ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઈ છે એક વણજારે ગાળેલી વાવ
– ધ્રુવ ભટ્ટ

જિંદગી આમ તો – રાહી ઓધારિયા

જિંદગી આમ તો પળોજણ છે,
પણ ન છૂટી શકે એ વળગણ છે.

આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !

કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે !
આયખું લીલુંછમ, છતાં રણ છે !

મન રહે છે સતત તણાવોમાં,
રામ એમાં છે, એમાં રાવણ છે !

હાથમાં ક્યાં છે અંત કે આદિ ?
એ જ તો ‘રાહી’ની મથામણ છે.

– રાહી ઓધારિયા

જિંદગીની તડકી-છાંયડીની વાત આમ તો દરેક સહિત્યકારે પોતપોતાની રીતે કરી છે અને કરતા આવે છે એટલે એમાં કશું નવું ન લાગે એ સ્વાભાવિક છે પણ ગઝલ ક્યારેક ખૂબ જાણેલી વાત સાવ એવા પરિવેશમાં રજૂ કરી આપે છે કે વાંચતા જ મોઢેથી ‘વાહ’ નીકળી જાય… ભાવનગરના કવિ પણ આયખાની એ જ યોગો જૂની વાત માંડે છે પણ વાતમાં કંક્ક એવી તાજગી છે કે મન આહ અને વાહ એક સાથે પોકારી ઊઠે છે. વિશાળ રણની વચ્ચેના એક નાનકડા રણદ્વીપ સાથે જિંદગીને કવિ જે લીલપથી સરખાવે છે એ કાબિલે-તારીફ છે…  ‘છે જિંદગીની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી (નરસિંહરાવ દિવેટિયા)’ યાદ આવ્યા વિના નહીં રહે…

13 Comments »

  1. anil parikh said,

    July 15, 2009 @ 5:31 AM

    jivvanu sikhi jaiye to ishwar ni bhet che

  2. Pancham Shukla said,

    July 15, 2009 @ 10:47 AM

    સાદી સીધી સરસ ગઝલ.

  3. pragnaju said,

    July 15, 2009 @ 11:49 AM

    મઝાની ગઝલનો આ શેર વધુ ગમ્યો

    આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
    છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !
    માનવીની પરિપક્વતાનું માપ એના અનુભવોની ડાળીઓએ … પરંતુ ગુલાબના ફૂલોનું અસ્તિત્વ એ તો એના ગર્ભમાંથી વહેતી સુગંધની બહારથી જ થાય છે.

  4. mrunalini said,

    July 15, 2009 @ 11:56 AM

    સરસ ગઝલ
    કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે !
    આયખું લીલુંછમ, છતાં રણ છે !

    મન રહે છે સતત તણાવોમાં,
    રામ એમાં છે, એમાં રાવણ છે !
    …………………………………
    મારો અભાવ કેવો લીલછમ બની ગયો !
    ઊગી ગયું છે ઘાસ કબરની આસપાસમાં.

    તું એને શોધવાના પ્રયાસો ન કર હવે,
    એ પણ કદાચ હોય તારા શ્વાસેશ્વાસમાં !

  5. manharmody ('મન' પાલનપુરી) said,

    July 15, 2009 @ 1:17 PM

    જિંદગી ને ઘણા કવિઓએ જુદી જુદી ઉપમાઓ આપી છે. ફિલ્મી ગીતોને યાદ કરો તો કેટલાય ગીતો યાદ આવશે. રાહી સાહેબે ‘પળોજણ’ ની ઉપમા આપી તે યથાર્થ જ છે.

  6. sudhir patel said,

    July 15, 2009 @ 8:25 PM

    ભાવનગરના મુરબ્બી કવિ-મિત્ર રાહી ઓધારિયાની સુંદર ગઝલ માણવા મળી એ બદલ આભાર!
    સુધીર પટેલ.

  7. કુણાલ said,

    July 16, 2009 @ 1:40 AM

    આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
    છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !

    સુંદર ગઝલ… આ શેર ખાસ ગમ્યો…

  8. ઊર્મિ said,

    July 16, 2009 @ 8:02 AM

    મજાની ગઝલ…

    મન રહે છે સતત તણાવોમાં,
    રામ એમાં છે, એમાં રાવણ છે !

    સાવ સાચું કવિનું તારણ છે…!

  9. ડો.મહેશ રાવલ said,

    July 16, 2009 @ 1:52 PM

    સુંદર ગઝલ
    “રાહી”ની મથામણ ગમી.

  10. sapana said,

    July 16, 2009 @ 2:54 PM

    આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
    છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !

    સરસ!!ભાવના!

    સપના

  11. SHAILESH JANI said,

    October 14, 2010 @ 12:02 AM

    સખેદ લખવુ પદે ચ્હે કે આવો લિલોચ્હમ માનસ હવે આપનિ વચ્ચે નથિ. આખ ભિનિ કરવિ વ્યર્થ ચ્હે તેને માતે ભિના શબ્દો થિજ અન્જલિ આપવિ યોગ્ય ચ્હે. હુ સદ્ નસિબ ચ્હુ કે મારા એ હાઇસ્કુલ ન ગુજરાતિ ના શિક્શક હતા.

    શૈલેશ જાનિ
    ભાવનગર

  12. PIYUSH M. SARADVA said,

    December 3, 2011 @ 6:42 AM

    મન રહે છે સતત તણાવોમાં,
    રામ એમાં છે, એમાં રાવણ છે !

    હાથમાં ક્યાં છે અંત કે આદિ ?
    એ જ તો ‘રાહી’ની મથામણ છે.

    સરસ.

  13. Suresh Shah said,

    October 15, 2015 @ 6:08 AM

    ખરેખર મથામણ છે.
    સુંદર. ગમ્યું.

    – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment