એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,
એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું.
– રક્ષા શુકલ

ગઝલ – ભગવતીકુમાર શર્મા

હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.

આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.

અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.

મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.

– ભગવતીકુમાર શર્મા

મહેંદી હસનની કથળેલી તન-દુરસ્તી અને ધન-દુરસ્તીમાં સહાય અને સુધારાના હેતુથી સહાયતા નિધિની ટહેલ નાંખી હતી પણ કોઈક કારણોસર બે મહિનાની ઊંઘમંથી સફાળી જાગેલી પાકિસ્તાનની સરકારે હાલ પૂરતું બંને બાબતની કાઅળજી લઈ લીધી હોવાના કારણે મદદ મોકલવાનું રદ કર્યું અને એમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુની દુઆ માટે“ सूर की कोई सीमा नहीं ” કાર્યક્રમ છઠ્ઠી એપ્રિલે ગાંધી સ્મૃતિ ભવન, સુરત ખાતે યોજ્યો જે ખૂબ સફળ રહ્યો એમ કહી શકાય કેમકે હકડેઠઠ ભરાયેલું પ્રેક્ષાગાર મધ્યાંતર પછી પણ યથાવત્ રહ્યું અને કાર્યક્રમ પૂરો જાહેર થયા પછી પણ ઊઠવા તૈયાર નહોતું. આ કાર્યક્રમના અનુસંધાનમાં સુરતના પત્રકાર મિત્ર, ફૈઝલ બકીલીએ એક ગઝલ મોકલાવી છે જે એમની પોતાની જ ટૂંકનોંધ સાભાર સાથેઅહીં મૂકીએ છીએ.

આ ગઝલમાં ઉપરછલ્લી રીતે ગઝલ જાણે મહેંદી હસનની -માત્ર રદીફ તરીકે ઉપયોગ કર્યો હોય એમ લાગે પણ મહેંદી હસનની ગાયકીનો તરેહવાર મિજાજ શેરેશેરે વ્યંજિત થતો આવ્યો છે. ગઝલ જાણે મહેંદી હસનની માત્ર રદીફ ન રહેતાં ગઝલનું રૂપક- પ્રતીક બની ગયેલું અનુભવી શકાય છે, એ આ ગઝલની ખરેખરી ખૂબી છે

7 Comments »

  1. sunil shah said,

    April 9, 2009 @ 6:41 AM

    દર્દને બખૂબી ઉપસાવતી સશક્ત ગઝલ.

  2. Rasheeda said,

    April 9, 2009 @ 9:13 AM

    Indeed its an expression of the pain and suffering and conditions of human life.

  3. Jayshree said,

    April 9, 2009 @ 9:27 AM

    વાહ… ક્યા બાત હૈ…
    જ્યારે કોઇની ગઝલની વાત થાય, તો મોટેભાગે ગઝલકારની ગઝલ કહેવાય…
    ‘દિવસો જુદાઇના… ‘ ને આપણે ગનીચાચાની ગઝલ તરીકે વધારે ઓળખીયે, નહીં કે મુ.રફીની…

    પણ જ્યારે સ્વર-સંગીતનો જાદુ મેંહદી હસનનો હોય – તો એમણે ગાયેલી પ્રત્યેક ગઝલ – એમની ગાયકીથી પહેલા ઓળખાય છે… અને ત્યારે જ કોઇ સ્વરને Voice of God કહેવાય ને..!

  4. pragnaju said,

    April 9, 2009 @ 9:32 AM

    મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
    મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.
    વાહ્
    જાણે મહેંદી હસનને માટે ઈબાદત આગવી રીત

  5. DILIP CHEVLI said,

    April 9, 2009 @ 12:25 PM

    સરસ.

    દિલીપ ચેવલી.

  6. ધવલ said,

    April 10, 2009 @ 10:50 AM

    સરસ… ભગવતીકુમારની જ ગઝલ યાદ આવી

    ‘गमन’ ફિલ્મ જોયા પછી – ભગવતીકુમાર શર્મા

  7. Lata Hirani said,

    April 11, 2009 @ 12:46 PM

    ‘પાળિયાઓની વસ્તી’ શબ્દપ્રયોગથી સુમસામ ઉદાસી કેવી સ્પર્શી જાય છે !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment