યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’,
જેમ કાથો રંગ પકડે પાનમાં.
– નિનાદ અધ્યારુ

યાચના – ઝવેરચંદ મેઘાણી

મોરલા હો ! મુને થોડી ઘડી
                  તારો આપ અષાઢીલો કંઠ:
        ખોવાયેલી વાદળીને હું
        છેલ્લી વાર સાદ પાડી લઉં.

ઈંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
                         એક માગું લીલું બુન્દ:
          સાંભરતાંને આંકવા કાજે
          પીંછી મારી બોળવા દેજે !

મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
                             ખેંચવા દે એક તાર:
           બેસાડીને સૂર બાકીના
          પાછી સોંપી દૈશ હું વીણા.

ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
                          આપજે એક કલ્લોલ:
          હૈયું એક નીંદવિહોણું-
         ભાલે એને વાયરો ઢોળું.

રાતરાણી ! તારા ઝાકઝમાળનું
                         મારે નથી કાંઈ કામ:
           ગાઢ અંધકાર પછેડા
          ઓઢાડી દે ઊંઘની વેળા.

– ઝવેરચંદ મેઘાણી

(મૂળ કવિતા- રવીન્દ્રનાથ ટાગોર)

‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા મેઘાણીની આ રચના પહેલી નજરે રાષ્ટ્રીય ચેતનાની એમની શૈલીથી થોડી અલગ લાગે પણ પોત તપાસીએ તો ખબર પડે કે આમાંય વ્યક્તિચેતનાની વાત જ છે. કુદરતની મબલખ સંપત્તિમાંથી કવિ માત્ર પોતાને જેની સાચોસાચ જરૂર છે એવા બુંદમાત્રની જ યાચના કરે છે. અહીં કોઈ મનુષ્યસહજ સંગ્રહવૃત્તિ નજરે ચડતી નથી. અને કવિ જે ઈચ્છે છે એ પણ કોઈ ખોવાયેલાને સાદ દેવા કે યાદ કરનારને ચિતરવા યા ઊંઘવિહોણાને મદદ કરવા જ માંગે છે… કોઈ ઝાકઝમાળભર્યા સૌંદર્યનીય કવિને અપેક્ષા નથી, કવિ માત્ર અંતિમવેળાએ ગાઢ અંધકારની પછેડી જ તાણવા માંગે છે… 

6 Comments »

  1. pragnaju said,

    April 23, 2009 @ 3:20 AM

    રાતરાણી ! તારા ઝાકઝમાળનું
    મારે નથી કાંઈ કામ:
    ગાઢ અંધકાર પછેડા
    ઓઢાડી દે ઊંઘની વેળા.
    કેવી સુંદર યાચના

    શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું
    ભક્તિ કરતાં… …

  2. sudhir patel said,

    April 23, 2009 @ 7:31 AM

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આગવી યાચનાને સલામ!
    સુધીર પટેલ.

  3. Jayshree said,

    April 23, 2009 @ 1:48 PM

    રવિન્દ્રનાથ ટાગોરની રચનાનું ઝવેરચંદ મેઘાણીએ કરેલું અનુવાદ.. આ મીઠેરા શબ્દોને શ્યામલ-સૌમિલ-આરતી મુન્શીના સ્વરમાં સાંભળવાનું ગમશે?
    http://tahuko.com/?p=3145

  4. Pinki said,

    April 24, 2009 @ 1:49 AM

    મારું ગમતીલું ગીત….. !!

  5. વિવેક said,

    April 24, 2009 @ 2:06 AM

    આભાર, જયશ્રી…

  6. Lata Hirani said,

    April 24, 2009 @ 5:13 AM

    હૈયું એક નીંદવિહોણું-
    ભાલે એને વાયરો ઢોળું.

    વાહ શાયર….

    જો આ રચના મૂળ ટાગોરની હોય તો — શ્રી જયંતભાઇ મેઘાણીએ (ભાવનગર, પ્રસાર) ટાગોરની બીજી કવિતાઓના ખૂબ સુઁદર અનુવાદ કર્યા છે..પણ એ આપશે નહી, એમની પાસેથી લઇ લેવા પડશે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment