું સદા ઋણ રહેશે.

ગુજરાતી ભાષાને અનેક લાડ લડાવનાર અને સદાનવીન ઘાટ આપનાર કવિ રમેશ પારેખનું આજે રાજકોટમાં નિધન થયું છે. રમેશ પારેખ, આ છ અક્ષરનું નામ ગુજરાતી ભાષા પર અનરાધાર વરસ્યું છે. એમના વિષે ઘણું લખાયું છે અને હજુ ઘણું લખાશે. મારે તો બસ એટલું જ કહેવાનું કે ગુજરાતી ભાષાનું આવું જાજરમાન રુપ આપણને બતાવનાર કવિના શબ્દોનું સદા ઋણ રહેશે.

કવિની સાચી અંજલી એ તો એના શબ્દોને આપેલી અંજલી જ હોય શકે. સુરેશ દલાલે રમેશ પારેખની આપેલી આ શબ્દાંજલીથી વધારે સારી અંજલી મળવી મુશ્કેલ છે.

રમેશ પારેખના શબ્દો

રમેશ પારેખના શબ્દો
           એ મીરાંની બાવરી આંખ છે;
રમેશ પારેખના શબ્દો
           એ આલા ખાચરને આવેલા મોતિયાની ઝાંખ છે.
ધોધમાર ગુલમ્હોર
           એ રમેશ પારેખના ગીત છે;
સ્તનમાં ટહુકેલા મોર;
           એ રમેશ પારેખની કવિતાનું કુંવારું સ્મિત છે.
રમેશ! તારાં અછાંદસ કાવ્યો
           એ લયના ઝંઝાવતનું નીખરેલું રૂપ છે.
રમેશ! તારા સોનેટ
           એ જળ અને આસવના બિલોરી સ્તૂપ છે.
રમેશ! તારી ગઝલ
           એ રણ પર ઊગેલો ચાંદ છે;
રમેશ! તારી કવિતા
           એ ઝાડને ફૂટેલું લીલેરું પાંદ છે.

-સુરેશ દલાલ

2 Comments »

  1. radhika said,

    May 18, 2006 @ 2:09 AM

    શ્રી રમેશ પારેખ કવીતાને સમર્પીત જીવન જીવ્યા છે

    શબ્દોને વાવ્યાં લોહીમાં તો શ્વાસ થઈ ઊગ્યાં,

    વીવેકભાઈના આ શબ્દો મુજબ કદાચ એમ કરી પારેખસાહેબને સજીવન કરી શકીએ

  2. JAYESH.R. SHUKLA said,

    September 6, 2013 @ 6:17 AM

    કવિશ્રી સુરેશ દલાલદ્વ્રારા અપાયેલ કાવ્યમય શ્રદ્ધાંજલીથી વિશેષ શું કહેવાનું હોય!!!!
    ** સાચેજ રમેશ પારેખ એટલે રમેશ પારેખ..
    .** જયેશ શુક્લ.”નિમિત્ત”૦૬.૦૯.૨૦૧૩.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment